SURAT

સુરતના કતારગામમાં ચાર કિ.મી. લાંબી તિરંગા યાત્રા યોજાઈ, 40 હજારથી વધુ રત્નકલાકારો જોડાયા

સુરતઃ (Surat) આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત સુરતના 150થી વધુ હીરા કંપનીઓના 40 હજારથી વધુ રત્નકલાકારો દ્વારા શનિવારે ભવ્ય તિરંગા યાત્રા (Tiranga Yatra) કાઢવામાં આવી હતી. રત્નકલાકારો તેમજ શાળાના વિદ્યાર્થીઓ (School Student) અને વિસ્તારના યુવાઓ આ યાત્રા જોડાયા હતા. આ ભવ્ય રેલી 4 કિલોમીટર લાબી હતી જેને જોવા સુરતીઓ ઉમટી પડ્યા હતાં. સ્થાનીય લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાઈ ઇતિહાસના સાક્ષી બન્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા તા.૧3 થી ૧5મી ઓગસ્ટ સુધી દેશવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનો આજે શનિવારથી પ્રારંભ થયો છે. ત્યારે કતારગામના અનાથ બાળાશ્રમ ખાતેથી શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાની આગેવાનીમાં કતારગામ વિસ્તારની 150થી વધુ હીરા કંપનીઓના રત્નકલાકારો તથા શાળાના વિદ્યાર્થીઓ સાથે ચાર કિલોમીટર લાંબી ઐતિહાસિક ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું કે વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ના આહ્વાનને સુરતની જનતાએ ઝીલ્યું છે. આજની આ તિરંગા પદ યાત્રામાં રત્ન કલાકારો ભાઈઓ, વિદ્યાર્થીઓએ જોડાઈને યાત્રાને ચાર ચાંદ લગાવી દીધા છે. દેશના સૌ નાગરિકો માટે તિરંગા યાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર બન્યો છે અને પ્રત્યેક નાગરિકોમાં દેશપ્રેમ છલકાયો હોવાનું તેમણે કહ્યું હતું.

તિરંગા યાત્રા કતારગામના અનાથ બાળઆશ્રમથી પ્રસ્થાન કરી ધનમોરા, વાળીનાથ ચોક, સીંગણપોર ચાર રસ્તા, ડભોલી ચાર રસ્તાથી પાટીદાર સમાજની વાડી પહોંચી હતી. જેમાં પદાધિકારીઓ, હીરા ઉદ્યોગકારો, રત્ન કલાકારો, વિદ્યાર્થીઓ મળી અંદાજીત 4૦,૦૦૦થી વધુ પદયાત્રીઓએ સ્વયંભુ જોડાઈને યાત્રાને ઐતિહાસિક બનાવી હતી. આ મહા તિરંગા યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ પદયાત્રીઓને આવકાર્યા હતા. રત્ન કલાકારોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે તિરંગા યાત્રા નિકળી હતી જેથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. યાત્રામાં વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરી હતી જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ પણ યાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી, હીરા ઉદ્યોગકાર લાલજીભાઈ પટેલ, કેયુરભાઈ ગોટી, ભરતભાઈ કથીરીયા, વિરજીભાઈ પાલડીયા, સમાજ અગ્રણીશ્રી મગનલાલ ડોબરીયા, છગનભાઈ માંગુકિયા, રમેશભાઈ બોરડ સહિત સુરત ડાયમંડ એસો.ના હોદ્દેદારો, રત્નકલાકારો, સામાજીક અંગ્રણીઓ, હીરા વ્યાપારીઓ, કોર્પોરેટરો,સંગઠનના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા.

અમરોલી ખાતે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગાયાત્રા યોજાઈ
સુરતના અમરોલી વિસ્તારમાં કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ જે.ઝેડ. શાહ આર્ટ્સ અને એચ.પી. કોમર્સ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી કૅડેટસ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક લોકો પગપાળા ચાલીને યાત્રામાં સહભાગી થયા હતા. આ યાત્રામાં મંત્રી મુકેશભાઈ પટેલે કોસાડ આવાસ ખાતેથી જાતે મોટરસાઈકલ ચલાવી હતી. તિરંગા યાત્રા દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા જોડાયા હતા. સૌએ તિરંગો લહેરાવી ઉપસ્થિત સૌનો જુસ્સો વધાર્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન દેશભકિત ગીતો અને નારાઓ સાથે સૌએ પ્રગાઢ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કૃષિ રાજયમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે જનજનમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે અર્થે વિવિધ સ્થળોએ તિરંગા પદયાત્રાઓ યોજાઈ રહી છે. તિરંગા યાત્રામાં સ્વેચ્છાએ જોડાનાર રાષ્ટ્રપ્રેમી યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ અન્યો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાન થકી દેશના તમામ નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવના જાગૃત થઈ છે જેને આપણે હૃદયમાં જાળવી રાખવાની અપીલ તેમણે કરી હતી.

Most Popular

To Top