National

રેલવે સ્ટેશનો, એરપોર્ટો, સ્ટેડિયમો વગેરેની મિલકતોમાં ખાનગી રોકાણ વડે રૂ. ૬ લાખ કરોડ ઉભા કરવાની સરકારની યોજના

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે એક મહત્વાકાંક્ષી રૂ.૬ લાખ કરોડની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન(એનએમપી) યોજના ખુલ્લી મૂકી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરોમાં ખાનગી કંપનીઓને શામેલ કરીને આ સેકટરોની મિલકતોમાંથી નાણા ઉભા કરવાની યોજના છે જે સેકટરોમાં પેસેન્જર ટ્રેનો અને રેલવે સ્ટેશનોથી માંડીને એરપોર્ટો, માર્ગો અને સ્ટેડિયમોનો સમાવેશ થાય છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ઓછામાં ઓછા ૨૫ એરપોર્ટો જેમાં ચેન્નાઇ, ભોપાલ, વારાણસી અને વડોદરાના એરપોર્ટોનો સમાવેશ થાય છે તે એરપોર્ટો ઉપરાંત ૪૦૦ જેટલા રેલવે સ્ટેશનો, ૧૫ રેલવે સ્ટેડિયમો અને અચોક્કસ સંખ્યામાંની રેલવે કોલોનીઓને ખાનગી રોકાણો મેળવવા માટે જુદા તારવવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ ખાનગી કંપનીઓ આ સેકટરોની મિલકતોને ઓપરેટ કરવા અને વિકસીત કરવા માટે લઇ શકશે અને સમયગાળો પુરો થયા બાદ તે સરકારી એજન્સીઓને પરત કરશે. કેટલીક મિલકતો જેમ કે ગોદામો અને સ્ટેડિયમો ઓપરેશનો માટે લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવશે. આ એસેટ મોનેટાઇઝેશન પાઇપલાઇન એનઆઇપી(નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન)ને જાહેર ખાનગી ભાગીદારીના નવા તબક્કામાં લઇ જશે એમ સીતારમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

સરકારી મિલકતોની માલિકી સરકારની જ રહેશે
એનએનપી યોજના હેઠળ રેલવે, એરપોર્ટો, જાહેર માર્ગો વગેરેની જે મિલકતો ખાનગી કંપનીઓને નાણા ઉભા કરવા સોંપવામાં આવશે તે મિલકતોની માલિકી સરકારની જ રહેશે એમ નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું. કોઇ ગુંચવાડો હોવો જોઇએ નહીં, ઓહો, સરકાર બધુ વેચવા બેઠી છે એવું થવું જોઇએ નહીં એમ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આમાં પડતર પડેલી કે જેનો પુરતો ઉપયોગ નહીં થતો હોય તેવી મિલકતો કે જેમાંથી પુરતા નાણા ઉભા નહીં કરી શકાતા હોય તેવી મિલકતો જ વિકસીત કરીને તેમાંથી નાણા ઉભા કરવા ખાનગી રોકાણકારોને સોંપવામાં આવશે અને ચોક્કસ સમય ગાળા બાદ આ મિલકતો તેમણે સરકારને પરત કરવાની રહેશે.

ચાર વર્ષના સમયગાળામાં રૂ. ૬ લાખ કરોડ ઉભા કરવાની યોજના
આ મિલકતોને ખાનગી રોકાણકારોને સોંપવા માટે ચાર વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે જે નાણાકીય વર્ષ ૨૦૨૨થી શરૂ થઇને નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધી રહેશે એમ નાણા મંત્રીએ જણાવ્યું હતું. આ ચાર વર્ષમાં રૂ. ૬ લાખ કરોડ ઉભા કરવાની આશા છે જેમાં સૌથી મોટી રકમ રૂ. ૧.૬ લાખ કરોડની દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને નવા રસ્તાઓનું મોનેટાઇઝેશન કરવામાંથી આવશે એવી આશા છે જે માર્ગોની કુલ લંબાઇ ૨૬૭૦૦ કિમી જેટલી છે. આ ઉપરાંત ૪૦૦ જેટલા રેલવે સ્ટેશનો, ૯૦ પેસેન્જર ટ્રેનો, ૭૪૧ કિમીની કોંકણ રેલવે અને ૧૫ રેલવે સ્ટેડિયમો અને કોલોનીઓને મોનેટાઇઝ્ડ કરવાની યોજના છે જેમાંથી રૂ. ૧.૨ લાખ કરોડ આવવાની આશા છે. આ ઉપરાંત બાકીની રકમ એરપોર્ટો, પાવર ટ્રાન્સમિશન લાઇનો, બીએસએનએલના ટાવરો વગેરેનું મોનેટાઇઝેશન કરવામાંથી આવવાની આશા છે.

Most Popular

To Top