Comments

બજેટ: એક સરકારી કર્મકાંડથી આગળ કશું નહિ?

‘બજેટનું જયારે મહત્વ હતું ત્યારે બજેટની ચર્ચા ન હતી. અને હવે જયારે બજેટનું મહત્વ નથી ત્યારે બજેટની ચર્ચા છે.’ ‘છેલ્લા દસેક વર્ષથી અને ખાસ તો જીએસટીના આગમન પછી બજેટની કોઇ પણ ચર્ચા લેખ કે ટીકા ટીપ્પણ પહેલા ઉપરનું સત્ય સ્વિકારી લેવું! બજેટ એટલે કે અંદાજપત્ર આવનારા વર્ષમાં સરકાર દ્વારા થનારા આવક અને ખર્ચની શક્યતા બતાવે છે. દેશ લોકશાહી છે માટે સરકાર કરવેરા લાદતા પહેલા કે ખર્ચ કરતા પહેલા સંસદની મંજૂરી માંગે છે. સંસદની મંજૂરી પછી જ ખરડો કાયદો બને છે!

પહેલા સમાજવાદ તરફ ઠળેલા અર્થતંત્રમાં સરકારના વેરા અને ખર્ચની અર્થતંત્ર પર વ્યાપક અસર પડતી હતી. કરવેરામાં બદલાવ વરસમાં એક જ વાર થતા હતા. કલ્યાણલક્ષી અને માળખાકીય સુવિધા પાછળ નાણા સાધનોની ફાળવણી માટે આયોજન પંચ પણહતું અને સૌથી અગત્યની વાત એ હતી કે બજેટમાં સંસાધનોની ફાળવણી થતી અને તે પણ એક જ વર્ષ માટેના લક્ષ પૂરા કરવા.

હવે પેટ્રોલ-ડીજલના ભાવ માંગ-પુરવટા પરિબળ નક્કી કરે છે. અનેક પરોક્ષવેરા ભેગા કરીને એક ગુડસ એન્ડ સર્વિસટેક્ષ દાખલ કરવામાં આવ્યો છે અને તે હવે નાણાંમંત્રી જાહેર નથી કરતા. જી.એસ.ટી. કાઉન્સિલ દર છ મહિને મળે છે અને તે નક્કી કરે તે મુજબ જી.એસ.ટી.ના દર બદલાય છે. જી.એસ.ટી.એ તો રાજ્યોના બજેટનું મહત્વ લગભગ શૂન્યવત કરી દીધું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે આર્થિક હાલત થઇ છે તેની પાસે હવે આવકના સાધનો નક્કી કરવાનો હક્ક જ નથી. બધી જ આર્થિક સત્તાઓ કેન્દ્રના હાથમાં જઇ રહી છે. જી.એસ.ટી.ની આવક વધી છે પણ રાજ્યો પરાવલંબી બન્યા છે. ટુંકમાં બજેટમાં બે ભાગ હોયછે.

સરકારના ખર્ચની ફાળવણીના અંદાજો અને સરકાર દ્વારા કરવેરાની આવકાના અંદાજો આમાંથી બજેટ હવે માત્ર ખર્ચ ફાળવણી પૂરતુ જ મહત્વનું થયુ છે. વેરા માટે હવે બજેટની રાહ જોવાની નથી. અને આ સંદર્ભે નાણાંમંત્રી નિર્મલા સિતા રમણ દ્વારા રજૂ થયેલું વર્ષ 2023 – 24નું બજેટ નવુ વર્ષ 2023 24નુ બજેટ નવુ કશુ જ નથી આપતું એ માત્ર સરકારની બજેટ રજૂ કરવાની પરમ્પરા જ નિભાવે છે. હા, આ બજેટ 2024માં આવનાર લોકસભાની ચૂંટણી માટેની લાભદાયી જાહેરાતોનું પણ બજેટ નથી. કારણ એમાં કોઇ મોટી આર્થિક લાભ આપનારી કે પ્રજાને પ્રલોભીત કરનારી જાહેરાત પણ નથી. આ વર્ષના બજેટમાં સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી (આ લખનાર માટે) કે નાણામંત્રીશ્રીએ સંસદમાં જાહેર કર્યું કે ‘હવેથી સફાઈ કામદારો ગટરમાં ઊતરીને ગટરની સફાઈ નહી કરે. ‘મેન હોલ’ ગટરલાઈનની સફાઈ મશીનથી જ થશે. અને આવા મશીન ખરીદવા નગરપાલિકાઓને સરકાર નવા સાધનો ફાળવશે’’.

આઝાદીના અમૃત મહોત્સવ ઉજવતા દેશમાં, દુનિયાની પાંચ મોટી અર્થવ્યવસ્થામાં જેનું નામ છે તેવા દેશમાં બુલેટ ટ્રેન અને 5 જીના યુગમાં ગટર સાફ કરવા ગટરમાં ઊતરવું પડે અને સફાઈ કામદારનું તેમાં મૃત્યુ થાય એ વાત જ શરમજનક કહેવાય, એના માટે નાણાં ફાળવણી કેન્દ્રના બજેટમાં થાય, નાણાંમંત્રી તેની બજેટ ભાષણમાં નોંધ લે તે બાબત જ વિચારવા લાયક છે. આમ છતાં મોડે મોડે ય સરકારે પોતાની નિસ્બત બતાવી તે, માટે નાણાં ફાળવ્યા. અને સંસદમાં સ્પષ્ટ તેનો ઉલ્લેખ કર્યો તે આવકાર દાયક બાબત છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જેના માથે સ્થઆનિક સફાઈની જવાબદારી છે. ‘નાણા સાધનોનો અભાવ છે’-તેવા મુદ્દે છટકી શકશે નહીં! અને બજેટની અન્ય જાહેરાતની જેમ આ પણ માત્ર જાહેરાત ન બની રહે તથા તેનો ઝડપી અમલ થાય તે જોવું ઘટે!

બજેટ ચર્ચામાં બીજો અત્યંત ચર્ચાયેલો મુદ્દો એ આવકવેરામાં મુક્તિ મર્યાદા સાત લાખ (વાર્ષિક) રૂપિયાની કરી તે છે આપણાં મુખ્ય અખબારો અને અગ્રણી ન્યુઝ ચેનલો અર્થશાસ્ત્ર અને કરવેરાનું સામાન્ય જ્ઞાન પણ રાખતા નથી કે ન બજેટ જેવા મહત્વના સમાચાર પ્રસારિત કરતી વખતે નાણામંત્રીશ્રીએ આવકવેરાના સ્લેબ બદલ્યા છે. પણ સાત લાખ સ્લેબ નથી. રીબેટ છે. સ્લેબ તો અઢી લાખથી વધારીને ત્રણ લાખ જ કર્યો છે અઢી પાંચનો સ્લેબ ત્રણથી છ લાખનો કર્યો છે. જે કુલ આવક સાત લાખથી ઓછી હોય તો વેરા ભરવાનો થશે નહીં!

પણ જો આવક નવ લાખની હોય તો વેરાની ગણત્રી ત્રણ લાખથી કરવાની છે! સાત લાખથી નહીં! વળી સરકારે જૂનુ ટેકસ માળખુ ચાલુ જ રાખ્યુ છે. હવે જૂના માળખામાં ટેકસ ભરનાર વ્યક્તિને અઢીલાખ મકાનની લોનનું વ્યાજ બાદ મળે. દોઢ લાખ રોકાણો બાદ મળે. 50 હજાર એન.પી.એસ.બાદ મળે. 25 હજાર મેડીકલેમ બાદ મળે અને 50 હજાર સ્ટાન્ડર્ન્ડ ડીડકશન મળે! એટલે સરવાળે દસ લાખની આવકમાંથી પાંચ લાખ કપાતો મળે તો વેરાપાત્ર આવક પાંચ લાખ બને! અને પાંચ લાખ સુધી આવક વેરા મુક્તિ રીબેટનો લાભ મળે છે તો વ્યક્તિને વેરો ભરવાનો થતો નથી!

નવા કરમાળખામાં કોઈ કબાત બાદ મળતી નથી માટે ખરેખર તો જૂના માળખામાં નવલાખની આવક પર કરવેરો શૂન્ય થાય છે જયારે નવામાં સાત લાખની આવકમાં એટલે વધુ ફાયદો તો જૂનામાં છે.છેલ્લા બે વર્ષના બજેટમાં એક વાત સ્પષ્ટ દેખાય છે કે હવે સરકાર લાંબા ગાળાના લક્ષની વાતો કરે છે. આમ તો આ  વાતો વરસના બધા જ દિવસે થઇ શકે. લગભગ ચૂંટણી પ્રચાર જેવી આ વાતો બજેટમાં કરવી તે બજેટની લોકપ્રિય પ્રવચન બનાવવા જેવું છે. વળી રોજગારી ઉત્પાદન, ખેતી માટે સીધી અને પ્રત્યક્ષ અસર કરનારી કઇ જાહેરાત થતી નથી. આ વખતે તો ‘ઇન્ફ્રાસ્ટ્રકચરલ ઇન્વેસમેન્ટ’ની ફાળવણી પણ સ્પષ્ટ નથી. સિંચાઈ જેવી બાબતે હવે હાંસિયામાં ધકેલાઈ ગઇ છે.

નવી શિક્ષણનીતિનો પારો અમલ જૂન-23થી થવાનો છે તે માટે વિસેષ નાણા સાધનોનો ઉલ્લેખ આ બજેટમાં નથી હા આદિવાસી વિસ્તારોમાં એક લાખ શાળાઓ અને શિક્ષકોની ભરતી થશે તે આવકારદાયક બાબત છે. આપણાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણ પોતે અર્થશાસ્ત્રના અભ્યાસુ છે આમ છતાં તેઓ અધિકારીઓ દ્વારા રચાતા પુસ્તક આધારીત અર્થશાસ્ત્રથી વધારે પ્રભાવિત હોય તેમ લાગે છે. કરવેરા લાદવા માટેના ન્યાયના સિદ્ધાંત, શક્તિના સિદ્ધાંત, ત્યાગના સિદ્ધાંત સાથે બજેટ તૈયાર કરવાની અને આર્થિક -તાર્કિક બજેટ રચવાની તક તેઓ ઝડપી લેતા નથી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top