હરણી વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ગૌપાલકોએ પશુ છોડાવવા માટે ભારે હંગામો મચાવ્યો હતો. ઉપરાંત ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે મારામારી કરીને એક ગાય છોડાવી ત્રણ પશુપાલક ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યુ મકરપુરા જાંબુવા રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા ઉમેશ સુધાકર જોષી ઢોર પાર્ટીના અન્ય સ્ટાફ સાથે 23 એપ્રિલે સાંજના સમયે વૈકુંઠ-2 આમ્બાવાડી પાછળ ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક ગાય પકડતાં ગૌપાલક લાકડી લઈને આવ્યો અને તેની સાથે બે અજાણ્યા ગૌપાલકો દોડી આવ્યા હતા અને ગાળાગાળી અને હાથાપાઇ કરી સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. આરોપીઓ ગાયને છોડાવી લઈ જતા ફરાર થઈ ગયા હતા. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં રૂકાવટ ઉભી કરનાર સામે હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે પશુપાલકો સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.