National

ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ રોકી શકતા નથી: SC નો ઠપકો

ખેડૂતોના આંદોલનના (Farmers Protest) ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની માંગણી મામલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. ખેડૂતો દ્વારા હાઇવે જામ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ રસ્તાઓ અનિશ્ચિત સમય માટે રોકી શકાતા નથી. કોર્ટે ખેડૂત સંગઠનોને વિરોધ કરનારા ખેડૂતોને શેરીઓમાંથી હટાવવાની માંગણી કરતી અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું. આ મામલે હવે 7 ડિસેમ્બરે સુનાવણી થશે. 

આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ. કે. કૌલે કહ્યું કે રસ્તાઓ સ્પષ્ટ હોવા જોઈએ. તેમણે કહ્યું કે અમે વારંવાર કાયદા ઘડતા નથી રહી શકતા. તમને આંદોલન કરવાનો અધિકાર છે પરંતુ તમે અનિશ્ચિત સમય સુધી રસ્તો રોકી શકતા નથી. હવે કોઈક ઉપાય શોધવો પડશે. અમને રોડ જામના મુદ્દે સમસ્યા છે. 

હકીકતમાં, અરજદારે માંગ કરી હતી કે ખેડૂતોના આંદોલનને કારણે નોએડાથી દિલ્હીને જોડતા રસ્તાઓ બંધ છે અને તેના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓ ખોલવા જોઈએ. જોકે, છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શા માટે અત્યાર સુધી રસ્તાઓ બંધ છે. વિરોધ કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ રસ્તાઓ અવરોધિત ન કરવા જોઈએ.

હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના સંગઠન અને સરકાર વચ્ચે મંત્રણાના અનેક રાઉન્ડ પણ થયા છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ મળ્યો નથી. ખેડૂતો ત્રણેય કાયદા પાછા ખેંચવાની તેમની માંગ પર અડગ છે. ખેડૂતો દિલ્હી સાથેની સરહદો પર રસ્તા પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હી તરફ જતા ઘણા રસ્તાઓ બંધ છે. આની સૌથી મોટી અસર દૈનિક ઓફિસ જનારાઓ, વેપારીઓ અને અન્ય મુસાફરો પર પડે છે. તેમને વૈકલ્પિક માર્ગોનો આશરો લેવો પડે છે.

Most Popular

To Top