Vadodara

માલસર નર્મદા બ્રિજ પાસે ગેરકાયદે રેતી ખનન બંધ થતા જાહેરનામાનો ખોટો વિરોધ

બ્રિજની બાજુમાં તેમજ માલસર તીર્થ વિસ્તારમાં ગેરકાયદે રસ્તો બનાવી રેતી ખનન કરતા ભૂમાફિયાઓ દ્વારા અપપ્રચાર


(પ્રતિનિધિ) માલસર
માલસર નર્મદા બ્રિજની બાજુમાં તેમજ માલસર તીર્થ વિસ્તારમાં ગેરકાયદે રસ્તો બનાવી રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા બાદ હવે વિવાદ ઉભો થયો છે. રેતી ચોરી અને ગેરકાયદે રસ્તા બનાવવાના ધંધા બંધ થતાં માલસર ગામના બે અને પડોશી અંબાલી ગામના એક શખ્સ દ્વારા જાહેરનામાનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થયો છે.


ખેડૂતો, વેપારીઓ અને સાધુ-સંતોમાં આનંદ
જ્યારે બીજી તરફ સમસ્ત માલસર ગામના ખેડૂતો, કેળાના વેપારીઓ, યાત્રાળુઓ, સાધુ-સંતો અને આશ્રમોના મહંતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના લોકો નર્મદા મૈયાની આસ્થાના ભાગરૂપે પૂજા-અર્ચના કરી રહ્યા છે અને કલેક્ટરના નિર્ણયને આવકાર આપી રહ્યા છે.

કલેક્ટરની વારંવાર સ્થળ તપાસ
માહિતી મુજબ, કલેક્ટરે જાતે ત્રણ વખત સ્થળ તપાસ કરી હતી, જ્યારે પ્રાંત અધિકારીઓ દ્વારા 10થી 12 વખત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગામના લોકો અને આશ્રમના મહંતોના નિવેદનો લીધા બાદ જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
જાહેરનામાનું ખોટુ અર્થઘટન કરવાનો આક્ષેપ
કલેક્ટરના જાહેરનામામાં બીજી જ લાઈનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે નર્મદા નદી કિનારે ભારે વાહનો માટે પ્રતિબંધ છે, તેમ છતાં ભૂમાફિયાઓ દ્વારા જાહેરનામાનો ખોટો અર્થઘટન કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ છે.

ગોચર જમીન ખોદી રસ્તો બનાવવાનો મુદ્દો
ગામમાં ગોચરની જમીન ખોદી ગેરકાયદે રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેના અંગે વિસ્તૃત તપાસ કરવાની માંગ ઉઠી છે. ખોટા નિવેદનો આપનારાઓ પોતે જ રેતી ચોરી અને ગેરકાયદે રસ્તા બનાવવાના કામમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.
પંચાયત પદનો ગેરઉપયોગ થયો?
માલસર ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ મહિલા હોવા છતાં તેમના પતિઓ દ્વારા સત્તાનો ગેરઉપયોગ કરીને અંગત સ્વાર્થ માટે ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ કરી ગુજરાત સરકારે યાત્રાધામ તરીકે જાહેર કરેલા માલસર તીર્થને નુકસાન પહોંચાડવાની કોશિશ થતી હોવાની ચર્ચા પણ ઉઠી છે. આ મામલે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા તપાસ થવી જોઈએ તેવી માંગ છે.
કડક તપાસની ગ્રામજનોની માંગ
જાહેરનામાનું ખોટુ અર્થઘટન કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવતા અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડકમાં કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સમસ્ત માલસર ગામના લોકો દ્વારા કરવામાં આવી છે. ગ્રામજનોએ કહ્યું છે કે જો સહયોગી લોકોની પણ તપાસ થશે તો “દૂધનું દૂધ અને પાણીનું પાણી” સ્પષ્ટ થઈ જશે.

Most Popular

To Top