ગાંધીનગર: રાજકોટમાં (Rajkot) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં શુક્રવારે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી સવારે ૯ કલાકે ફલેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રીએ બહુમાળી ભવન સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓ માટે તિરંગા યાત્રાએ દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજ્યના પ્રત્યેક નાગરિક ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થાય. કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ ભારતની ઐતિહાસિક ધરોહર છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ તિરંગા યાત્રામાં સામેલ થયેલા તમામ નાગરિકોને આવકાર્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તિરંગા યાત્રામાં જોડાયેલા તમામ નાગરિકોને નશાબંધીના શપથ લેવડાવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ કરતાં દાદા
ગાંધીનગર: ૭૩મા વનમહોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના ‘સાંસ્કૃતિક વન – વટેશ્વર વન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રના વિસ્તારમાં વધારો થયો છે. વન મહોત્સવ થકી છેલ્લા બે દાયકામાં વન્ય વિસ્તારની બહારના વિસ્તારમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા તેની સામે આજે ૫૪ ટકાના વધારા સાથે ૩૯.૫૭ કરોડ વૃક્ષો છે.
તેમણે કહ્યું હતું કે, 2૦૦૩માં જ્યાં ૧૪ વૃક્ષ પ્રતિ હેક્ટર હતા ત્યારે આજે પ્રતિ હેક્ટર ૨૫ વૃક્ષ છે. જેથી સમગ્ર ગુજરાતમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. છોડમાં રણછોડની ભાવના લોકોમાં વનમહોત્સવથી વધુ પ્રબળ બની છે. સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૭૫ સ્થળોએ નમો વડ વન સ્થાપવાનું આયોજન કર્યું છે. જેની આજે અહીંથી શરૂઆત પણ કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે વન મહોત્સવ થકી સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.