SURAT

દેશમાં બીજા ક્રમનો ગણેશોત્સવ સુરતમાં ઉજવાતો હોવાથી ગણેશોત્સવની મંજુરીને પગલે લાખો સુરતીઓ આનંદમાં

આખા દેશમાં મુંબઈ પછી સુરતમાં બીજા ક્રમનો ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે અને વિસર્જનના દિવસે લાખો લોકો રસ્તા પર ઉતરી આવે છે. સુરતમાં લાખો લોકો ગણેશોત્સવ સાથે સંકળાયેલા હોવાને કારણે સુરતમાં ગણેશોત્સવને મંજૂરી આપવા માટે ઠેકઠેકાણે બેનરો પણ લાગ્યા હતા.

હાલમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. ત્યારે સરકારે પણ ગણેશોત્સવ અને જન્માષ્ટમીને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને પગલે લાખો સુરતીઓ ખુશ થઈ ગયા છે. જોકે, સાથે સાથે ગણેશોત્સવમાં પ્રત્યેક સુરતીઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે જ. જો ગણેશોત્સવમાં ધ્યાન આપવામાં નહીં તો કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના રહેલી છે.

(ઓકેએનએસ) જન્માષ્ટમી અને ગણેશોત્સવ ઉજવવાની સરકારની લીલી ઝંડી, મટકી ફોડ પર પ્રતિબંધ
ગાંધીનગર : રાજય સરકારે આજે રાત્રે રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી કરી શકાશે તેવો મહત્વનો નિર્ણય લીધો છે. સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
જન્માષ્ટમી દિને તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે. જન્માષ્ટમીએ મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહિ એટલું જ નહીં મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં.

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ ગણેશોત્સવનું પર્વ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમ્યાન સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે.

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.૯ મી સપ્ટેમ્બરથી તા.૧૯ મી સપ્ટેમ્બર દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ મહાનગરોમાં રાત્રે ૧ર વાગ્યાથી કરાશે.

Most Popular

To Top