Gujarat

આજે મુખ્યમંત્રીની માલધારી સમાજ સાથે બેઠક

અમદાવાદ : આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક નિર્ણયો લીધાં હતાં. ગુજરાત (Gujarat) ઢોર નિયંત્રણ સુધારા વિધેયકમાં માલધારી સમાજ, પશુઓ અને સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાયદાથી માલધારીને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. કાયદામાં તે પ્રકારની ખાસ કલમની જોગવાઈ કરવામાં આવી છે. માલધારી સમાજ પ્રત્યે સંપૂર્ણ સંવેદનના સાથે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવો નિર્ણય કરવામાં આવશે. આ માટે આજે 6 એપ્રિલના રોજ મુખ્યમંત્રી સાથે માલધારી સમાજના આગેવાનોની બેઠક યોજાનાર છે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાશે. એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે,ઉનાળાની સિઝનમાં અબોલ મુંગા પશુઓને પણ પીવાના પાણી અને ઘાસચારાની કોઇ તકલીફ ના પડે એ માટે સંપૂર્ણ તકેદારી રાખવા વન વિભાગને સૂચના આપી છે અને એ મુજબ આયોજન પણ કરાશે.

પશુઓ માટે 6.95 કરોડ ટન ઘાસચારાનો જથ્થો અનામત રખાયો છે. જ્યારે અછતની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ અનામત જથ્થો મહેસૂલ વિભાગ દ્વારા ડેપો ખોલીને રાહત દરે વિતરણ કરાશે. રાજ્યમાં હાલ 3500 MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.છેલ્લા ચાર દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2100 MLD પાણીની જરૂરિયાત ઊભી થતાં વિવિધ યોજનાઓ દ્વારા પાણી પૂરું પડાયું છે. રાજ્યમાં ઉપલબ્ધ પાણીના જથ્થાનું પણ યોગ્ય વિતરણ કરાશે. આદિજાતિ વિસ્તારોમાં પણ હેન્ડ પંપ દ્વારા જે પાણી ઉપલબ્ધ છે તે હેન્ડ પંપની મરામત તથા જરૂર પડે તો નવા હેન્ડ પંપ પણ બનાવાશે. વાઘાણીએ ઉમેર્યું હતું કે,ખેડૂતો પાસેથી પાક ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવા માટે મહત્તમ MSP નિયત કરાઈ છે. જેના પરિણામે ખેડૂતોને પહેલીવાર મગફળીનો ઐતિહાસિક રૂ. 1400નો ભાવ તેમજ કપાસનો રૂ. 2400નો પોષણક્ષમ ભાવ રાજ્યમાં મળી રહ્યા છે. રાજ્યમાં ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પહેલીવાર બે લાખ મેટ્રિક ટન જેટલી ઐતિહાસિક ખરીદી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 4.65 લાખ ટન ખરીદી માટેની મંજૂરી પ્રથમવાર મળી છે. ગુજરાત સરકાર દ્વારા વધુ 1.35 લાખ ટન ચણાની ખરીદી કરવાનું પણ આયોજન છે એ મુજબ આગામી સમયમાં ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

Most Popular

To Top