Entertainment

આમિર ખાન આ ખેલાડીની બાયોપિક પર ફિલ્મ બનાવશે?, ખેલાડીએ કહ્યું, આમિર મારી ફિલ્મમાં કામ કરે તો મને આનંદ થશે

છેલ્લા કેટલાક સમયથી મોટી સ્પોર્ટસ હસ્તીઓ પર બાયોપિક (Biopic) બનાવવાનો ટ્રેન્ડ (Trend) ચાલી રહ્યો છે. ખેલ જગત પર એમ.એસ.ધોની, (M S Dhoni) દંગલ અને તુફાન જેવી ફિલ્મો બની છે અને સુપર હિટ રહી છે. ત્યારે વધુ એક ખેલાડી પર બાયોપિક બનવાની વાતો ચર્ચામાં છે અને આ ખેલાડીએ પણ એ વાતને સમર્થન આપી દીધું છે. ખુશીની વાત એ છે કે દિગ્ગજ અભિનેતા આમિર ખાન (Aamir Khan) આ ખેલાડીની બાયોપિકમાં કામ કરે તેવા સંકેત મળ્યા છે.

મળેલી માહિતી અનુસાર શતરંજની દુનિયામાં કાઠું કાઢનારા વિશ્વ વિખ્યાત ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદની (Vishvnath Aanand) બાયોપિક બનવા જઈ રહી છે. બાયોપિક તેમનાં બાયોપિક કાર્ડ પર આઘારિત છે. તેમના જીવન પર ફિલ્મ બનવાની છે. આનંદે કહ્યું કે, આમિર ખાન સ્ક્રીન પર વિશ્વનાથન આનંદની ભૂમિકા ભજવે તો તેમને ખૂબ ખુશી થશે. તેઓને લાગે છે કે, તેમનામાં અને આમિર ખાનમાં ઘણી સમાનતાઓ છે. આ અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, ત્યારે મોટા પડદા પર આમિરને ચેસના ગ્રાન્ડમાસ્ટરની ભૂમિકા ભજવતા જોવા મળશે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અદ્વૈત ચંદનની લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. આમિર ખાન સાથે આ ફિલ્મમાં કરીના કપૂર ખાન જોવા મળશે. આનંદે બાયોપિક વિશે વાત કરતાં જણાવેયું કે, “મેં બાયોપિક માટે મારી મંજૂરી આપી દીધી છે. આ મામલે નિર્માતા સાથે ભૂતકાળમાં ઘણી વખત વાત કરવામાં આવી છે. મેં તેમને મારા જીવનની સત્યઘટનાઓનો ચિતાર આપ્યો છે. ટૂંક સમયમાં સ્ક્રિપ્ટ લખવાનું કામ શરૂ થશે. આ અગાઉ કોરોનાને કારણે સ્ક્રીપ્ટનું કામ અટકી ગયું હતું. આશા છે કે આ કાર્ય ખૂબ જ જલ્દીથી શરૂ થશે. હું અત્યારે બાયોપિક વિશે વધુ કહી શકું તેમ નથી. મને ખબર નથી કે શૂટિંગ ક્યારે અને કેવી રીતે શરૂ થશે. તેમજ ફિલ્મમાં મારી ભૂમિકા કોણ ભજવશે.“ નોંધનીય છે કે આ અગાઉ ફોગટ બહેનો પર બનેલી દંગલમાં પણ આમિરે અભિનેતા તરીકેની ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top