Gujarat

કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના મોડાસા ખાતે ૭૬માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી (Celebration) કરી હતી, તેમણે તિરંગો લહેરાવી સલામી આપી ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી ગુજરાતમાં (Gujarat) સુરક્ષા અને શાંતિના નવા શિખરો સર કરવા પ્રતિબધ્ધ થવા હાંકલ કરી હતી. આ પ્રસંગે તેમણે ૮ જેટલી મહત્વની જાહેરાત કરી છે. જેમાં ૧લી જાન્યુ.૨૦૨૨થી કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો જાહેર કરાયો છે. આ નિર્ણયના પગલે સરકારની તિજોરી પર ૧૪૦૦ કરોડનું ભારણ વધશે. 14 ઓગસ્ટે જ ભૂપેન્દ્ર પટેલે પોલીસકર્મીઓ માટે લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના વાર્ષિક પગરામાં વધારો કરવાની જાહેરત કરાઈ છે. જેના માટે ૫૫૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડાસામાં જાહેર કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

મુખ્યમંત્રીએ તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર જાન્યુઆરીથી માર્ચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો. ઑગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે તેમજ એપ્રિલથી જૂનના તફાવતની રકમ સપ્ટેમ્બર ૨૦૨૨ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય મહત્વની કરેલી જાહેરાતો

  • રાજ્યના બધા જ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે
  • રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. ૧૦,૦૦૦ પ્રતિ માસમાં વધારો કરીને રૂ. ૧૫૦૦૦ કરવામાં આવશે
  • રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રિક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.
  • રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. ૩૬૭ કરોડના ખર્ચે નવી ૧૨૦૦ BS-6 બસ સેવામાં મુકવામાં આવશે.
  • રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.
  • વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.
  • એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

Most Popular

To Top