Science & Technology

બુદ્ધિશાળી પૃથ્વી: તે જીવંત છે, તેની પાસે પોતાનું મન અને બુદ્ધિ છે, તે અદ્રશ્ય બુદ્ધિથી ચાલે છે

વોશિંગટન: (Washington) હાલમાં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એસ્ટ્રોબાયોલોજીમાં એવી વાત પ્રકાશિત થઇ છે જેને સાંભળીને સામાન્ય માણસો આશ્ચર્યચકિત થઈ જશે. વૈજ્ઞાનિકોના એક જૂથે એવો ખુલાસો કર્યો છે કે જે તમારા મનને હચમચાવી દેશે. તેઓ દાવો કરી રહ્યા છે કે પૃથ્વીની (Earth) પોતાની બુદ્ધિ છે. તે તેના મુજબ કામ કરે છે. તેમણે બ્રેઇન ઑફ અર્થ( Brain of Earth) જેવા વિષયે નવો અભ્યાસ કર્યો છે. જેમાં પ્લેનેટરી ઈન્ટેલિજન્સ વિશે વાત કરવામાં આવી છે. એટલે કે ગ્રહના (Planet) સમગ્ર જ્ઞાન અને તર્ક ક્ષમતાની ચર્ચા કરવામાં આવી છે.

પ્રારંભિક જીવન એટલે કે ફૂગ જેવા સજીવોથી લઈ મનુષ્ય જેવા જટિલ સજીવો આપણી પૃથ્વી પર હાલના સમયમાં પણ હાજર છે. પુરાવા તરીકે, વૈજ્ઞાનિકો કહે છે કે જમીનની નીચે ફૂગનું વિશાળ સ્તર આવેલું છે. જે સમગ્ર પૃથ્વી પર ફેલાયેલ છે. આ એકબીજામાં સંદેશાઓની આપ-લે કરે છે. તેમની પાસે એક વિશાળ નેટવર્ક છે. તે એક અદ્રશ્ય બુદ્ધિનું સર્જન કરે છે. જેના કારણે સમગ્ર પૃથ્વીની સ્થિતિ બદલાતી રહે છે. જો આવી પ્રક્રિયાઓની તપાસ કરવામાં આવે તો આપણે ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓની પૃથ્વી પર અસર જોઈ શકીએ છીએ. તે કોઈને કોઈ રીતે સંતુલન જાળવવા માટે સતત અમુક પ્રકારની નવી પ્રક્રિયાઓને જન્મ આપે છે. યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર એડમ ફ્રેન્કે જણાવ્યું હતું કે હજી સુધી માનવોએ એકજુથ થઇ પૃથ્વીની સુધારણા માટેના પ્રયાસો શરૂ કર્યા નથી.

જો પૃથ્વી પરના જીવનને સામૂહિક રીતે જોવામાં આવે તો તેને બાયોસ્ફિયર કહેવામાં આવે છે. જે પૃથ્વીની બુદ્ધિ, મન, મગજ, તાર્કિક શક્તિ અને સમજશક્તિને દર્શાવે છે. બાયોસ્ફિયરનો જન્મ થતાં જ પૃથ્વીને નવું જીવન મળ્યું. જેથી પૃથ્વી પોતાના વિશે વિચારવા લાગી. જ્યારે પૃથ્વીના એક ખૂણામાં કંઈક ખોટું થાય છે, ત્યારે તે બીજા ખૂણામાં કંઈક કરે છે કે જેથી સંતુલન જળવાઇ રહે છે. આ અભ્યાસમાં રોચેસ્ટર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના પ્રોફેસર એડમ ફ્રેન્ક, પ્લેનેટરી સાયન્સ ઇન્સ્ટિટ્યુટના હેલેન એફ., ફ્રેડ એચ. ગોવેન, પ્લેનેટરી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ડેવિડ ગ્રિનસ્પૂન અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સારાહ વોકરએ ફાળો આપ્યો છે. અભ્યાસ કરતી વખતે, આ વૈજ્ઞાનિકોએ હમણાં જ નોંધ્યું કે કેવી રીતે બાયોસ્ફિયર પૃથ્વીને બદલી રહ્યું છે. પૃથ્વી પરિવર્તનને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. તે અમુક પ્રકારનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમજાવવા માટે, વૈજ્ઞાનિકોએ ચાર તબક્કાઓ ગણ્યા છે.

  • અપરિપક્વ જીવમંડલ
  • પરિપક્વ જીવમંડલ
  • અપરિપક્વ તકનીકી મંડલ
  • પરિપક્વ તકનીકી મંડલ

એડમ ફ્રેન્કે કહ્યું કે ગ્રહ હંમેશા પરિપક્વ અને અપરિપક્વ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને વિકાસ પામતા હોય છે. કોઈપણ ગ્રહની બુદ્ધિ ત્યારે જ બને છે જ્યારે બાયોસ્ફિયરની જેમ તેની આસપાસ પરિપક્વ સિસ્ટમઓ કામ કરી રહ્યા હોય. આપણે મનુષ્યોને હજુ સુધી પરિપક્વ ટેકનોસ્ફિયર સુધી કેવી રીતે પહોંચવું તેનો ખ્યાલ નથી આવ્યો. એડમે કહ્યું કે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક ખતરનાક રસાયણો પર પ્રતિબંધ મૂકવા અને સૌર ઊર્જા તરફ આગળ વધવા પુરતું સિમિત છીએ. આપણી પાસે કોઈપણ પ્રકારની પરિપક્વ ટેક્નીક બની નથી. સમસ્યા એ છે કે આપણે ટેક્નીકલ ધોરણે વિકાસ કરી રહ્યા છીએ. પરંતુ પૃથ્વીને તેનો કોઈ લાભ મળી રહ્યો નથી. જ્યારે પૃથ્વીને આપણા કોમ્પ્યુટર, સ્માર્ટફોન, ઉપગ્રહો, પરિવહનના સાધનો વગેરેનો લાભ મળશે, ત્યારે એક પરિપક્વ ટેક્નોસ્ફિયરની રચના થશે. પરિપક્વ ટેકનોસ્ફિયરનો અર્થ છે પૃથ્વી પરની તમામ ટેક્નીકલ પ્રણાલીઓને કોઈ રીતે પૃથ્વી સાથે જોડવી જેથી આપણી પૃથ્વી તેનો લાભ લઈ શકે. એવું ન થવું જોઈએ કે માત્ર તકનીકી સિસ્ટમો પૃથ્વીનો લાભ લે. પૃથ્વીની બુદ્ધિ એ ખૂબ જ જટિલ સિસ્ટમ છે.

Most Popular

To Top