Dakshin Gujarat

સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાશે, નીચાણવાળા વિસ્તારનાં લોકોને એલર્ટ

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં પુનઃ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલાં ઈન્દિરા સાગર ડેમમાં પાણીનો આવરો વધ્યો છે. જેના કારણે બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં નર્મદા ડેમમાં 12 દરવાજા દોઢ મીટર ખોલીને સરદાર સરોવરમાં ૩.55 લાખ કયૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. જો કે મધરાત્રે 2 વાગ્યે નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને 2.95 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈને નર્મદા નદીમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટીમાં વધારો થતા ગુરુવારે બપોરે સપાટી 14.69 ફૂટ હતી અને સાંજે 6 વાગ્યા સુધીમાં વધીને 18.69 ફૂટે પહોચી હતી. ગુરુવારે પાણીની આવક વધતા ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી 4 લાખ કયુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને ભરૂચ સહીત ત્રણ જીલ્લાના નીચાણવાળા વિસ્તારનાં લોકોને એલર્ટ અપાયું છે.

ગુરુવારે વહેલી સવારે નર્મદા ડેમ અને પાવર હાઉસમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મોડી રાત્રે 15 દરવાજા ખોલી 2 લાખ 50 હજાર કયુસેક અને પાવરહાઉસ મારફતે 45 હજાર ક્યુસેક મળી કુલ 2 લાખ 95 હજાર કયુસેક પાણી નદીમાં છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. નર્મદા,વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોના 16 ગામોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. ત્રણેય જિલ્લા કલેક્ટરને સાવચેતીના પગલા લેવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ છે. ગઈ કાલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટ ખોલવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમ 89 ટકા ભરાયેલો છે.

ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. ડેમમાં પાણીની આવક હાલ 28 હજાર 934 ક્યુસેક થઈ રહી છે. કરજણ ડેમની જળસપાટી 111.7 મીટર પર પહોંચી છે જ્યારે ડેમનું રૂલ લેવલ 110.01 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 28934 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ ડેમના 2,5,અને 7 નંબર ના 2 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે જેને કારણે કરજણ નદી બે કાંઠે વહીને નર્મદા નદીને ભળશે.

સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ
વધુમાં સાર્વત્રિક વરસાદને પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50થી 70 ટકા વચ્ચે, જ્યારે 17 ડેમ 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

Most Popular

To Top