SURAT

સુરત પાલિકાએ ગણેશ વિસર્જન માટે 21 કૃત્રિમ તળાવ બનાવ્યા

સુરતઃ શહેરમાં ગણેશ ભક્તોએ નવ દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરી છે. બાપ્પાની સેવાપૂજા કર્યા બાદ હવે આવતીકાલે તા. 17 સપ્ટેમ્બરના મંગળવારના રોજ ગણેશજીની વિદાયનો સમય આવી ચૂક્યો છે. આવતીકાલે અનંત ચતુદર્શીના દિવસે ગણેશ વિસર્જન છે. ઘર આંગણે, સોસાયટીઓમાં, કૃત્રિમ તળાવમાં, નદીમાં બાપ્પાની મૂર્તિનું આવતીકાલે વિસર્જન કરવામાં આવશે. વિસર્જન માટે સુરત મનપા દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આવતી કાલે મંગળવારે તા. 17 સપ્ટેમ્બરના રોજ સુરત શહેરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી અંદાજે 45 હજારથી વધારે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કાર્ય હાથ ધરવામાં આવનાર છે. તેના માટે સુરત મહાનગર પાલિકા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત શહેરના નવ ઝોનમાં કૂલ 21 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને તેમાં જ ભગવાન શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જાન થાય એવુ આયોજન કરવામાં આવ્યુ છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશના પગલે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન ન થતું હોવાથી આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત શરૂ કરી હતી. શહેરના કેટલાક વિસ્તારમાં ગૌરી ગણેશ તથા અન્ય ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પણ કૃત્રિમ તળાવોમાં કરવામાં આવ્યું હતું.

આવતીકાલે હવે આનંદ ચૌદશ હોવાથી શહેરના તમામ કૃત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેની સાથે તમામ આવશ્યક સુવિધા પણ ઉભી થઈ રહી છે. દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થતું હોવાથી આ પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરે છે.

સુરત મહાનગરપાલિકાના નવું ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. વરાછા ઝોનમાં ટી.પી.સ્કીમ નંબર-60(પુણા), ફાઈનલ પ્લોટ-આર-45 પર કૃત્રિમ તળાવ તળાવ બનાવવા માટે ગત વર્ષે થયેલા 35.49 લાખના ખર્ચ સામે ચાલુ વર્ષે 38.01 લાખના ખર્ચે તળાવ બનાવાશે. જ્યારે ઉધના ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર-22માં ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે અને ટી.પી. સ્કીમ નંબર-6 (મજૂરા-ખટોદરા) ખાતે રોકડીયા હનુમાન મંદિરની સામે કૃત્રિમ તળાવ બનાવવા 53.82 લાખનો અંદાજ રજુ કરાયો છે.

આ ઉપરાંત કતારગામ ઝોનમાં 61.36 લાખના ખર્ચે, અઠવા ઝોનમાં 44.11 લાખના ખર્ચે અને સરથાણા ઝોનમાં 60.28 લાખના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવા માટેની મંજૂરી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આવતી કાલે સૂર્યાસ્ત પહેલા તમામ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કાર્ય સંપન્ન થાય તેના માટે પણ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top