Sports

ભારતીય ટીમને મોટો ઝટકો, વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર

નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (ViratKohli) વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે ઈંગ્લેન્ડ (England) સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની (TestSeries) પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. એટલે કે તે પ્રથમ બે મેચ રમશે નહીં. આ જાણકારી ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આપી છે.

BCCIએ કહ્યું, વિરાટ કોહલીએ BCCIને અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી જવા વિનંતી કરી છે. વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી છે. કોહલીએ એ વાત પર ભાર મૂક્યો છે કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા તેમની ટોચની પ્રાથમિકતા રહી છે.

ભારતીય બોર્ડે વધુમાં કહ્યું, BCCI તેમના નિર્ણયનું સન્માન કરે છે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે સ્ટાર બેટ્સમેનને તેમનો ટેકો આપ્યો છે અને બાકીની ટીમ ટેસ્ટ શ્રેણીમાં પ્રશંસનીય પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ છે. પોતાના નિવેદનમાં કહ્યું, BCCI મીડિયા અને પ્રશંસકોને વિનંતી કરે છે કે વિરાટ કોહલીની ગોપનીયતાનું સન્માન કરે અને તેના અંગત કારણોના પ્રકાર પર અનુમાન ન લગાવે. આગામી ટેસ્ટ શ્રેણીમાં ખેલાડીઓના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિરાટના સ્થાનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી રમાશે. આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ, હૈદરાબાદ ખાતે રમાશે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wk), KS ભરત (wk), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન.

ઇંગ્લેન્ડની ટીમ: બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, શોએબ બશીર, ડેન લોરેન્સ, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.

Most Popular

To Top