Dakshin Gujarat

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલાની ઘટનામાં સુરત જિલ્લા કોંગ્રેસમાં રોષ

બારડોલી: સુરત જિલ્લા (District) કોંગ્રેસ (Congress) સમિતિ દ્વારા સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય (MLA) અનંત પટેલ (Anant Patel) પર થયેલા ઘાતકી હુમલોના વિરોધમાં બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પત્રમાં હુમલો કરનારાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત શહેરના ચાર કોંગી કાર્યકરોને પાસા હેઠળ ધરપકડ કરતાં તેના વિરોધમાં પણ કોંગ્રેસીઓએ રજૂઆત કરી હતી. જો આ બંને મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હુમલા બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગયું છે
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવતાં આદિવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. હુમલા બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગયું છે અને જિલ્લા તેમજ તાલુકા મથકો ઉપર આવેદનપત્ર આપી ઘટનાને વખોડવામાં આવી રહી છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ બારડોલીના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આદિવાસીઓમાં લોકચાહના મેળવી રહેલા ધારાસભ્ય અનંત પટેલનો વિજય નિશ્ચિત હોય કથિત રીતે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર દ્વારા આ હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજા ઉપર ધાક જમાવવા માટે આવી નિમ્ન સ્તરે રાજનીતિ આચરી રહ્યા છે, જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે.

વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ
કોંગ્રેસ દ્વારા આ ઘટના અંગે તાકીદે તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ભાજપ દ્વારા પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી સુરત શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ સુરત જિલ્લાની બહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે આવી ગેરબંધારણીય અને ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી સપ્ટેમ્બરના રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા તે સમયે લિંબાયતના ધારાસભ્ય દ્વારા રાજકીય દબાણ લાવી કોંગ્રેસ કાર્યકરો ઉપર પાયાવિહોણા છેડતીના આરોપ લગાવી ફરિયાદ ઊભી કરવામાં આવી હતી.

ઘટનાને લઇ જિલ્લા કોંગ્રેસમાં ભારે રોષ
આ મામલે શહેર કોંગ્રેસના આશિષ રાય, ગુલાબ યાદવ, કિશોર શિંદે અને સંતોષ શુક્લની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ચારેયને પાસા હેઠળ જિલ્લા બહાર અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ બંને ઘટનાને લઇ જિલ્લા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે યોગ્ય તપાસની સાથે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Most Popular

To Top