Business

ન સલમાન, ન રીતિક આ દિવાળી તો અક્ષયની જ

સૂર્યવંશી’ રજૂ થઈ રહી છે. સામાન્યપણે દિવાળી-ઈદ-ન્યુ યર પર જાણે સલમાન, શાહરૂખનો અધિકાર હોય છે. પણ હવે એ સ્થિતિ બદલાઈ ચુકી છે. અક્ષય કુમાર, અજય દેવગણ, રણબીર કપૂર, રણવીર સીંઘ આ ખાસ રજા સમયનાં દાવેદાર બની ગયા છે. રોહિત શેટ્ટીની ફિલ્મ છે અને અક્ષયકુમાર ઉપરાંત અજય દેવગણ, રણવીર સીંઘ સહિતના ત્રણ સ્ટાર હોય તો આ દિવાળી રિલીઝ માટેની પરફેક્ટ ફિલ્મ છે. રોહિત શેટ્ટી અને રાજકુમાર હીરાની હંમેશા સક્સેસ માટે જાણીતા છે અને આ ફિલ્મમાં બબ્બે ડીસીપી, એક ઈન્સ્પેકટર છે એટલે ધનાધની પાકી છે. અજય ફરી બાજીરાવ સીંઘમ બન્યો છે ને અક્ષય સૂર્યવંશી, રણવીર સીંઘ ‘સીમ્બા’ ભાલેરાવ. આ ફિલ્મ ગયા વર્ષે ઈદ પર રજૂ થવાની હતી પણ હવે ઈદની દિવાળી થઈ ગઈ છે. રોહિત શેટ્ટીને આતંકવાદને પડકારતી ફિલ્મ બનાવવી બહુ ફાવે છે. એકશન સાથે તે કોમેડી અને રોમાન્સનું મિક્સિંગ કરે છે.

રોહિત શેટ્ટી હોય એટલે અજય દેવગણ જ હીરો હોય એવો નિયમ આ ફિલ્મથી તૂટશે કારણકે જે પાત્ર પરથી ‘સૂર્યવંશી’ શીર્ષક મળ્યું તે તો અક્ષય કુમાર ભજવે છે. અક્ષય સતત એકશનમાં રહેતો સ્ટાર છે. હમણાંજ તેની ‘બેલ બોટમ’ રજૂ થયેલી અને હવે આ ‘સૂર્યવંશી’ અક્ષય જોખમ લેનારો સ્ટાર છે અને એક સાથે 7-8 ફિલ્મોમાં કામ કરતો હોય તો તેને એવો ડર નથી લાગતો કે ફિલ્મ નિષ્ફળ જશે તો ? ‘દિવાળી’ તે સૂર્યવંશી થી ઉજવશે તો 21મી જાન્યુઆરીએ ‘પૃથ્વીરાજ’ રિલીઝ કરવાનું શિડયુલ પાકું થઈ ગયું છે. એ ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા છે ને દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી હોવાથી સફળતાની એવીજ શકયતા છે. સંયુક્તાને મેળવવા તે મોહમ્મદ ઘોરી સામે જંગ છેડશે એટલે લવસ્ટોરી અને યુદ્ધ બંને ભેગા થશે.

અક્ષય કોરોના દરમ્યાન પણ કોઈ ચિંતામાં હોય એવું જણાયું નહોતુ કારણકે ત્યારે પણ શૂટિંગમાં બિઝી રહેલો. કોરોના દરમ્યાન જ તેણે ‘લક્ષ્મી’ થી હાજરી પૂરાવેલી. સતત કામ કરતા રહેવાના પરિણામે જ તેની પાસે દર બે-ત્રણ મહિને એક ફિલ્મ રિલીઝ કરી શકાય એવી જોગવાઈ છે. આનંદ એલ. રાયની ‘અંતરંગી રે’ પણ તૈયાર છે ને 6 ઓગસ્ટે રજૂ થવાની હતી તે નહોતી થઈ એટલે હવે કદાચ નેટ ફલિક્સ પર આવશે. ‘અંતરંગીરે’ની મઝાની વાત એ છે કે સૈફઅલી ખાન તો અક્ષયનો સાથી સ્ટાર રહ્યો છે અને તેની જ દિકરી સારા અલી ખાન ‘અંતરંગી’રેની હીરોઈન છે. પોપ્યુલર સ્ટાર તરીકે અક્ષયે પોતાને બેસ્ટ રીતે મેનેજ કરે છે. વિષયો અને અભિનેત્રીઓનું વૈવિધ્ય ઉપરાંત ફિલ્મની શૈલી પણ વિવિધ રહે તે વિશે સભાન રહે છે.

અક્ષયની સારી વાત એ છે કે તે શાણો પ્રોફેશનલ સ્ટાર છે. સલમાન, આમીર, ઋતિક વગેરેને નિર્માતા લેવા માંગે તો તે ફિલ્મ ખૂબ ખાસ બને તેની તૈયારીઓ કરવી પડે છે. એ બધા એવા સ્ટાર છે જે ખૂબ ડિમાંડ કરે છે. તેમની ફિલ્મોનો પ્રચાર પણ મોટો કરવો પડે. અક્ષય પોતાના નિર્માતાઓને અનુકૂળ રહે છે. આ કારણે જ હમણાં આનંદ એલ.રાવે તેને સતત ત્રીજી ફિલ્મ આપી છે જેનું નામ ‘ગોરખા’ છે. અક્ષયને હજુ રાજકુમાર હીરાની, સંજય લીલા ભણશાલી પ્રકારના નિર્માતા – દિગ્દર્શકની જરૂર નથી પડી અને એજ તેની જીત છે.

અક્ષય તેના લગ્નજીવનમાં પણ સ્થિર પૂરવાર થયો છે. ટ્વિંકલ ખન્ના સાથેના લગ્નને 20 વર્ષ થઈ ચુકયા છે. તેના બંને બાળકો પણ યુવાનીની પાસે પહોંચી ગયા છે. ઘણાને તેના વિશે ફક્ત એકજ પ્રશ્ન થાય છે. દેશપ્રેમની ફિલ્મોમાં તો સતત કામ કરે છે પણ કેનેડાનું નાગરિકત્વ હજુ છોડતો નથી. બાકી તે પૂરેપૂરો ભારતીય છે અને વડાપ્રધાન મોદી માટે પણ ઘણો આદર ધરાવે છે. અક્ષય કુમાર 54 વર્ષનો થયો છે પણ એકદમ ફીટ છે એટલે જ એકશન ફિલ્મો તેની પાસે આવે છે. તે આમ શૈવપંથી છે પણ પોતાની ધાર્મિક માન્યતાઓને તે બહુ જાહેર નથી કરતો. તે એક સ્વસ્થ મિજાજ સ્ટાર છે અને તેથી જ ફૂલ ડિમાંડમાં છે.

Most Popular

To Top