વલસાડ નજીક અગસ્ત ક્રાંતિ ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ થયો, ટ્રેકની વચ્ચે સિમેન્ટનો પોલ મૂકી દેવાયો હતો

વલસાડ: (Valsad) મુંબઈ-દિલ્હી વચ્ચે દોડતી અગસ્ત ક્રાંતિ (August Kranti) ટ્રેનને (Train) વલસાડના અતુલ (Atul) રેલવે સ્ટેશન (Railway Station) નજીક ઉથલાવી પાડવાનો કોઈ ટિખળખોરે પ્રયાસ કર્યો હતો. ઉત્તરાયણની સાંજે આ ઘટના બની છે. ટ્રેન અને મુસાફરો સુરક્ષિત (Passenger Safe) છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ ટિખળખોરે ઉત્તરાયણની સાંજે રેલવે ટ્રેક (Railway Track) પર સિમેન્ટનો પોલ (Cement Poll) મુક્યો હતો. 14મી જાન્યુઆરીની સાંજે 7.10 કલાકે અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ ત્યારે પોલનો છૂંદો નીકળી ગયો હતો, ટ્રેનને કોઈ નુકસાન થયું નહોતું. અગસ્ત ક્રાંતિ બાદની તમામ ટ્રેનને 5 મિનીટ મોડી દોડાવાઈ હતી.

શું બન્યું હતું?
કોઈ ટીખળખોરે તારખૂંટા નજીકનો પોલ ઉખાડી અમદાવાદ તરફના રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો. એ ટ્રેક પરથી સૌ પહેલાં અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી. આ ટ્રેને સિમેન્ટના પોલને તોડી નાંખ્યો હતો. ટ્રેન કે તેના યાત્રીઓને કોઈ નુકસાન પહોંચ્યું નહોતું. ઘટના અંગે અગસ્ત ક્રાંતિના પાયલોટ મહમદ સિદ્દીકીએ અતુલ રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં GRP, RPF અને વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી બાતમીદારોને સતર્ક કરીને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. બાઉન્ડરી બાંધવા ઉપયોગમાં લેવાયેલા સિમેન્ટનો પોલ કોણે અને કયાં કારણોથી રેલવે-ટ્રેક પર મૂક્યો હતો એ અંગે પોલીસે તપાસ કરી રહી છે.

સમગ્ર મામલાની ગંભીરતાને જોતા રેન્જ આઈજીએ પણ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તેઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એફએસએલ અને ડોગ સ્કવોડ પણ તપાસ કરી રહી છે. પોલીસની જુદી જુદી ટીમ દ્વારા નજીકના વિસ્તારોમાં ટ્રેકની આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલાં કામ ઉપર કામ કરતા મજદૂરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ ઘટનામાં સદ્દનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પોલ તૂટીને દૂર ફેકાઈ ગયો હતો, પરંતુ જો પોલ મજબૂત અને વજનદાર હોત તો ખૂબ જ મોટી દુર્ઘટના બને તેવી શક્યતા હતા. પોલીસ અધિકારીઓ ટ્રેકની વચ્ચે પોલ મુકનાર ટીખળખોરને શોધી રહી છે.

Most Popular

To Top