Dakshin Gujarat Main

બોરવેલનું ગંદું પાણી પીવાના લીધે સાયણમાં કોલેરાનો વાવર, તંત્રએ ડોર ટુ ડોર સરવે શરૂ કર્યો

સુરત: સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં રોગચાળો (Cholera in Sayan of Olpad, Surat) ફાટી નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અહીંના એક બોરવેલનું ગંદું પાણી પીવાના લીધે 165 લોકોને કોરોના થઈ ગયો છે. આજે સુરત જિલ્લા કલેક્ટર, રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી મુકેશ પટેલ સહિત સમગ્ર વહીવટી તંત્ર સાયણમાં દોડી ગયું હતું. વધારાના 6 ડોક્ટરો ફાળવવા સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 35 બેટ વધારવામાં આવ્યા છે. સમગ્ર પંથકમાં ડોર ટુ ડોર સરવે શરૂ કરી વધુમાં વધુ દર્દીઓને સારવાર મળી રહે તે માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે.

  • સાયણના 165 લોકોને કોલેરાનો રોગ લાગુ પડ્યો, 37 સાજા થઈ જતા રજા અપાઈ
  • આરોગ્યની 15 ટીમ દોડી ગઈ, ડોર ટુ ડોર સરવે શરૂ કરાયો: 6 વધારાના ડોક્ટરો ફાળવાયા
  • છેલ્લાં 4 દિવસમાં 2120 લોકોનો કરાયો સરવે, 700ને આગોતરી સારવાર અપાઈ

સાયણની મુલાકાત લઈ બાદ તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓની વિગતો આપતાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ‘કોલેરાના ૧૬૫ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી ૩૭ સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય દર્દીઓની હાલત સ્થિર છે. રોગગ્રસ્ત વિસ્તારમાં ૨ સોસાયટીઓ અને ૫ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સાયણમાં ડોર ટુ ડોર સર્વે માટે ૧૫ આરોગ્ય ટીમો બનાવીને કાર્યરત કરાઈ છે, જેમાં એક ટીમમાં ત્રણ આરોગ્યકર્મીઓ સામેલ છે, જે સતત આરોગ્ય સર્વે કરીને દર્દીઓના નિદાન-સારવાર માટે સક્રિય છે. આરોગ્ય ટીમ દ્વારા લેબ ટેસ્ટીંગ માટે પાણીના ૨૫ સેમ્પલ અને ઝાડા(stool)ના ૧૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. સારવાર વ્યવસ્થા માટે વધારાના ૬ ડોક્ટરોની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ત્રણ એમ્બ્યુલન્સ અને બે ૧૦૮ એમ્બ્યુલન્સ અસરગ્રસ્ત વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

જિલ્લા કલેકટરે ઈન્ફેક્શનનો સ્ત્રોતને શોધી લેવામાં આવ્યો હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ૦૪ ખાનગી બોરવેલ અને ગ્રામ પંચાયતના એક બોરવેલનું દુષિત પાણી રોગચાળા માટે કારણભૂત છે. આ બોરવેલના પાણીનો અન્ય લોકો ઉપયોગ ન કરે એ માટે સઘન નિગરાની રાખવામાં આવી રહી છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે ગ્રામ પંચાયત દ્વારા પેકેજ્ડ મિનરલ વોટરની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી પાણી પુરવઠા વિભાગ દ્વારા દૈનિક ધોરણે એક ટેન્કર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આરોગ્ય સુવિધામાં મુશ્કેલી ન સર્જાય એ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, સાયણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્તમાન ૫૦ બેડની ક્ષમતા છે, જેમાં વધારાના ૩૫ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં વધારાના ૦૨ ડોક્ટર અને ૧૦ નર્સિંગ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. રોગચાળાને ફેલાતો અટકાવવાં છેલ્લાં ૪ દિવસની સર્વેલન્સ કામગીરીમાં ૨૧૨૦ લોકોનો સર્વે કરાયો છે, જે પૈકી ૭૦૦ વ્યક્તિઓને આગોતરી સારવાર આપવામાં આવી છે, જ્યારે તમામ ઘરોમાં ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાએ સફાઈ કામગીરી માટે ૫૦ સફાઇ કર્મચારીઓની ટીમને કામે લગાડવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારના તમામ લોકોને આગામી ૧૫ દિવસ સુધી ઉકાળેલું પાણી જ પીવાનો અનુરોધ કર્યો છે.

તેમણે ડ્રેનેજ સિસ્ટમ અને ગટરલાઈન, પાણીની પાઇપલાઇનની ચકાસણી કરવા અને લિકેજ હોય તો સત્વરે દુરસ્ત કરવા માટે તાલુકા પંચાયતના અધિકારીઓને જણાવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને સીઆરપીસી કલમ ૧૩૩ કલમ અન્વયે નોટિસ દ્વારા તેમના આંગણાઓ, સોસાયટીઓને સ્વચ્છ રાખવા અને ઉકાળેલા, ફિલ્ટર કરેલા પાણીનું જ સેવન કરવાં સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, CHC સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત જિલ્લા જિલ્લા વહીવટીતંત્રની સમગ્ર ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી, અને સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે વિવિધ ટીમો કાર્યરત કરી છે.

Most Popular

To Top