Comments

યુક્રેન યુદ્ધથી ભડકેલી સરકારે બગડતા આરોગ્ય(કોવિડ) કરતાં ભંગાર ભણતરની સામી ચૂંટણીએ વધુ ચિંતા કરી છે

ગુજરાતની હાલની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારનું પ્રથમ અને વર્તમાન ભાજપ સરકારનું અંતિમ બજેટ જે બાજુ ગાજ્યું એના કરતાં બીજી બાજુ વરસ્યું  હોવાનું અંદાજપત્રીય જોગવાઇઓને જોતાં લાગી રહ્યું છે. સ્વાભાવિક રીતે સરકારે ખેડૂતો, મહિલાઓ, યુવાનો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કાતિલ કોરોના કરતાં યુક્રેન વોરની વધુ ઇફેક્ટ દક્ષિણ ગુજરાતના નાણાંપ્રધાને વિધાનસભામાં રજૂ કરેલા આ બજેટ પરથી વરતાઇ રહી છે. કોઇ નવા કરવેરા ઝીંકવાની હિંમત હવે ભાજપ સરકારમાં રહી નથી. એટલે દરેકને ખુશ કરવાની કસરત સરકારે કરી છે. યુક્રેન યુદ્ધ થયું ત્યારથી ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાની પળોજણમાં કેન્દ્ર સરકારને માથે ઘણાં માછલાં ધોવાયાં છે.

આપણાં વિદ્યાર્થીઓ વિદેશોમાં જઇને ભણીને ત્યાં સેટલ થવાનું વધુ વિચારવા લાગ્યા હોવાની જે છાપ ઊભી થઇ છે, તે  રાજ્ય અને કેન્દ્રની સરકારોને ચૂંટણીમાં નુકસાન કરે એવી દહેશતને જોતાં સરકારે ભવિષ્યમાં ખાસ કરીને યુવા પેઢીના વોટ ગુમાવવાનો વારો ન આવે એ માટે રાતોરાત શિક્ષણ ક્ષેત્રે અંદાજપત્રીય જોગવાઇઓ વધારી દીધી હોવાની એક છાપ પણ ઉપસી રહી છે. બોટાદ, ખંભાળિયા, વેરાવળમાં નવી નેડિકલ કોલેજો, 50 જ્ઞાનશક્તિ સ્કૂલ્સ શરૂ કરવી, પી.એચ.ડી.ના છાત્રોને બે લાખની સહાય, રૂ. 12 હજારથી ઓછા પગારવાળાઓને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ, ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વગેરે જેવી જાહેરાતો સહિત શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 34,884 કરોડની ફાળવણી કંઇ નાની સૂની નથી. હવે જોવાનું એ રહે છે કે આમાંથી કેટલી રકમ સાચી દિશામાં વપરાય છે.

આપણા વિદ્યાર્થીઓ વિદેશોમાં ભણવા કેમ જાય છે એ બાબતે સરકાર સામે સીધી સોય તકાઇ રહી છે. અહીં ભણતરનો ભાર વધારે છે, પણ ગુણવત્તા અને રોજગારલક્ષિતાનું ઠેકાણું  નતી. 16 વર્ષ ભણ્યા પછી નોકરી મળશે જ એવી કોઇ અહીં ગેરન્ટી નથી. તંત્રમાં ભ્રષ્ટાચાર, અટપટી વહીવટી વ્યવસ્થા, પૂરતા વેતનનાં સાંસાં, સરકારી નીતિઓની ગરબડો વગેરે જોતાં આપણું યુવાધન વિદેશોમાં જવા લાગ્યું છે. તેમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓની સંખ્યા કંઇ ઓછી નથી. લાગે છે કે ભવિષ્યને માટે યુક્રેન યુદ્ધને પગલે સરકાર જબરી ભડકી ઊઠેલી છે. એટલે વધુ આત્મનિર્ભર બનવાના રસ્તા બજેટમાં શોધી કઢાયા હોવાનું લાગે છે. બાકી પેટ્રોલિયમ પેદાશો પરના રાજ્યના જીએસટીને ઓછો કરવાની જાહેરાત કરાઇ હોત તો આંતરાષ્ટ્રીય માર્કેટમાં જે રીતે હાલ ક્રૂડના ભાવ ભભૂકી રહ્યા છે, તે જોતાં આગામી દિવસોમાં એટલે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીનું પતે ત્યાં સુધીમાં દેશના લોકો પર આવતા દિવસોમાં આવી પડનારો તોતિંગ ભાવવધારો અટકાવવા માટે સરકાર ગંભીર છે, એવી છાપ ઊભી થઇ શકી હોત. પરંતુ સ્ટ્રેટેજિકલી આ જીએસટીના મામલા ભાવવધારો આવે પછી વિચારવાનો વિલંબિત માર્ગ સરકાર વિચારી શકે એની ગુંજાઇશ રખાઇ હોવાનું લાગે છે. 

   સરકાર પણ પૂર્ણ રીતે હવે ઇલેક્શન મોડમાં આવી ગઇ હોવાનું લાગે છે. સામે પક્ષે કોંગ્રેસે પણ પોતાની કસરત આદરી દીધી છે. કોંગ્રેસે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં ત્રણ દિવસની ચિંતન શિબિર યોજીને આત્મનિરીક્ષણ કરવાની કોશિશ કરીને ‘દ્વારકા ડેક્લેરેશન’ થકી ગુજરાતની જનતાના હૃદયમાં સ્થાન મેળવવાની કોશિશ કરી છે. આ કોશિશ કેટલી સફળ રહેશે, તે એક પ્રશ્ન છે. પરંતુ આ પ્રશ્નની વચ્ચે દ્વારકાની ચિંતનશિબિરમાં સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ પક્ષપલટાની બાબતને લઈને કેટલાક સંકેત આપીને કહ્યું કે ‘‘જેણે જ્યાં જવું હોય ત્યાં જાય. ભાજપ જેટલા લોકોને લઈ જવા હોય એટલાને લઈ જાય, પેકેજ સાથે લઈ જાય, અમે તેમને મૂકી આવીશું. તેનાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી.’’

આ ઉપરાંત એસીમાં બેસીને કામ કરતા નેતાઓને ઈશારામાં સમજાવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે  ગુજરાતમાં માત્ર પાંચ-પચ્ચીસ મજબૂત અને વફાદાર કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો જ ભાજપ સરકારને હરાવવા માટે પૂરતા છે. ૨૦૨૨ ની ચૂંટણી આપણે જીતેલા જ છીએ, માત્ર તમે(નેતાઓ) અહીં લડવાનું બંધ કરો તો જીતેલા જ છો!’’ જો કે, રાહુલ પાંચ-પચ્ચીસ વફાદાર નેતાઓની વાત કરી, આ વાતને પકડીને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે વ્યંગ કરતાં કહ્યું હતું કે ‘‘કોંગ્રેસ પાર્ટી પાસે પચ્ચીસ કાર્યકરો નથી. એમના આગેવાનો, નેતાઓમાં એમના રાષ્ટ્રીય નેતાને વિશ્વાસ નથી. વિશ્વસનિય કામ કરે એવા પચ્ચીસ કાર્યકરોનો પણ અભાવ છે.’’ કોંગ્રેસ પાસે પચ્ચીસ કાર્યકરો નથી, એવું ભાજપ પ્રમુખ કહે છે. પરંતુ કોંગ્રેસ છોડીને આવતા કાર્યકરોનું ભાજપમાં સ્વાગત પણ કરવામાં આવે છે. આ કાર્યકરો પચ્ચીસમાં આવે છે કે નહીં ? આ સવાલ પણ મહત્ત્વનો છે. કોંગ્રેસની ચિંતિનશિબર અને ‘દ્વારકા ડેક્લેરેશન’ને ભાજપે ખાસ મહત્ત્વ આપ્યું હતું, આ વાત પણ નોંધવા જેવી છે.

  ગુજરાતમાં ભાજપ સૌથી મજબૂત છે. છેલ્લે ઈ.સ.1985 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠક જીતીને કોંગ્રેસે એક ઈતિહાસ રચ્યો હતો, પરંતુ આ ઈતિહાસ પછી કોંગ્રેસ ફરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી શકી નથી, આ હકીકત સ્વીકારવી રહી. 1985 માં સૌથી વધુ બેઠક જીતવાનો વિક્રમ કોંગ્રેસે રચ્યો હતો, તો એ પછી 1990 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી ઓછી 33 બેઠક મેળવીને નબળા પ્રદર્શનનો ઇતિહાસ પણ રચ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક(149) અને સૌથી ઓછી બેઠક(33) બેઠક મેળવવાનો ઈતિહાસ કોંગ્રેસના નામે છે અને હવે કોંગ્રેસ ઈતિહાસ વચ્ચે ઝૂલી રહી છે.

આમ, ગુજરાતમાં 1990, 1995, 1998, 2002, 2007, 2012 અને 2017(77 કોંગ્રેસ અને પાંચ સાથી પક્ષો, કુલ 82) – એમ મળીને કોંગ્રેસ કુલ સાત ચૂંટણી હારી ચૂકી છે. હવે 2022 ની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે કોંગ્રેસ વિધાનસભાની 182 પૈકી 93 બેઠકો જીતવા શું કરશે ? આ સવાલ ભૂલાઈ ગયો છે. કેમ કે, ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં વિધાનસભા 46 બેઠક છે. આ બેઠકો પૈકી 2017 માં કોંગ્રેસ ફક્ત 6 બેઠક જીતી શકી હતી. ટૂંકમાં બહુમતીનો 93 નો આંક હાંસલ કરવાનો માર્ગ તો 8 મહાનગરોમાંથી પસાર થાય છે અને માર્ગ પરના કાંટા ‘હાથ’ પરથી કાઢવાનું કોંગ્રેસ ભૂલી ગઈ છે. હવે જોઈએ, દ્વારકાની પવિત્ર ભૂમિ પર કરાયેલા મંથનમાંથી શું નીકળે છે? આ સવાલ સમયના ગર્ભમાં છુપાયેલો છે.      
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top