Gujarat

ચૂંટણી: ગીરના ગાઢ જંગલમાં બાણેજ ખાતે એક મહંતના વોટ માટે મતદાન મથક ઊભું કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 12 જેટલા વિશિષ્ટ મતદાન મથકો આવેલા છે, જેમાં એક મતદ્ન મથક બાણેજ તો ગાઢ ગીર જંગલની અંદર આવેલુ છે. અહીં આક્ષમમમાં રહેતા એક મહંતના મત માટે મતાદન મથક ઊભુ કરાશે. તેવી જ રીતે ટાપુ પર પણ મતદાન મથક ઊભુ કરાશે. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ આ વિગતો આપી છે.

(૧) ગીર જંગલમાં આવેલું બાણેજ મતદાન મથક
ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની “કોઈ મતદાર બાકી ન રહી જાય” ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા મતદારને તેમનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે.આ મતદાન મથક ઉના બેઠકમાં આવે છે.

(૨) ગીરમાં રાસપ નેસ લીલિયા મતદાન મથક
રાસપ નેસ લીલિયા એ ગીરના જંગલની અંદરનો એક એવો નાનો નેસ છે, જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં ૨૦૦૭ થી ૨૩ પુરૂષો અને ૧૯ મહિલા મતદારો મળી માત્ર ૪૨ મતદારો માટે એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.આ મતદાન મથક ઉના બેઠકમાં આવે છે.

(3) ગીરમાં સિદ્દી લોકો માટે મતદાન મથક
૧૪મી અને ૧૭મી સદી દરમિયાન ભારતમાં ગુલામ તરીકે આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ અહીં રહે છે. તેમના મતદાન માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ વિસ્તાર તાલાળા બેઠક હેઠળ આવે છે.

(૪) શિયાળ ટાપુ પર મતદાન મથક
શિયાળબેટએ અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે, જે અમરેલી જીલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭૫.૩૨ હેક્ટર છે, જેમાં ૮૩૨ જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ ૫૦ કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં ૪,૭૫૭ મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને ૦૫ મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે. તમામ વૈધાનિક પ્રક્રિયાઓને અનુસરીને એક સરળ ચૂંટણી “કોઈ મતદાર બાકી રહે નહી” તેની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે.આ વિસ્તાર રાજુલા બેઠક હેઠળ આવે છે.

(૫) આલીયાબેટ મતદાન મથક
આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા (૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તાર) હેઠળ આવે છે. જેમાં ૧૧૬ પુરૂષ અને ૧૦૧ સ્ત્રી મળી કુલ ૨૧૭ મતદારો છે. આલિયાબેટ અગાઉ ૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ૬૮-કલાદ્રા-૦૨નો ભાગ હતો. પરંતુ તે અન્ય વસાહતોથી ઘણું દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં આવ્યા હતા. મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે ૮૨ કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો. જો કે, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે જિલ્લા વહીવટી તંત્રએ પહેલ કરી છે અને આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી છે. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેનાં પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે પોતપોતાની જગ્યાએ મતદાન કરી શકશે. ગુજરાત કેવી રીતે સુલભ ચૂંટણીના સૂત્રને સુનિશ્ચિત કરી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે.આ વિસ્તાર વાગરા બેઠક હેઠળ આવે છે.

(૬) કડાણા ડેમની અંદર રાઠડા બેટ મતદાન મથક
રાઠડા બેટ એ મહિસાગર નદીમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક અનોખો બેટ છે. આ બેટ પર ૩૭૬ પુરૂષ અને ૩૩૬ સ્ત્રી મળી લગભગ ૭૧૨ મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે. આ બેટ શૅડો એરિયામાં પણ આવે છે અને તેથી કનેક્ટિવિટી માટે પોલિંગ સ્ટાફને અલગ વાયરલેસ સેટ પણ આપવામાં આવે છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. મતદાન માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ AMFની ખાતરી કરવામાં આવે છે. વધુમાં, આ સ્થાનને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સંતરામપુર બેઠક હેઠળ આવે છે.

(૭) નર્મદાના ગાઢ જંગમાં રીંગપાદરફળિયુ મતદાન મથક
નર્મદા જિલ્લો ગાઢ જંગલો અને આદિવાસી વસતી ધરાવતો પર્વતીય જિલ્લો છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં લોકો છુટાછવાયા પરા વિસ્તારમાં રહેતા હોય છે. રીંગપાદરફળિયા નામનું એક પરૂ હાલના મતદાન મથક ચોપડી (પી.એસ નં. ૦૩) થી તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને મુખ્ય ગામથી ખૂબજ અંતરીયાળ હોવાથી મતદારોની સુવિધા માટે અલગ કરીને એક નવું મતદાન મથક ચોપડી-૦૨ (પી.એસ નં. ૦૪) બનાવવામાં આવ્યું છે, જે ગામની નજીક હોવાથી મતદારોને લાંબી મુસાફરી ન કરવી પડે. આ નવા મતદાન મથકમાં માત્ર ૧૨૧ મતદારો (૬૮ પુરૂષો અને ૬૩ મહિલા) છે. મતદાન મથક મુશ્કેલ પહાડી પ્રદેશો અને જંગલ પ્રદેશોથી ઘેરાયેલું છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર ૩૭ કિલોમીટર છે. આ વિસ્તાર હાલમાં ડેડિયાપાડા બેઠક હેઠળ આવે છે.

(૮) ગાઢ બરડા જંગલની પર્વતમાળામાં આવેલું મતદાન મથક
પોરબંદર જિલ્લો બરડા પર્વતમાળા અને ગાઢ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં ત્રણ મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે, જે ૮૪-કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. એટલે કે ૬૪-સતવિરડાનેસ (૮૭૬ મતદારો), ૬૫-ભુખાબારાનેસ (૫૭૭ મતદારો) અને ૬૬-ખારાવીરાનેસ (૭૪૦ મતદારો); આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા AMF અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. આ ત્રણ મતદાન મથકો માટે સમર્પિત સેક્ટર રૂટ બનાવવામાં આવ્યા છે. ત્રણેય મતદાન મથકો શૅડો વિસ્તાર હેઠળ આવે છે અને સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.આ ત્રણેય મતદાન મથકો કુતિયાણા બેઠક હેઠળ આવે છે.

(૯) દ્વ્રારકા પાસે અજાડ ટાપુ
અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ૮૧ – ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુના દરિયા કિનારાથી લગભગ ૧૦ કિ.મી. દૂર આવેલું છે. મતદાનના દિવસ પહેલા જ ટેન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે.આ વિસ્તાર ખંભળીયા બેઠક હેઠળ આવે છે.

(૧૦) બરડા પર્વતના ગાઢ જંગલમાં મતદાન મથક
૩૦૭-કિલેશ્વરનેસ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ૮૧-ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે નેસ વિસ્તારમાં બરડા માઉન્ટેનના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલું છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે.આ વિસ્તાર ખંભાળિયા બેઠક હેઠળ આવે છે.

(૧૧) ઓખા પાસે દરિયામાં આવેલો ટાપુ
૧૫ થી ૧૯ – બેટ ૧, ૨, ૩, ૪ અને ૫ મતદાન મથકો દેવભૂમિ દ્વારકાના ૮૨-દ્વારકા મતવિસ્તારમાં આવેલા છે. આ કચ્છના અખાતના મુખ પર એક વસવાટવાળો ટાપુ છે, જે ઓખાના દરિયાકિનારે ૦૩ કિ.મી. દૂર આવેલો છે. તેમાં ૦૫ (પાંચ) મતદાન મથકો સાથે ૫,૬૦૫ મતદારો છે. મતદાન મથકો સુધી જવાનો એકમાત્ર રસ્તો બોટ છે.આ વિસ્તાર દ્વારકા બેઠક હેઠળ આવે છે.

(૧૨) ગીરના ગાઢ જંગમાં કનકાઈ મતદાન મથક
કનકાઈ મતદાન મથક ગીરના ઊંડા જંગલ વિસ્તારમાં અને “નેસ” વિસ્તારમાં સ્થિત છે. સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે. આ વિસ્તાર વિસાવદર બેઠક હેઠળ આવે છે. અહીં જાણીતું કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે.

Most Popular

To Top