Comments

પક્ષો ડરાવવાની રાજનીતિ છોડે તે જ આશા અને અભ્યર્થના

“જો તમે ભારતને સ્વતંત્ર કરશો તો ત્યાં પીંઢારા અને ચોર લુંટારા શાસન પર ચડી બેસશે”- જયારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે, બ્રિટનમાં કોઈ ભારતને સ્વતંત્ર કરવાનો મત રજૂ કરે તો બ્રિટનના વડાપ્રધાન વિસ્ટન ચર્ચિલ આ વાત કરતા ..મૂળમાં કહો કે ડરાવતા …”ના હો ..ભારતમાં અંગ્રેજો છે તો જ પ્રજા સુખી છે …આ લોકોને તો શાસન કરતાં જ ક્યાં આવડે છે. આમને આઝાદી અપાય જ નહીં”……વગેરે વગેરે …વળી ૧૯૩૫ પછી આંશિક સ્વતંત્રતા આપીને નેતાઓને ઠારવાનો પ્રયત્ન પણ થયો.થોડી થોડી સત્તા વહેંચવાનો પ્રયત્ન પણ થયો. પણ પૂર્ણ સ્વરાજ્યની વાત આવે તો ડર બતાવવામાં આવે કે ના …એવું ના કરાય….માટે જ ગાંધીજીએ પછી ૧૯૪૨ માં “અંગ્રેજો ભારત છોડો’નો નારો આપવો પડ્યો. સ્પષ્ટ કહેવું પડ્યું કે તમે જાવ, અમારું જે થવું હશે તે થશે …..પણ અંગ્રેજો તમે ભારત છોડો.

ડરની રાજનીતિ અંગ્રેજો વખતથી ચાલી આવે છે. ભારતીય પ્રજાને નેતાઓ સતત ડરાવે છે અને અમે જ તમારા તારણહાર છીએ, અમે નહીં હોઈએ તો તમારું શું થશે? તે તમે કલ્પી નહીં શકો.આ મતલબની વાત વર્ષોથી ચાલી આવે છે. પહેલાં અંગ્રેજોએ ડર બતાવ્યો કે અમે જતાં રહીશું તો પીન્ધારા અને લુંટારા આ દેશને લૂંટી ખાશે.અંગ્રેજો ગયા પછી આવી કોંગ્રેસ ..આઝાદી પછી થોડો સમય તો કોંગ્રેસને કોઈ ઝાઝી સ્પર્ધા હતી નહીં ..પણ જેવો જનસંઘ મોટો થયો કે અંગ્રેજોની નીતિ આગળ ચાલી..જનસંઘ આવશે તો દેશના બિનસામ્પ્રદાયિક માળખાને નુકસાન પહોંચશે.

સામાજિક આર્થિક ન્યાયને નુકસાન પહોંચશે અને જનસંઘનું બી.જે.પી થયું ..રામ મંદિરનો મુદ્દો ઊભો થયો કે રાજકીય સમરાંગણમાં બિન સામ્પ્રદાયિક પરિબળો ભેગાં થાવ ના નારા શરૂ થયા.સાથે સાથે “આ તો શહેરી સવર્ણોની પાર્ટી છે. જો ભાજપ સત્તામાં આવશે તો …બિન સાંપ્રદાયિકતા ખત્મ થશે.સંસદમાં નેતાઓને બદલે ધર્મગુરુઓ બેસશે અને દેશ કાયદાથી ચાલવાને બદલે જાણે ધર્મ ગ્રંથોથી ચાલવા લાગશે”- તે મતલબની વાતો વહેતી થઇ. કહો કે એક ડર ફેલાવવામાં આવ્યો કે ભાજપ આવશે તો આમ થશે, ભાજપ આવશે તો તેમ થશે.

વર્ષ ૨૦૧૪ માં બધાના અંદાજો ખોટા પાડી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી. શ્રી નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા. લાગ્યું કે આ મોટું પરિવર્તન છે. હવે રાજનીતિના રંગ બદલાશે, ડરની રાજનીતિ ખત્મ થશે પણ ના, ડર અને લાલચ …ચાબુક અને ચોકલેટ ની રાજનીતિ ચાલુ જ રહી ..એક તરફ વિકાસની ચોકલેટ બતાવવાની પણ સાથે જો અમે નહીં હોઈએ ..અમે નહિ જીતીએ તો તમારું આવી બનશે તે ડર તો બતાવ્યા જ કરવાનો.જો ભાજપ નહીં જીતે તો પાકિસ્તાન ખુશ થશે,જો મોદી હારી જશે તો આતંકવાદીઓ કાળો કેર વરતાવશે,,વગેરે વગેરે … બિહારમાં ચૂંટણી હતી ત્યારે ..જો એનડીએ હારી જશે અને તેજસ્વીનું મહા ગઠબંધન જીતશે તો જંગલ રાજ પાછું આવશે ( ગુજરાતમાં કર્ફ્યુ ..ની જેમ ) ભાજપ હોય કે કોંગ્રેસ ,રાજ્યની ચૂંટણી હોય કે કેન્દ્રની …

ટૂંકમાં બધા જ પ્રજાને ડરાવી રહ્યા છે.જો અમે નહીં જીતીએ તો ના નામે ,,આજે અંગ્રેજો નથી ક્યાં આવ્યા પીન્ધારા ..લુટારા ? આજે કોંગ્રેસ નથી ક્યાં દેશની કોર્ટો ધર્મગ્રંથોથી ચાલવા માંડી ? સંસદમાં સાધુ સંતો ..બાવાઓ આવી ગયા? એવું નથી કે દેશમાં બધું રૂડું રૂપાળું છે અને સારું જ છે, પણ કોંગ્રેસ હોય કે ભાજપ દેશમાં જે થાય કે તેમાં પ્રજાનો નાનો મોટો ફાળો હોય છે, સમાજના એક અગ્રણી વર્ગની મૂક સંમતિ વગર તો સરકાર પણ અત્યાચાર નથી કરી શકાતી.

કોંગ્રેસ હતી ત્યારેય પાકિસ્તાન એક હદથી વધુ કિયા ઉકલી શક્યું નથી અને ભાજપ આવ્યા પછી પણ આતંકવાદની પ્રવૃત્તિમાં કોઈં મોટો ફેર પડ્યો નથી. ચૂંટણીમાં સત્તા બધાને જોઈએ જ છે અને તમે એ મેળવવા બધા ઉપાયો અજમાવજો, પણ મહેરબાની કરીને ડરવાની રાજનીતિ બન્ધ કરો, આ દેશમાં સરકારી બબુશાહોની તાનાશાહીને કારણે ,અંગેજોની પરંપરાઓ ચાલુ રહેવાને કારણે જે નુક્સાન થયું છે તેવું નુકસાન કોઈ રાજકીય પક્ષના શાસનને કારણે નથી થયું.

આપણે આર્થિક પધ્ધતિમાં મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું પણ ૧૯૯૧ સુધી સમાજવાદી સમજ રચનાના સરકારી આદેશો અને ૧૯૯૧ પછી મૂડીવાદીઓ પણ ગોઠે ચડે એવા અધિકારીઓ દ્વારા ચાલતા ખાનગીકરણથી જે નુકસાન પામ્યા છીએ તે તો કદાચ ચર્ચિલ ડરાવતા હતા તે પીન્ધારા લુટારા પણ ન કરી શકે તેવું નુકસાન છે માટે પ્લીઝ વિક્રમના આ નવા વર્ષે પ્રજાને ખરેખર અભયનું વરદાન આપો અને નક્કી કરો કે બીજી કોઈ પણ રાજનીતિ કરીશું પણ ડરાવીશું તો નહીં જ. જો પ્રજા જાગૃત હોય તો કોઈ મુખ્ય મંત્રી ધારે તો પણ પ્રજાનું કેટલું અહિત કરી લે અને જો પ્રજાએ જ એ જ ધ્યાન ન દેવું હોય તો કોઈ તેને બચાવી પણ શું શકવાનો ? આ નવા વર્ષમાં સૌ ને એ જ વિનંતી કે ડરની રાજનીતિ છોડો અને પ્રજાને શાંતિથી જીવવા દો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top