SURAT

કોવિશિલ્ડ વેક્સીન અંગે કંપનીના ખુલાસા બાદ સુરતના 38 લાખ લોકો ચિંતામાં મુકાયા

સુરત : કોવિશિલ્ડ રસી મુદ્દે કંપની દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવતાં સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના મહામારી સામે શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત સુરત સહિત દેશભરમાં કરોડોની
સંખ્યામાં લોકોએ કોવિશિલ્ડ વેક્સીન મુકાવી હતી.

  • 38 લાખ લોકોએ પહેલો, 35 લાખ લોકોએ બંને ડોઝ જ્યારે આઠ લાખ લોકોએ બુસ્ટર ડોઝ પણ મુકાવ્યા છે

જો કે, હવે વેક્સીનને પગલે લોહીમાં ગાંઠો પડવાથી મોત થતાં હોવાના આક્ષેપો વચ્ચે કંપની દ્વારા સાઈડ ઈફેક્ટની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અલબત્ત, સુરત શહેર – જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુવકોના શંકાસ્પદ મોતને પગલે આ પ્રકારના આક્ષેપો ઉઠવા પામ્યા હતા.

બીજી તરફ સુરત શહેરમાં જ 38 લાખથી વધુ નાગરિકોને કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી છે. સુરત શહેર – જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરબા રમતાં, મોર્નિંગ વોક પર નીકળેલા અને સામાન્ય કામ કરી રહેલા યુવકોના પણ ઢળી પડતાં મોત નિપજવાના સમાચારો સામે આવી રહ્યા હતા.

જો કે, કોઈ આધારભૂત માહિતી અને આ સ્થિતિ અંગેનો અભ્યાસ ન હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓને પણ એક તબક્કે સામાન્ય ગણી લેવામાં આવી છે. બીજી તરફ હવે કોરોના મહામારી સામે બ્રહ્માસ્ત્ર ગણાતી કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટ એટેકના જોખમના સમાચારોને પગલે શહેરીજનોમાં પણ ભયનો માહોલ પ્રસરી ગયો છે. બે વર્ષ બાદ બ્રિટિશ કોર્ટમાં કંપની દ્વારા આ અંગેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને હવે આ વાત જગજાહેર થઈ ચુકી છે.

કંપનીના જણાવ્યા અનુસાર થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં જ 38.66 લાખ નાગરિકોએ કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો છે જ્યારે 35 લાખથી વધુ નાગરિકોએ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા છે. આ સિવાય આઠ લાખ જેટલા નાગરિકોએ
કોવિશિલ્ડનો બુસ્ટર ડોઝ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે સુરતમાં કોવિશિલ્ડના ડોઝ લેનારા નાગરિકોમાં
હવે ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે.

વેક્સિનેટેડને આ પ્રકારની આડઅસર થાય છે

  • શરીરના જુદા જુદા અંગોમાં લોહી ગંઠાવા લાગે છે
  • શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે
  • બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે

સુરતમાં શંકાસ્પદ મોત અંગે કોઈ ડેટા નથી
સુરત શહેર – જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 20થી 40 વર્ષના યુવકોના શંકાસ્પદ મોતની ઘટનાઓ છાશવારે નોંધાઈ
રહી છે. નખમાં પણ રોગ ન હોય તેવા યુવકોને સામાન્ય કામ દરમિયાન પણ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યા
હોવાને કારણે એક તબક્કે કોરોના મહામારીને પગલે આવી ઘટનાઓ બની રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

અલબત્ત, જે તે સમયે તબીબોથી માંડીને સરકાર દ્વારા પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી અને જેને પગલે
સુરતમાં શંકાસ્પદ મોતમાં કેટલા યુવકોએ કોવિશિલ્ડની રસી મૂકાવી હતી કે તેમને કોરોના થયો હતો કે નહીં તેવી કોઈ
ચોક્કસ માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.

Most Popular

To Top