દિવાળી પછીનો સૌથી મોટો તહેવાર હોળી છે. સુરત એટલે શેરીઓમાં વસતું શહેર. ચાર શેરીઓ વચ્ચેના ભાગને ચકલો કહેવામાં આવે છે. સુરતીઓ હોળી ચકલા તરીકે પણ ઓળખે છે. ચકલા પર હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીનું ધાર્મિક મહત્ત્વ છે. હોળીના દિવસે સુરતમાં જુવારની ધાણી અને ચણા ખાવાની પરંપરા ચાલી આવેલી છે. ફાગણ મહિનો શરૂ એટલે સુરતની શેરીઓના નાકે ધાણી ફોડવાની ભઠ્ઠી લાગી જાય. સુરતી ગૃહિણીઓ લાલ જુવાર ખરીદી કરી તેને પાણીમાં પલાળી સૂકવતા.
જુવાર સુકાઈ જાય એટલે ભઠ્ઠીમાં ફોડાવવામાં આવતી,ભઠ્ઠી ઉપર મોટા કરૈયામાં ગરમ રેતીમાં જુવાર ફોડવામાં આવે છે. ધાણી ફોડાવવા માટે ભઠ્ઠીએ લાઈનો લાગતી હતી. જુવારની ધાણી કફનાશક છે. શિયાળામાં કફ જામી ગયો હોવાથી હોળી ટાંકણે ધાણી ખાવાની પ્રથા ચાલી આવેલ છે. ગૃહિણીઓ હોળી ભૂખ્યાં રહે છે ત્યારે બપોરે ધાણી ચણા ખાય છે. આજે પણ જુવારની સફેદ ધાણી તૈયાર ખરીદી કરવામાં આવે છે. ઋતુ મુજબ ખાણીપીણી સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
સુરત -કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે