Madhya Gujarat

દાહોદ જંક્શન બનશે, કતવારા રેલ કનેક્ટિવિટી મેળવશે

દાહોદ: દાહોદ વિકાસ માટે મહત્વની ગણાતી દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાની દાહોદ તરફની પ્રથમ તબક્કાની નિર્ધારિત લક્ષ્ય સુધીની કામગીરી પૂર્ણતાના આરે હોઈ અગામી એકાદ મહિના પછી દાહોદ તાલુકાનું અગ્રણી વેપાર મથક બનેલું કતવારા ગામ હવે રેલ કનેક્ટિવિટી પણ મેળવશે. અને ત્યારબાદ દાહોદ રેલવે સ્ટેશન જંક્શનની શ્રેણીમાં સામેલ થશે.
ત્યારે મસમોટુ રેલવેના કારખાના ધરાવતા અને સ્માર્ટસિટી તરીકે વિકાસ પામતા દાહોદ હવે અનેક સુપરફાસ્ટ ટ્રેનોના અને આંતરરાજ્યને જોડતી ટ્રેનોના સ્ટોપેજ મેળવવામાં સક્ષમ બનશે તેવું કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. તો બીજી તરફ હાલ દાહોદ રેલવે સ્ટેશનના પ્રવર્તમાન સંજોગોના કારણે કેટલીક લોકલ ટ્રેનો જેવી કે ડેમો, મેમો,તેમજ વડોદરા કોટા પાર્સલ વિગેરે ના કારણે એક્સપ્રેસ તેમજ સુપર ફાસ્ટ ટ્રેનોને અંતિમ ક્ષણોમાં પ્લેટફોર્મ નંબર 1 ના સ્થાને 2 અથવા 3 નંબર ના પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવતી હતી. અને મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હતો. તે સમસ્યામાંથી પણ દાહોદવાસીઓને છુટકારો મળશે.
છેલ્લા ત્રણ દાયકાથી ડચકા ખાતી દાહોદ ઇન્દોર રેલ પરિયોજના પૂર્ણ થશે કે નહિ તેવી આશંકાઓ પ્રજા માનસમા ઘર કરી ગઈ હતી..કેટલાક કારણોને લઈને ગોકળ ગાય કરતા પણ ધીમીગતીએ ચાલતી કામગીરીમાં અનેક રજૂઆતો અને ટેક્નિકલ બાબતોનો ઉકેલ આવતા છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભારત સરકાર અને ગુજરાત સરકારના સમનવય થકી કેન્દ્રીય બજેટમાં ચોક્કસ રકમની જોગવાઈ કરાતા અને કામગીરીમાં સક્રિયતા લવાતા પ્રજાજનોમાં પુનઃ આ રેલ યોજના સાકાર થવાની આશા જીવંત બની હતી. પરંતુ નિર્ધારિત કામગીરી 100 ટકા પૂર્ણ થાય તે પહેલા કોરોના જેવી વેશ્વિક મહામારીએ આ યોજનાની કામગીરી પુનઃ ઠપ્પ થવા પામી હતી. અને હવે આ યોજના ક્યારે સાકાર થશે..? કે નહિ થાય.? તેવા પ્રશ્નો પાછા પ્રજા માનસમાં ઉદભવા પામ્યા હતા. પરંતુ મધ્ય પ્રદેશમાં કાર્યરત રેલ લાઓ સમિતિ ઇન્દોરના સાંસદ દાહોદના સાંસદ જસવંતસીંગ ભાભોર સહિતના નેતાઓ, અગ્રણીઓ, તેમજ સંગઠનોએ આ યોજના વહેલી તકે શરૂ કરી વહેલી તરીકે પરીપૂર્ણ કરવા માંગણી સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારબાદ આ યોજનાને તબક્કાવાર પરિપૂર્ણ કરવાની યોજના સંબંધિતો દ્વારા બનાવવામાં આવી હતી. અને તે પ્રમાણે કામગીરી નાણાંની જોગવાઈ કરાતા કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ આ કામગીરી ખુબ જ ધીમી ગતીએ ચાલી રહી હતી. આ બાબતે દાહોદ ખાતે રેલવે પ્રોડકશન યુનિટની ભેટ ધરવા આવેલા નરેન્દ્ર મોદી, તેમજ તેમની સાથે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ,રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષ,પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર, રતલામ મંડળના ડીઆર એમ સહિતના ઉચ્ચ અધિકારીઓ દાહોદ આવ્યા હતા. તે સમયે પ્રેસ વાર્તા દરમિયાન પત્રકારોના સવાલના જવાબ આપતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે જણાવ્યું હતું. કે દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાની રેલ લાઈનો અને અન્ય કામગીરી અમે ખુબ ઝડપભેર પુરી કરીશું અને તે સમયે ચારથી વધુ સેક્શનમાં વહેંચાયેલી આ પરિયોજનાનું કતવારા સેક્શન સુધીનું કાર્ય સપ્ટેમ્બર માસ સુધી પૂર્ણ કરી કતવારા સુધીનું સેક્શન શરૂ કરવાની ખાત્રી ઉચ્ચારી હતી. ત્યારે ઉપસ્થિત સૌ કોઈમાં આશ્ચર્ય સર્જાયું હતું. ત્યારે સાચા અર્થમાં રેલવે તંત્રે યુદ્ધના ધોરણે કાર્ય કરી આ સેક્શનની કામગીરી પૂર્ણ કરાતા આગામી દિવસોમાં આ ઇન્દોર રેલ પરીયોજના તેના નિર્ધારિત લક્ષ્ય મુજબ પરિપૂર્ણ થશે. તો નવાઈ પામવા જેવું નહિ હોય. જોકે દાહોદ કતવારા સેક્શન અગામી એકાદ માસમાં શરૂ થશે તો વેપાર વાણિજ્ય થી વિકાસ પામતા કતવારાને રેલ કનેક્ટિવિટી સાપડતા વિકાસની વધુ તકો સર્જાશે અને કતવારા ગામ રેલવે સ્ટેશન ધરાવતું થશે.

Most Popular

To Top