જિલ્લા પ્રમુખ સહિત સમગ્ર કાર્યકારિણીએ આપ્યાં સામૂહિક રાજીનામાં, જિલ્લા પ્રમુખ સહિત સમગ્ર કાર્યકારિણીએ આપ્યાં સામૂહિક રાજીનામાં
મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા પેટાચૂંટણી જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પૂર્વ ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાને ઉમેદવારી ન આપતાં તેમના સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. દતિયા શહેરમાં અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન, દુકાનો બંધ, મુખ્ય હાઇવે પર ચક્કાજામ અને ટાયર સળગાવી સૂત્રોચ્ચાર જેવી ઘટનાઓ સામે આવી છે. જો કે ભાજપના જિલ્લા પ્રમુખ રઘુવીરસિંહ કુશવાહ સહિત સમગ્ર જિલ્લા કાર્યકારિણીએ સામૂહિક રાજીનામાં આપી દેતાં મામલો વધુ ગંભીર બની ગયો છે.
ભાજપ હાઇકમાન્ડે દતિયા પેટાચૂંટણી માટે પૂર્વ સંભાગીય સંગઠનમંત્રી અને મધ્ય પ્રદેશ હાઉસિંગ બોર્ડના પૂર્વ અધ્યક્ષ આશુતોષ તિવારીને ઉમેદવાર જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ વર્ષોથી દતિયામાં સક્રિય રહેલા ડૉ. નરોત્તમ મિશ્રાના સમર્થકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. કાર્યકરોનું કહેવું છે કે નરોત્તમ મિશ્રાએ છેલ્લા ઘણા વર્ષોથી દતિયાના વિકાસ માટે સતત કામ કર્યું છે અને પેટાચૂંટણીની તૈયારીઓમાં પણ લાંબા સમયથી જોડાયેલા હતા, છતાં તેમને ટિકિટ ન મળતા કાર્યકરોની લાગણીઓને ઠેસ પહોંચી છે.
દતિયા શહેરમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું
ટિકિટ જાહેર થયા બાદ નરોત્તમ મિશ્રાના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ટાયર સળગાવવામાં આવ્યા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને મુખ્ય હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો. જેના કારણે વાહનવ્યવહાર લાંબા સમય સુધી ખોરવાઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી વિરોધને સમર્થન આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
જિલ્લા પ્રમુખ સહિત સમગ્ર સંગઠનના સામૂહિક રાજીનામાં
વિરોધ વચ્ચે સૌથી મોટો રાજકીય ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ રઘુવીર સિંહ કુશવાહે પ્રદેશ અધ્યક્ષ હેમંત ખંડેલવાલને સામૂહિક રાજીનામું મોકલી આપ્યું. તેમના પત્રમાં લખવામાં આવ્યું છે કે દતિયા પેટાચૂંટણી માટે જે કોઈ ઉમેદવાર પસંદ કરવાનો નિર્ણય એકતરફી રીતે લેવામાં આવ્યો છે અને સ્થાનિક કાર્યકરોની લાગણીઓની અવગણના કરવામાં આવી છે.રાજીનામામાં જિલ્લા કાર્યકારિણિના હોદ્દેદારો ઉપરાંત જિલ્લા પંચાયત અધ્યક્ષ, તેમજ જનપદ અધ્યક્ષો, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ, બડૌની પંચાયતના હોદ્દેદારો, દતિયા વિધાનસભાના છ મંડળોના અધ્યક્ષો, વિવિધ મોરચાના પ્રમુખો, તમામ નગરપાલિકા કાઉન્સિલરો તેમજ 281 બૂથોના પ્રમુખો અને કાર્યકારિણિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
24 કલાકનું અલ્ટીમેટમ
રાજીનામાના પત્રમાં જિલ્લા સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 24 કલાકમાં ભાજપ હાઇકમાન્ડ ડૉ. નરોત્તમ મિશ્રાને ઉમેદવાર જાહેર નહીં કરે તો તમામ નેતાઓ અને કાર્યકરો પાર્ટીની પ્રાથમિક સભ્યતા પરથી પણ રાજીનામું આપી દેશે અને ચૂંટણી દરમિયાન ખુલ્લો વિરોધ કરશે. આ અલ્ટીમેટમ બાદ દતિયાની રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે.
‘આશુતોષ તિવારીને લોકો ઓળખતા પણ નથી’પ્રદર્શન કરી રહેલા કાર્યકરોનું કહેવું છે કે આશુતોષ તિવારીને દતિયાના સામાન્ય મતદારો કે સ્થાનિક કાર્યકરો ઓળખતા પણ નથી. વિરોધમાં જોડાયેલા એક સમર્થકે કહ્યું કે હાલ માત્ર પાંચ ટકા કાર્યકરો રસ્તા પર છે, જો તમામ કાર્યકરો વિરોધમાં જોડાશે તો આખો વિસ્તાર ઠપ થઈ જશે. તેમણે દાવો કર્યો કે જેમ અન્ય રાજ્યોમાં ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ બદલાયા હતા તેમ દતિયામાં પણ ભાજપે પોતાનો નિર્ણય બદલવો જોઈએ.
દિલ્હી સુધી પહોંચશે વિરોધ
સૂત્રોના જણાવ્યા મુજબ નરોત્તમ મિશ્રાના સમર્થકો દિલ્હી જઈને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ પોતાની માંગ રજૂ કરશે. તેઓ આશુતોષ તિવારીના સ્થાને નરોત્તમ મિશ્રાને ઉમેદવાર બનાવવાની માંગ કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે નરોત્તમ મિશ્રા પોતે પણ દિલ્હી જવા માટે રવાના થયા છે.
આખરે ટિકિટ કેમ બદલાઈ?
દતિયા બેઠક પર વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ ડૉ. નરોત્તમ મિશ્રાને આશરે 7 હજાર મતોથી હરાવ્યા હતા. ત્યારબાદ બાદમાં રાજેન્દ્ર ભારતીની ધારાસભ્ય પદની સભ્યતા રદ થતાં અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપના આંતરિક સર્વે અને ચૂંટણી બાદના ફીડબેકના આધારે આ વખતે નવા ચહેરાને તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.
આશુતોષ તિવારી કોણ છે?
ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કરેલા આશુતોષ તિવારી લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા છે. તેઓ પૂર્વ સંભાગીય સંગઠનમંત્રી રહી ચૂક્યા છે તેમજ મધ્ય પ્રદેશ હાઉસિંગ બોર્ડના પૂર્વ અધ્યક્ષ પણ રહ્યા છે. તેઓ દતિયાના જ રહેવાસી છે અને સંગઠનમાં લાંબા સમયથી સક્રિય માનવામાં આવે છે. તેમ છતાં સ્થાનિક સ્તરે નરોત્તમ મિશ્રાના પ્રભાવને ધ્યાનમાં લેતા તેમની ઉમેદવારીને લઈને ભારે વિરોધ ઊભો થયો છે.
ભાજપ સામે મોટો રાજકીય પડકાર
દતિયામાં ભાજપનું સંગઠન વર્ષોથી મજબૂત માનવામાં આવે છે. પરંતુ હાલની પરિસ્થિતિએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક સંગઠનનો મોટો વર્ગ નરોત્તમ મિશ્રાના સમર્થનમાં ઉભો છે. જિલ્લા પ્રમુખથી લઈને બૂથ સ્તરના કાર્યકરો સુધી અસંતોષ વ્યક્ત કરતા હોવાથી ચૂંટણી પહેલાં ભાજપ માટે સંગઠનને એકજૂટ રાખવું સૌથી મોટો પડકાર બની શકે છે.
હવે સૌની નજર હાઇકમાન્ડના નિર્ણય પર
હાલ રાજકીય વર્તુળોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભાજપ હાઇકમાન્ડ સ્થાનિક સંગઠનના દબાણ સામે ઝૂકીને ઉમેદવાર બદલશે કે પછી આશુતોષ તિવારીને જ મેદાનમાં ઉતારશે. જો નિર્ણય બદલાશે નહીં તો નરોત્તમ મિશ્રા પોતાના સમર્થકોને શાંત રાખી શકશે કે નહીં અને તેઓ ખુદ સત્તાવાર ઉમેદવાર માટે પ્રચાર કરશે કે નહીં, તે પણ મહત્વનો મુદ્દો બની ગયો છે.
રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર શક્ય
દતિયાની પેટાચૂંટણી હવે માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કર ન રહી, પરંતુ ભાજપના આંતરિક અસંતોષની કસોટી પણ બની ગઈ છે. જો પક્ષ ઝડપથી સ્થિતિ સંભાળી શકશે નહીં તો વિરોધી પક્ષને તેનો રાજકીય લાભ મળી શકે છે. બીજી તરફ, જો હાઇકમાન્ડ અને સ્થાનિક નેતાઓ વચ્ચે સમાધાન થાય તો ભાજપ ફરી એકવાર સંગઠનને એકજૂટ કરીને ચૂંટણીમાં ઉતરી શકે છે. હાલ સમગ્ર રાજ્યની રાજકીય નજર દતિયા પર કેન્દ્રિત થઈ ગઈ છે, જ્યાં આગામી દિવસોમાં લેવાતા નિર્ણયો પેટાચૂંટણીનું ચિત્ર બદલવાની ક્ષમતા ધરાવે છે.