Health

કેન્સરની દવાઓની અછત વચ્ચે ભાવ વધારાની તૈયારી, દર્દીઓ અને પરિવારોમાં ચિંતા

દેશભરમાં કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓની અછત વચ્ચે હવે તેમના ભાવમાં વધારાની શક્યતાએ દર્દીઓ અને તેમના પરિવારજનોની ચિંતા વધારી છે. કેન્દ્ર સરકારે કેન્સરની સારવારમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન દવાઓના ભાવ વધારવા માટે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશની અનેક હોસ્પિટલોમાં આ બંને દવાઓના સપ્લાયમાં અવરોધ જોવા મળી રહ્યો છે. કેન્સરની સારવાર માટે આ દવાઓ અત્યંત મહત્વની માનવામાં આવે છે અને તેમની અછત દર્દીઓ માટે મોટી સમસ્યા બની શકે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ (DoP) દ્વારા એનપીપીએને લખાયેલા પત્રમાં ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર (DPCO)ના પેરા 19 હેઠળ ભાવ વધારાની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. આ જોગવાઈ હેઠળ સરકાર અને એનપીપીએને વિશેષ પરિસ્થિતિઓમાં જનહિતને ધ્યાનમાં રાખીને દવાઓની મહત્તમ અથવા રિટેલ કિંમતમાં ફેરફાર કરવાનો અધિકાર મળે છે. માહિતી અનુસાર, એનપીપીએ આગામી થોડા દિવસોમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લઈ શકે છે. જો મંજૂરી આપવામાં આવશે તો સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનના ભાવમાં એક વખતનો વધારો થઈ શકે છે.

ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ લાંબા સમયથી આ દવાઓના ભાવ વધારાની માંગ કરી રહ્યો હતો. કંપનીઓનું કહેવું છે કે વર્તમાન કિંમતો પર આ દવાઓનું ઉત્પાદન કરવું આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યું છે. ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થવાને કારણે સપ્લાય જાળવવામાં પણ પડકારો ઊભા થઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સના સચિવ મનોજ જોશીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સરકાર તમામ આવશ્યક દવાઓના ભાવમાં એકસાથે વધારો કરવાની તરફેણમાં નથી. જોકે કેટલાક એવા કિસ્સાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં કાચા માલના ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે.

તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે કેન્સરની આ દવાઓના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પ્લેટિનિયમના ભાવમાં છેલ્લા સમયગાળા દરમિયાન લગભગ 250 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આ કારણે ઉત્પાદન ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે અને તે અંગે સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન કેન્સરની સારવારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કીમોથેરાપી દવાઓમાં સામેલ છે. ઓવેરિયન, સર્વાઇકલ, બ્રેસ્ટ, ફેફસાં, મોઢા, માથા અને ગરદનના કેન્સર ઉપરાંત બ્લેડર અને ટેસ્ટિક્યુલર કેન્સરની સારવારમાં આ દવાઓને ફર્સ્ટ લાઇન થેરાપી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કારણે દવાઓની અછત અથવા ભાવમાં વધારો લાખો દર્દીઓ પર સીધી અસર કરી શકે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે દર્દીઓને સારવારથી વંચિત ન રહેવું પડે અને દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે સંતુલિત ઉકેલ શોધવો જરૂરી છે.

Most Popular

To Top