Comments

અરવિંદ કેજરીવાલ પણ જેલ જશે?

દિલ્હીની આપ સરકાર માથે સંકટ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમના કેટલાક મંત્રીઓ સાથે જેલવાસ ભોગવે એવી શક્યતા જોવાઈ રહી છે. મની લોન્ડરિંગ અને એક્સાઈજ પોલિસીના મુદે અત્યાર સુધીમાં આપના ત્રણ નેતાઓ જેલમાં ગયા છે. સત્યેંદ્ર જૈન તો લાંબા સમયથી જેલમાં છે એ પછી મનીષ સિસોદિયાને પણ શરાબ નીતિમાં જેલમાં બંધ કરાયા છે. સંજયસિંહ પણ પકડાયા છે અને હવે વારો અરવિંદ કેજરીવાલનો છે.

સવાલ એ છે કે, એક પછી આપ નેતા સામે પગલાં લેવાઈ રહ્યાં છે પણ સિસોદિયાના જ કેસની વાત કરીએ તો એમને જામીન તો મળ્યા નથી. એકથી વધુ વાર એમની જામીન અરજી કોર્ટે નકારી છે પણ સુપ્રીમ કોર્ટે કેટલાક સવાલ કર્યા છે કે , સિસોદિયા સામે પુરાવા ક્યાં છે? અને એમાં ઇડી ઊણી તો ઊતરી છે. ઇડીને અમર્યાદિત સત્તા છે અને એ સત્તા સામે સુપ્રીમમાં કેસ પણ થયો છે અને સુપ્રીમે એ મુદે્ પણ સરકારને કેટલાક સવાલો કર્યા છે. એ વાત પણ સાચી છે કે, સૌથી વધુ પગલાં વિપક્ષી નેતાઓ સામે લેવાય છે. પછી એ ઇડી હોય કે, ઇન્કમટેક્સ હોય કે પછી સીબીઆઈ . હા, વિપક્ષી નેતાઓ દૂધે ધોયેલાં છે એવું તો કોણ કહી શકે? પણ એકતરફી પગલાં લેવાય છે એવા વિપક્ષના આક્ષેપમાં પણ દમ છે.

દિલ્હીમાં કેન્દ્ર સરકાર તો ભાજપ છે પણ દિલ્હી રાજ્યમાં આપની સરકાર છે અને આપ સરકાર અને મોદી સરકાર , એલજી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલે છે. અનેક મુદે્ ઘર્ષણ થયું છે. કદાચ મોદી સરકારને કે ભાજપને કેજરીવાલ સરકાર એક પડકાર તરીકે ખટકે પણ છે. રાજકીય દુશ્મનાવટ પણ જોવા મળે છે અને હવે વાત કેજરીવાલ સુધી પહોંચી છે. એમને ઇડીનું સમન આવી ગયું છે અને તા. 2 નવેમ્બરના હાજર થવાનું ફરમાન હતું, પણ કેજરીવાલે પત્ર લખી કહ્યું છે કે, એમનો ચૂંટણી પ્રવાસ અગાઉથી નક્કી હતો એટલે તેઓ હાજર નહીં થાય,બાદમાં થશે. હવે એ જોવાનું છે કે, ઇડી શું પગલાં લે છે?

આપ સરકાર અને અરવિંદ કેજરીવાલની સરકાર અન્ય વિપક્ષી સરકાર કરતાં અલગ પડે છે.  શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આ સરકારે જે કામ કર્યું છે એ નમૂનેદાર છે અને એટલે જ ભાજપશાસિત રાજ્યોના મંત્રીઓ પણ દિલ્હીના મોડેલ જોવા દિલ્હી જઇ આવ્યા છે અને કેજરીવાલ ચતુર રાજકારણી છે. એમણે ભગતસિંહ અને આંબેડકરને એમણે આદર્શ બનાવી રાજનીતિમાં એક નવો વળાંક આવ્યો છે. કેજરીવાલ અન્ય રાજ્યોમાં પણ આપનો વિસ્તાર કરવા માંગે છે. અલબત્ત કેજરીવાલ સરકાર સામે એકથી વધુ આક્ષેપો છે અને આરોપો ગંભીર પણ છે. પણ એમ તો એવા કેટલાય નેતાઓ છે કે જે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવ્યા છે અને એમની સામે ગંભીર આક્ષેપો છે. એમની સામે તપાસ ઢીલી પડી ગઈ છે અને કાં તો બંધ થઈ ગઈ છે. આવા આક્ષેપોમાં દમ છે કારણ કે આવી યાદી લાંબી બની શકે એમ છે. હવે સવાલ એ છે કે, પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર કેજરીવાલને જેલમાં જોવા માંગે છે કે પછી ઇડીની તપાસ નાટક છે કે પછી ડરનો માહોલ ઊભો કરવા માટે છે કે વાસ્તવમાં કેસમાં લોજીકલ એન્ડ સુધી પહોંચવાની કોશિશ છે.

# જ્યપાલ સામે મોરચો
રાજ્યોમાં વિપક્ષી સરકારો છે ત્યાં વિપક્ષની સરકાર અને રાજ્યપાલ વચ્ચે અણબનાવના પ્રસંગો વધતાં જાય છે અને એ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. હમણાં જ કેરળ સરકારે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સામે સુપ્રીમમાં અરજ કરી છે કે રાજ્યપાલ 8 બિલ દબાવીને બેઠા છે અને મંજૂરી આપતા નથી  અને ત્રણ બિલ તો એવાં છે કે જે બે વર્ષથી પડતર છે. આટલો સમય કોઈ બિલ અંગે નિર્ણય લેવામાં જાય એ વિચિત્ર લાગે છે. આ વર્ષનાં ત્રણ બિલ પણ જે રાજ્ય સરકારે મંજૂર કર્યાં છે એને રાજ્યપાલે મંજૂરી આપી નથી. આરીફ મોહમ્મદ અને કેરળ સરકાર વચ્ચે લાંબા સમયથી મતભેદો ચાલે છે.

અગાઉ બંગાળમાં ધનખડે અને મમતા સરકાર વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. પંજાબ અને તામિલનાડુ સરકાર પણ રાજ્યપાલ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. પંજાબની આપ સરકારે અરજ કરી છે કે, આઠ બિલ આવાં છે, જેને રાજ્યપાલ બનવારી પુરોહિત મંજૂરી આપતા નથી. જો કે, આ અરજ કર્યાના બે દિવસ બાદ જ રાજ્યપાલે જીએસટી બિલ તો મંજૂર કર્યું છે, પણ હજુ  બજેટ અને અન્ય બિલ પાસ કર્યાં નથી.

તામિલનાડુ સરકારની પણ રાજ્યપાલ આર એન રવીઉ સામે આવી જ ફરિયાદ છે. અહીં તો 12 બિલ રાજ્યપાલે અટકાવ્યાં છે એવી ફરિયાદ કરવામાં આવી છે. આ બધાં બિલમાં કેટલાક જનકલ્યાણની યોજનાનાં પણ છે. રાજ્યપાલની નિયુક્તિઓ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્રમાં ભાજપ સરકાર છે અને વિપક્ષી સરકાર હોય ત્યાં રાજ્યપાલની ભૂમિકા સામે અનેક વિવાદો થયા છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એમની સરકાર અને રાજ્યપાલ વચ્ચે અનેક બિલ મુદે્ વિવાદો થયા હતા એ અત્યારે સાંભરે છે. પણ રાજ્યપાલની ભૂમિકા વિધાયક રહેવી જોઈએ.

# બિહારમાં અનામત વધારાશે?
બિહારમાં જાતિ ગણના થયા પછી એ રાજકીય મુદો્ બની ગયો છે. આખા દેશમાં જાતિગણના માટે માંગ પણ ઊઠી છે. ભાજપ એનો વિરોધ કરે છે પણ બિહાર સરકાર હવે એક ડગલું આગળ વધવા માંગે છે. છ નવેમ્બરથી રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થાય છે અને એમાં જાતિગણના અહેવાલ રજૂ કરવામાં આવશે. બિહારની નીતીશ સરકારનો ઇરાદો ઓબીસી અને ઇબીસીને જે અનામત મળે છે એમાં વધારો કરવાનો છે. અત્યારે આ બે વર્ગની વસ્તી 63 ટકા છે અને સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ અનામત 50 ટકાથી વધુ કરી શકાતી નથી. એટલે બિહાર સરકાર અનામતમાં વધારો કરે તો કાનૂની પેચ પડી શકે છે. પણ નીતીશ સરકાર ભાજપ સામે આ મુદો બનાવી ચૂકી છે અને પાંચ રાજ્યોની ચૂંટણી અને આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં જાતિગણના અને  એના આધારે અનામતના મુદા્ને હવા આપવા તૈયાર છે. ભાજપ એનો જવાબ કઇ રીતે આપે છે એ જોવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top