Dakshin Gujarat

લગ્નપ્રસંગમાંથી પરત ફરતાં સોનગઢના નીંદવાડાના પરિવારને અકસ્માત નડ્યો, ચારનાં મોત

માંડવી: માંડવી-ઝંખવાવ રોડ પર આવેલા ગામતળાવ ખુર્દ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપ નજીક મધરાત્રે 1.45ના અરસામાં ટ્રક અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત થતાં સોનગઢના નીંદવાડા ગામના ચારનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ બોલેરો પિકઅપ ઉમરપાડાના ઉમરગોટ ગામે લગ્નપ્રસંગ પૂર્ણ કરી પરત ફરતી હતી. એ વેળા આ અકસ્માત થયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવી-ઝંખવાવ રોડ પર આવેલા ગામતળાવ ખુર્દ ગામની સીમમાં ભારત પેટ્રોલપમ્પ પાસે ટ્રક નં.(જીજે05-YY-6447)ના ચાલકે ટ્રક પૂરઝડપે હંકારતાં ઉમરપાડાના ઉમરગોટથી લગ્નપ્રસંગ પૂર્ણ કરી નિંદવાળા ગામે ઘરે પરત જતી વેળા મધરાત્રે 1.45ના અરસામાં બોલેરો પિકઅપ નં.(GJ-26-U- 1362)ને એડફેટે લીધી હતી.

આ બનાવમાં પિકઅપના ચાલક અશોક હીરાજી વસાવા (ઉં.વ.28) (રહે.,નીંદવાડા, ઘાટ ફળિયું, સોનગઢ, જિ. તાપી)એ કાબૂ ગુમાવ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં પિકઅપમાં સવાર ચાર જણાનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે અન્ય લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ બનાવ બનતાં આસપાસના લોકો તથા પીઆઈ જે.જી.મોડ અને પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ટ્રકચાલક આરોપીની પોલીસે ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

એક જ પરિવારના ત્રણનાં મોતથી પરિવારજનોમાં શોક
માંડવીમાં પિકઅપ ટેમ્પો લઇ લગ્નપ્રસંગે ગયેલા સોનગઢના નિંદવાડાના આદિવાસી પરિવારને મોડી રાત્રે અકસ્માત નડતાં એક જ કુટુંબના ૩ સહિતના ૪નાં મોતથી નીંદવાડા ગામમાં શોકનો માહોલ છવાયો ગયો હતો. એક જ કુટુંબના બસ સ્ટેન્ડ ફળિયાના કુમનાભાઈ રામાભાઈ વસાવા (ઉં.વ.૬૦), ગુલાબભાઇ ઉબડાભાઇ વસાવા (ઉં.વ.૪૦), તાપી ફળિયાનાં શારદાબેન મનજીભાઈ વસાવા (ઉં.વ.૪૨)નાં મોત નીપજ્યાં હતાં.

ગામના બસ સ્ટેન્ડ ફળિયાનાં ગામુબેન બોંદલીયાભાઈ વસાવા (ઉં.વ.૬૦)નું પણ મોત થતાં એક જ ગામના ચાર વ્યક્તિના મોતથી ગામમાં શોકનો મોજું ફરી વળ્યું હતું. અંતિમયાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Most Popular

To Top