Gujarat

પઠાણની રિલીઝ પહેલા જ બજરંગ દળ-VHPએ લીધો નિર્ણય, હવેથી ફિલ્મનો વિરોધ નહીં કરે

ગાંધીનગર: શાહરૂખ ખાનને (Shahrukh Khan) 4 વર્ષથી વધુ સમય બાદ મોટા પડદા પર જોવા માટે હવે માત્ર એક જ દિવસ બાકી છે. બોલિવૂડના બાદશાહની કમબેક ફિલ્મ કહેવાતી ‘પઠાણ’ (Pathaan) બુધવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ‘પઠાણ’ના ટ્રેલર પહેલા જ્યારે ‘બેશરમ રંગ’ ગીત રિલીઝ થયું ત્યારે એક સીનને લઈને ઘણો વિવાદ થયો હતો. ગુજરાત (Gujarat) સહિત ઘણા રાજ્યોમાં ફિલ્મને બૉયકોટ (Boycott) કરવાની માંગ ઉઠી હતી. જો કે હવે શાહરૂખ ખાન અને તેના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

આ ફિલ્મમાં શાહરૂખની સામે ફીમેલ લીડની ભૂમિકા ભજવી રહેલી દીપિકા એક ગીતના સીનમાં ‘કેસરી’ રંગની બિકીની પહેરેલી જોવા મળી હતી. આ દ્રશ્યને ‘ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું’ ગણાવતા તેની ટીકા શરૂ થઈ હતી. ગીતને લઈને ઘણા રાજ્યોમાં વિવાદ શરૂ થયો હતો. ગુજરાતમાં પણ ઘણા નેતાઓ અને સંગઠનોએ ‘પઠાણ’નો વિરોધ શરૂ કર્યો હતો. અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી તે બદલ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. પરંતુ હવે શાહરૂખના ફેન્સ માટે એક મોટા સમાચાર છે.

બજરંગ દળ ‘પઠાણ’નો વિરોધ નહીં કરે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ (Bajrang Dal), જેઓ અનેક શહેરોમાં ‘પઠાણ’ના વિરોધમાં મોખરે છે, તેઓ હવે ગુજરાતમાં ફિલ્મનો વિરોધ કરશે નહીં. વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના પ્રદેશ મંત્રી અશોક રાવલે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પોતાના નિવેદનમાં તેણે ‘પઠાણ’માં ફેરફાર કરવા બદલ સેન્સર બોર્ડની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે હવે ફિલ્મ જોવી કે નહીં તે લોકો પર નિર્ભર છે.

આશિક રાવલે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું, ‘બજરંગ દળના હિન્દી ફિલ્મ પઠાણના વિરોધ બાદ સેન્સર બોર્ડે ફિલ્મમાંથી અશ્લીલ ગીતો અને અભદ્ર શબ્દો હટાવી દીધા છે, જે સારા સમાચાર છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે આ સફળ સંઘર્ષ કરવા માટે હું તમામ કાર્યકરો અને સમગ્ર હિન્દુ સમાજને અભિનંદન આપું છું.

સંસ્કૃતિનું ધ્યાન રાખવામાં આવે તો કોઈ વાંધો નહીં આવે
તેમણે વધુમાં કહ્યું કે, ‘તેની સાથે જ હું સેન્સર બોર્ડ, નિર્માતાઓ અને થિયેટર માલિકોને પણ વિનંતી કરું છું કે ફિલ્મ ઉદ્યોગના એક મહત્વપૂર્ણ સહભાગી તરીકે, જો તેઓ સમયસર ધર્મ, સંસ્કૃતિ અને દેશભક્તિને ધ્યાનમાં રાખીને આવી બાબતોનો વિરોધ કરે તો, બજરંગ દળ અને હિન્દુ સમાજને કોઈ વાંધો નહીં હોય. ‘ભારત માતા કી જય… જય શ્રી રામ…’ સાથે પોતાનું નિવેદન પૂરું કરતાં પહેલાં અશોક રાવલે કહ્યું, ‘અમે ફિલ્મ જોવી કે નહીં તે નક્કી કરવાનું ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો પર છોડીએ છીએ.’

‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેના માટે લોકો અગાઉથી ટિકિટ બુક કરાવી રહ્યા છે. રિલીઝના એક દિવસ પહેલા આવેલ અશોક રાવલનું આ નિવેદન થિયેટરોમાં જતા લોકોને ‘પઠાણ’ જોવા માટે વધુ પ્રેરિત કરશે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં ‘પઠાણ’ નો જાદુ કેટલો ચાલશે.

Most Popular

To Top