Comments

સુપ્રિમ કોર્ટના ચુકાદાનું રાહુલ અને કોંગ્રેસ માટે શું મહત્ત્વ છે?

સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે મૂકીને મોટી રાહત આપી છે. આ રાહત ફક્ત સંસદમાં તેમના ફરીથી પ્રવેશ પૂરતી નથી. પોતાના નેતા માટે દોડાદોડી કરતા કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ આવ્ચો છે. તેમણે આ બનાવને લોકસભાની ચૂંટણી પહેલાં વિરોધીઓ દ્વારા રાહુલને કાયદાકીય ગુંચવાડામાં ફસાવવાના ઇરાદાપૂર્વકના પ્રયાસ તરીકે ગણાવ્યો હતો.

રાહુલે ગેરલાયક ઠરાવતા ચુકાદા સામે સમાધાન કર્યું, પોતાનો તુગલક રોડ પરનો સત્તાવાર બંગલો ખાલી કર્યો હતો. હવે જોવાનું છે કે જૂના મકાનમાં પાછા રહેવા આવશે કે પછી 10, જનપથ જ્યાંથી સાંસદ પદ છોડી શિફ્ટ થયા હતા ત્યાંથી આગળની લડાઈ લડવાનું ચાલુ રાખશે. આ ચુકાદાએ હવે કોંગ્રેસ તેમજ વિપક્ષી ગઠબંધનની અંદરનાં સમીકરણો બદલ્યાં છે. 2024માં આવનારી લોકસભાની રેસમાં રાહુલ ફરી હરીફ બન્યો છે. ‘મોદી સામે રાહુલ’ની હરીફાઈ ફરી ચર્ચા જગાડી શકે છે.

પણ આથી માત્ર ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફાયદો મળશે. 2014 અને 2019માં પણ આમ થયું હતું જે 2024ની ચૂંટણીમાં જોવા મળશે. જો કે નવું ગઠબંધન આમ નથી ઇચ્છતું. આગેવાની કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે પર છોડી રાહુલ બેકસ્ટેજમાં રહે તે જ પસંદ છે. મમતા બેનર્જી, નીતીશકુમાર, શરદ પવાર, એમ કે સ્ટાલિન કે અરવિંદ કેજરીવાલ સહિતના વિપક્ષી નેતાઓ રાહુલને કેન્દ્ર સ્થાને પસંદ નહીં કરશે.

જો કે, કોંગ્રેસના સભ્યો ચોક્કસપણે ઇચ્છશે કે રાહુલ મોટી ભૂમિકા ભજવે. જ્યારે તેમને કોંગ્રેસના વાસ્તવિક વારસદાર તરીકે જોવાઈ રહ્યા છે ત્યારે ખડગે કે મમ્મી સોનિયા ગાંધી માટે નારા લગાડતા દેખાય તે એમને પસંદ નહીં આવે. આ સમયે સૌથી અસંભવિત લાગતી સ્થિતિમાં ભાજપ અને તેના સાથીદાર ચૂંટણી હારવાની બાજીમાં રાહુલ કિંગને બદલે કિંગમેકરની ભૂમિકા ભજવવાનું પસંદ કરશે. કોંગ્રેસની ચાલ છે શક્ય તેટલાં વધુ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જીતવાની અને ત્યારબાદ દેશમાં પ્રાથમિક રાજકીય સંગઠન તરીકે ફરી ઉભરી આવવા માટે સંસદમાં સંખ્યા બળ વધારવાની છે. અલબત્ત, રાહુલ ગાંધી ફરી કેન્દ્રમાં આવવાથી વડા પ્રધાન બનવા માંગતાં મમતા બેનર્જી અને નીતીશકુમાર જેવા નેતાઓની બાજી બગડી શકે છે.

તેમની ચિંતાને દૂર કરવા અને પોતાની જાતને એક નિ:સ્વાર્થ નેતા તરીકે રજૂ કરવા, કોંગ્રેસને ફરી બેઠી કરવા સોનિયા ગાંધીની જેમ કામ કરશે અને 2024માં દાવેદાર નહિ બને. 2004માં શરદ પવાર જેવા નેતાઓની શરત અને વિરોધથી પરેશાન થઈને સોનિયા ગાંધીએ ડૉ.મનમોહન સિંહને PM તરીકે નિયુક્ત કર્યા હતા ત્યારે રાહુલે પણ સોનિયાના PM બનવાનો વિરોધ કર્યો હતો. પરંતુ આ વખતે કોંગ્રેસના વફાદારોને રાહુલ આમ કરે તે પસંદ નહીં પડે. 21 ઓગસ્ટના રોજ સુરતની સેશન્સ કોર્ટના ચુકાદામાં તેને દોષિત ઠેરવ્યો અને બે વર્ષની જેલની સજા ફટકારી તેની અપીલ પર સુનાવણી કરશે. આપણે કેસની પૃષ્ઠભૂમિને સમજવાની જરૂર છે. રાહુલ ભવિષ્યમાં આવા વિવાદોમાં ન પડે તે સારું રહેશે.

13 એપ્રિલ, 2019ના રોજ, જ્યારે રાહુલ લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે કર્ણાટકના કોલારની રેલીમાં કહ્યું હતું કે, “બધા ચોર મોદી શા માટે હોય છે, તે નિરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી, તેમની અટક ‘મોદી’ કેમ હોય છે?’’ રાહુલના ભાષણના એક દિવસ પછી, ગુજરાત ભાજપના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સુરત સમક્ષ એક ખાનગી ફરિયાદ દાખલ કરી, જેમાં રાહુલે દરેક મોદીને બદનામ કર્યાનો આરોપ લગાવ્યો. 23 માર્ચ, 2023 ના રોજ, મેજિસ્ટ્રેટ H.H.વર્માએ રાહુલને IPC કલમ 500 હેઠળ ક્રિમીનલ માનહાનિ માટે દોષિત ઠેરવ્યો અને તેને કલમ હેઠળ માન્ય મહત્તમ સજા સંભળાવી, જેમાં 2 વર્ષની જેલની છે.

ટ્રાયલ કોર્ટના આ નિર્ણયથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8(3) લાગુ પડી, જે જણાવે છે “કોઈ પણ ગુના માટે દોષિત ઠરેલી અને 2 કે વધુ વર્ષ કેદની સજા પામેલ વ્યક્તિ આવી તારીખથી સંસદ માટે ગેરલાયક ઠરશે. દોષિત ઠર્યાને તેની સજા પછીના 6 વર્ષ વધુ સમયગાળા માટે ગેરલાયક માનવામાં આવશે. તેથી, 24 માર્ચે, લોકસભા સચિવાલયે એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે રાહુલ 23 માર્ચ, તેમની દોષિત ઠેરવવાની તારીખના પ્રભાવથી ગૃહ માટે ગેરલાયક ઠરે છે.

બાદ 3 એપ્રિલે રાહુલે ઉપલી કોર્ટ, સુરત સેશન્સ કોર્ટમાં તેણે 2 અરજીઓ દાખલ કરી, એક 2 વર્ષની સજાના સ્થગિત માટે અને બીજી દોષિત ઠરાવવા સામે. 20 એપ્રિલે એડિશનલ સેશન્સ જજ R.P.મોગેરાએ બંને અરજીઓ ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 7 જુલાઈના રોજ, ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે અપીલને ફગાવી દીધી હતી અને કહ્યું કે ‘‘સેશન્સ કોર્ટના દોષિત ઠરાવ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો, એ ચુકાદો ‘વાજબી અને કાયદેસર’(Just & Legal) હતો.

રાહુલ ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં ગયા, જ્યાં 4 ઓગસ્ટના રોજ સજા પર રોક લગાવી અને નોંધ લીધી કે ટ્રાયલ જજે ફોજદારી માનહાનિના ગુના માટે રાહુલને મહત્તમ 2 વર્ષ જેલની સજા આપવાનો નિર્ણય શા માટે કર્યો તેની કોઈને ખબર નથી. રાહુલ અથવા કોંગ્રેસે જે ન ભૂલવું જોઈએ તે એ છે કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે રાહુલની ટિપ્પણી ‘સારી બાબત નથી.’ કોર્ટે અવલોકન કર્યું કે ‘‘જાહેર જીવનમાં વ્યક્તિએ જાહેર ભાષણો કરતી વખતે વધારે સાવચેતી રાખવાની અપેક્ષા કરવામાં આવે છે.અરજદારે વધુ સાવચેત રહેવું જોઈએ.’’ ખંડપીઠે રાહુલને યાદ અપાવ્યું કે કેવી રીતે રાહુલને અગાઉની ચૂંટણી દરમિયાન ‘ચોર’ ટિપ્પણી માટે માફી સ્વીકારતી વખતે તેના જાહેર નિવેદનો પર ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી હતી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top