Charchapatra

આવતી કાલનો કોઇ ભરોસો છે!

કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણ થઇ. ધીરે ધીરે સ્થિતિ સુધારા પર આવી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં ઘણાં એવા વ્યકિતઓએ જીવ ગુમાવ્યા જેમણે જિંદગી માણવાની બાકી હતી. સપનામાં ન વિચાર્યું હોય એવા વ્યકિતઓ આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા. કોઇકે એકના એક પુત્રને ગુમાવ્યો તો કોઇકે ઘરના મોભીને! કોઇકનાં બાળકો નોંધારા થયાં. તો કોઇકનો તો આખો પરિવાર જ આ કોરોના ભરડામાં હોમાઇ ગયો. આ કપરી પરિસ્થિતિ આપણને માણસની હયાતીની કિંમત સમજાવી ગઇ. માણસોને ગુમાવવાનું દુ:ખ તો એ જ સમજી શકે, જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં પરંતુ માણસ જયારે જાય છે ત્યારે તેની સાચી કિંમત સમજાય છે. પછી ભલે ને એ ખાટલામાં પડેલ વૃધ્ધ મા-બાપ જ કેમ ન હોય. પરંતુ એ સત્ય છે, જે જન્મે છે એનું મૃત્યુ નકકી છે એટલે જ પોતાના પરિવાર સાથેની દરેક પળને ખુશીથી જીવી લો. જે આવતી કાલે કરવાનું છે તે આજે કરી લો. નારાજગીને ખુશીમાં બદલી નાખો અને જે કોઇ સપનાં અધૂરાં રહી ગયાં હોય તેને પૂરાં કરી લો. કારણ કે આજના આ કપરા સમયમાં આવતી કાલનો કોઇ ભરોસો છે?
અમરોલી- પાયલ વી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top