Business

ભારત આબોહવા સંકટને પહોંચી વળવાનો ઇરાદો દર્શાવે છે : G-20 બેઠકમાં ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે બુધવારે જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્સર્જન માટે પરંપરાગત રીતે જવાબદાર ન હોવા છતાં ભારત (India) સમસ્યાનો ઉકેલ લાવવાનો પોતાનો ઇરાદો દર્શાવે છે. ભૂપેન્દ્ર યાદવે ઇન્ડોનેશિયાના બાલીમાં પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે જી-20 દેશોની મંત્રી સ્તરીય બેઠકમાં જણાવ્યું હતું કે, આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે નાણાકીય સહાયનું વચન મૃગજળ બનીને રહી ગયું છે અને તેની વર્તમાન ગતિ અને માપ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે મેળ ખાતું નથી.

નેટ-ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધવાની પ્રાથમિક જવાબદારી એવા દેશોની છે જે ઐતિહાસિક રીતે વાતાવરણમાં સંચિત ગ્રીનહાઉસ ગેસ સાંદ્રતા માટે સૌથી વધુ જવાબદાર છે, એમ તેમણે જણાવ્યું હતું. નેટ ઝીરો એટલે વાતાવરણમાં પ્રવેશતા ગ્રીનહાઉસ ગેસ અને તેમાંથી નીકળતા ગેસ વચ્ચેનું સંતુલન. ભારત પરંપરાગત રીતે વૈશ્વિક ઉત્સર્જન માટે જવાબદાર ન હોવા છતાં, અમે અમારી ક્રિયાઓ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો અમારો ઇરાદો દર્શાવી રહ્યા છીએ એવું કહીને તેમણે ઉમેર્યું હતું કે અમે ઉદ્યોગો સ્થાપવા તરફ આગળ વધવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

તેમણે કહ્યું કે ભારતે તાજેતરના વર્ષોમાં તમામ ઘરોમાં વીજળી પૂરી પાડવા અને રસોઈ માટે સ્વચ્છ ઉર્જાની પહોંચમાં ઝડપથી વધારો કરવા જેવા પગલાં સાથે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ભારત નવીનીકરણીય ઊર્જા માટે વિશ્વના સૌથી મોટા બજારોમાંનું એક છે. યાદવે કહ્યું કે દેશનું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન એવા વિસ્તારોમાંથી ઉત્સર્જન ઘટાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે જ્યાં તેને ઘટાડવું મુશ્કેલ કાર્ય છે. આ તમામ પ્રયાસો માટે 2025 સુધીમાં 2019 ના સ્તરોથી આબોહવા પરિવર્તન ભંડોળ બમણું કરવા માટે ઓછા ખર્ચે રોકાણ અને નવીન મોડલની જરૂર છે એવું તેમણે કહ્યું હતું. જી-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનના સભ્યો છે.

Most Popular

To Top