Dakshin Gujarat

કેદારનાથની ઊંડી ખીણમાં પડી જતા વલસાડનાં યુવકનું મોત, ત્યાં જ કરાયા અંતિમ સંસ્કાર

વલસાડ: હાલમાં ચારધામ યાત્રા ચાલી રહી છે. ગુજરાત(Gujarat)માંથી હજારો લોકો ચારધામ(Chardham)ની યાત્રા કરવા માટે ગયા છે. જો કે આ યાત્રા વચ્ચે ગુજરાત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ચારધામની યાત્રાએ ગયેલો વલસાડ(Valsad)નો યુવક કેદારનાથ(Kedarnath)ની ઊંડી ખીણમાં પડી ગયો હતો. જેથી તેનું મોત નીપજ્યું છે. યુવક ગ્રૂપ સાથે ચારધામ યાત્રાએ ગયો હતો. ત્યાં જ તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

પહેલા હરિદ્વારમાં પડી જતા માથામાં થઇ હતી ઈજા
પારડી તાલુકાનાં કલસર ગામના સડક ફળિયામાં રહેતા ધનિશ ભીકુભાઈ પટેલ ગામના જ કલસર ગામના 40 ભક્તોનું ગ્રૂપ થોડા દિવસ પહેલા ચારધામની યાત્રાએ ગયો હતો. યાત્રામાં સૌ પ્રથમ તેઓ હરિદ્વાર ગયા હતા. જ્યાં તે યુવક પડી જતા તેને માથામાં સામાન્ય ઈજા પહોંચી હતી. જો કે ત્યારબાદ પણ તેને યાત્રા શરુ રાખી હતી. યાત્રા આગળ વધતા તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં રામપુર ખાતેની એક હોટલમાં રોકાણ કર્યુ હતું.

પહાડીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
વહેલી સવારે યુવક કામથી હોટલ બહાર નીકળ્યો હતો. જ્યાં તે ફરી પડી ગયો. પરંતુ આ વખતે તે નજીકની એક ખીણમાં પડી ગયો હતો. જો કે યુવક ખીણમાં પડી ગયાની જાણ સ્થાનિક લોકોને થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને આ બાબતની જાણ તેના ગ્રૂપને કરી હતી. ગ્રુપ દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધનિશને શોધવા રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યુ ઓપરેશનના અંતે યુવકનો મૃતદેહ પહાડીમાંથી મળી આવ્યો હતો.

પરિવાર શોકમાં ગરકાવ
ગ્રૂપ દ્વારા આ દુઃખદ સમાચાર કલસરમાં રહેતા તેના પરિવારજનો જાણ કરવામાં આવી હતી. આ જાણીને તેના પરિવારમાં શોકનો માહોલ ફેરવાઈ ગયો છે. સાથે જ ભક્તોના ગ્રૂપમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. જોકે, મૃતક ધનિશની કેદારનાથમાં જ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

ચારધામ યાત્રામાં અત્યાર સુધી 44ના મોત
ચાર ધામમાં સૌથી કઠિન યાત્રા કેદારનાથની છે, અહી પહોંચવા માટે ગૌરીકુંડથી 18 કિમીનુ ચઢાણ કરીને પહોંચવુ પડે છે. શ્રદ્ધાને કારણે મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરવાનુ પસંદ કરે છે. જેને કારણે રસ્તામાં તેમની તબિયત લથડી છે. પહાડી ચઢવાનો અનુભવ ન હોવાને કારણે તેઓને અનેક તકલીફો થાય છે. કેદારનાથ યાત્રા માર્ગથી લઈને ધામ સુધીમાં ઓક્સિજનના અભાવને કારણે મુસાફરોના મોત થાય છે. ચારધામ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધી 44 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ કેદારનાથ ધામમાં થયા છે.

Most Popular

To Top