World

સુદાનમાં 72 કલાકનો યુદ્ધવિરામ

નવી દિલ્હી: સુદાનમાં (Sudan) બંને જનરલ 72 કલાકના યુદ્ધવિરામ (Armistice) માટે સંમત થયા છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ જાણકારી આપી હતી. આ યુદ્ધવિરામ લગભગ 10 દિવસની લડાઈ, સેંકડો મૃત્યુ અને મોટી સંખ્યામાં વિદેશીઓના હિજરત બાદ થવા જઈ રહી છે. આ પહેલા પણ બંને પક્ષોમાં યુદ્ધવિરામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. બ્લિંકને જાહેરાત કરી હતી કે 48 કલાકની તીવ્ર વાટાઘાટો પછી, સુદાન સશસ્ત્ર દળો અને રેપિડ સપોર્ટ ફોર્સે રાષ્ટ્રવ્યાપી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ યુદ્ધવિરામ 24 એપ્રિલની મધ્યરાત્રિથી શરૂ થશે અને આગામી 72 કલાક સુધી ચાલુ રહેશે.

સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. યુદ્ધવિરામના અમલીકરણ સાથે, ભારત ટૂંક સમયમાં આ આફ્રિકન દેશમાં ફસાયેલા પોતાના લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી શકે છે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સોમવારે કોચીમાં યુવમ કોન્ક્લેવને સંબોધતા પીએમ મોદીએ પોતે કહ્યું હતું કે ‘સુદાનમાં ગૃહયુદ્ધને કારણે આપણા ઘણા લોકો ત્યાં અટવાઈ ગયા છે. તેથી અમે તેમને સુરક્ષિત લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે.

સુદાનમાં હજુ કેટલા ભારતીયો અટવાયેલા છે?
દેશમાં હિંસા, તણાવ અને અસુરક્ષિત એરપોર્ટના કારણે વિદેશી નાગરિકોનું સ્થળાંતર મુશ્કેલ બની રહ્યું છે. દરમિયાન, અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) રાજધાની ખાર્તુમના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફસાયેલા વિદેશી નાગરિકોમાં આશરે 3,000 ભારતીયોનો સમાવેશ થાય છે. તે જ સમયે, કેરળના 48 વર્ષીય આલ્બર્ટ ઓગસ્ટિનનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.

સુદાનમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ
સંયુક્ત રાષ્ટ્રની એજન્સી અનુસાર, સુદાનમાં હિંસામાં અત્યાર સુધીમાં 427 લોકોના મોત થયા છે અને 3700થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ખાર્તુમમાં ઇજિપ્તની દૂતાવાસના એક અધિકારીનો પણ સમાવેશ થાય છે, તેઓ ઉપર તેઓ જયારે તેમના કાર્યાલયથી ઘરે પરત આવ્યા હતા ત્યારે તેઓનું હુમલામાં મોત થયું હતું. અત્યાર સુધીમાં વિવિધ દેશોના 4 હજારથી વધુ લોકોને સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, સુદાનના રહેવાસીઓએ ચાડ, ઇજિપ્ત અને દક્ષિણ સુદાનમાં પણ મોટી સંખ્યામાં સ્થળાંતર કર્યું છે. લોકો પાણી, ખોરાક અને દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે.

Most Popular

To Top