Comments

સંયુક્ત રાષ્ટ્ર સંઘની મ્યાનમારની સૈન્ય સરકારને લોકશાહીમાં પાછા ફરવા વિનંતી

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મ્યાનમારની સૈન્ય સરકારને તાત્કાલિક લોકશાહીમાં પાછા ફરવા વિનંતી કરી છે અને કહ્યું છે કે મ્યાનમારની વર્તમાન સ્થિતિ આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા માટે તો મોટો ખતરો છે જ, પણ દેશનાં નાગરિકો માટે અનંત દુઃસ્વપ્ન સમાન બની રહી છે. ગયા વરસે ફેબ્રુઆરીમાં સૈન્યે આંગ સાન સુ કીની નાગરિક સરકારને હટાવી દીધી ત્યારથી મ્યાનમાર લોહિયાળ સંઘર્ષમાં ધકેલાઇ ગયું છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે. પ્રાદેશિક સંગઠન એસોસીએશન ઑફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ની સમિટમાં પણ આ વધી રહેલી કટોકટી વિશે ચર્ચા કરવામાં આવી પરંતુ આ રક્તપાતને અટકાવવાના માટેના અત્યાર સુધીના તમામ રાજદ્વારી પ્રયત્નો નિરર્થક રહ્યા છે.
યુએનના વડા ગુટેરેસે ગયા અઠવાડિયે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું, ‘મ્યાનમારની પરિસ્થિતિ લોકો માટે એક અવિશ્વસનીય દુઃસ્વપ્ન સમાન છે અને સમગ્ર પ્રદેશની શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે.

હું મ્યાનમારના સત્તાવાળાઓને વિનંતી કરું છું કે તેઓ તેમના લોકોની વાત સાંભળે, રાજકીય કેદીઓને મુક્ત કરે અને લોકશાહી વ્યવસ્થાને ફરીથી તુરંત પાટા પર લાવે. સ્થિરતા અને શાંતિનો આ એકમાત્ર રસ્તો છે.’ ASEAN નેતાઓને મળ્યા પછી, ગુટેરેસે કહ્યું કે લશ્કરી સરકાર સાથે શાંતિ યોજના અંગે સંમતિ થઈ તે મહત્ત્વપૂર્ણ છે પરંતુ હજુ સુધી એ લાગુ કરવામાં આવી નથી. આ યોજના અમલમાં આવે એ જરૂરી છે. નાગરિકો પર અંધાધૂંધ હુમલાઓ ભયાનક અને હૃદયદ્રાવક છે. મ્યાનમારમાં સૈન્ય શાસન પછી સૈન્ય સામે વ્યાપક સશસ્ત્ર વિરોધ કરવામાં આવ્યો છે અને લશ્કરે તેનો ક્રૂરતાપૂર્વક જવાબ આપ્યો છે. પોલિટિકલ પ્રિઝનર્સ માટે સહાયતા સંગઠન મોનિટરિંગ જૂથ અનુસાર, છેલ્લા બે વરસમાં ૨૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે યુએન ચિલ્ડ્રન્સ એજન્સીના અંદાજ મુજબ ૧૦ લાખ લોકો વિસ્થાપિત થયાં છે.

મ્યાનમારમાં વધતી હિંસા અને તેના સેનાઅગ્રણીઓ શાંતિ યોજનાના અમલીકરણમાં રસ ધરાવતા નથી એ બાબતે હતાશા વચ્ચે ASEAN નેતાઓએ મ્યાનમારના લશ્કરી શાસક, વરિષ્ઠ જનરલ મીન આંગ હલાઈંગને એક મેળાવડામાં હાજરી આપવાથી મનાઈ ફરમાવી દીધી હતી. મ્યાનમારમાં અંધાધૂંધીનો અંત લાવવાના ઉદ્દેશથી ગયા વરસે એપ્રિલમાં લશ્કરી સરકાર સાથે ASEAN જૂથ ‘પાંચ મુદ્દાની સર્વસંમતિ’માટે સહમત થયું હતું, પરંતુ મ્યાનમારના સેનાઅગ્રણીઓ દ્વારા હજુ સુધી તેને અવગણવામાં આવી રહ્યું છે. આ મુદ્દે આસિયાન નેતાઓને વધુ ને વધુ નિરાશા મળી રહી છે. ગયા અઠવાડિયે આ જૂથ દ્વારા તેમના વિદેશમંત્રીઓને સર્વસંમતિને અમલમાં મૂકવા માટે નક્કર યોજના સાથે આવવાનું કામ સોંપાયું હતું. મ્યાનમારમાં વિપક્ષી જૂથોની બેઠકમાં ASEAN વિશેષ દૂતની હાજરીનો લશ્કરી સરકાર તરફથી ઉગ્ર પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. લશ્કર આ અસંતુષ્ટ સંગઠનોને ‘આતંકવાદી’તરીકે ગણે છે.

પશ્ચિમી સત્તાઓએ લશ્કરી સરકાર પર પ્રતિબંધોનો ઢગલો ખડકી દીધો છે પરંતુ તાજેતરમાં શાળા અને કોન્સર્ટ સહિતનાં નાગરિક લક્ષ્યો પર ઘાતક લશ્કરી હવાઈ હુમલાઓ સાથે હિંસા વધી છે. અમેરિકા પણ આ મુદ્દે સક્રિય રસ લઈ રહ્યું છે. બિડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, જેક સુલિવાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ આ મુદ્દે મ્યાનમારના લશ્કરી શાસકો પર દબાણ વધારવા માટે વધુ નજીકથી સંકલન કેવી રીતે કરી શકીએ તે અંગે ચર્ચા કરવાના છે. ઉલ્લેખનીય છે કે મ્યાનમારની સૈન્ય સરકારે ડિસેમ્બર ૨૦૨૦ની સામાન્ય ચૂંટણીઓમાં છેતરપિંડીનો આરોપ લગાવીને તેના સત્તા હસ્તાંતરણને ન્યાયી ઠેરવ્યું હતું, જે ચૂંટણીમાં આંગ સાન સુ કીની પાર્ટીએ મોટી જીત મેળવી હતી. સેનાશાસકોએ આવતા વરસે ચૂંટણીઓ યોજવાનું વચન આપ્યું છે, પરંતુ અમેરિકા અને મ્યાનમાર માટે યુએનના વિશેષ સંવાદદાતાના મત અનુસાર તે ચૂંટણી મુક્ત અને ન્યાયી હોવાની કોઈ શક્યતા નથી.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top