Gujarat

12 માર્ચે PM મોદી સાબરમતી આશ્રમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવશે, 21 દિવસની દાંડી યાત્રા શરૂ થશે

સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની (Azaadi Ka Amrut Mahotsav) રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ૧૨ માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા પ્રારંભ કરાવશે. આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં પણ ૭૫ સ્થળોએ રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રથમ કાર્યક્રમ અંતર્ગત 21 દિવસની દાંડીયાત્રાને (Dandi Yatra) વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. અહીંયા તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે ત્યાર બાદ હૃદય કુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડી બ્રિજ તરફ જશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે. પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી.ની દાંડીયાત્રા યોજાશે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવાના હેતુથી આ યાત્રા સાબરમતિથી દાંડી પરિભ્રમણ કરશે. આ યાત્રાનું સમાપન ૫ એપ્રિલે દાંડી ખાતે એક ભવ્ય સમારોહ યોજીને કરવામાં આવશે.

ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે. જેના અનુસંધાને રાજયના વિવિધ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ દેશભકિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત સુરત જિલ્લામાં સવારે ૧૦.૦૦ વાગે બારડોલીના ટાઉન હોલ ખાતે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બારડોલી તાલુકાના હરિપુરા ખાતે રમત ગમત, સાંસ્કૃતિક રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તથા કામરેજના દાદા ભગવાન મંદિરના પટાંગણ ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષતામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમો યોજાશે.

સ્વતંત્રતાની ભૂમીકામાં મહત્વનું યોગદાન આપનાર બારડોલી તાલુકા મથકે રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર કાર્યક્રમ યોજાશે. મહાત્મા ગાંધીજીનો બારડોલી સાથે અનોખો નાતો રહ્યો છે. સરદાર વલ્લભભાઈની આગેવાની હેઠળ ખેડુતોએ કર વધારા સામે આંદોલન છેડીને ખેડુતોને અન્યાયી વેરામાંથી મુકિત અપાવી હતી. જયારે સુભાષચંદ્ર બોઝે હરિપુરા ખાતે કોગ્રેસના અધિવેશન દ્વારા આઝાદીના જંગમાં પ્રજાજનોમાં નવા જોમનો સંચાર કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ ત્રણેય સ્થળના કાર્યક્રમોમાં કરવામાં આવશે. જણાવી દઈએ કે સમગ્ર પદયાત્રા દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ તથા માહિતી વિભાગ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે છાપરાભાઠા ખાતે દાંડીયાત્રા તથા અન્ય વિવિધ થીમ આધારિત ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top