Entertainment

સની દેઓલની ‘ચૂપ’ નું રેટિંગ દુલકર સલમાનને લીધે વધ્યું!

સનીને દેઓલ વર્ષો પછી એક દમદાર ભૂમિકામાં પુનરાગમન કરી રહ્યો હોવાથી નિર્દેશક આર. બાલ્કીની ‘ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ’ ની વધારે ચર્ચા હતી પરંતુ એમાં દુલકર સલમાને ખરો રંગ રાખ્યો છે. તે પોતાના અભિનયથી સમીક્ષકોની સૌથી વધુ પ્રશંસા મેળવી ગયો છે અને એમને રેટિંગમાં આપવાના હતા તેનાથી એક ‘સ્ટાર’ વધારે આપવા મજબૂર કર્યા છે. લગભગ બધાંએ ફિલ્મને 2 થી 4 સ્ટાર આપ્યા છે. આ ભૂમિકા બીજો કોઇ કલાકાર આટલી સહજતાથી કદાચ જ કરી શક્યો હોત. થોડા સમય પહેલાં ‘સીતારામમ’ માં તે પ્રભાવિત કરી ગયો હતો. એમ કહેવાયું છે કે જો તમે કંઇ સારું જોવા માગતા હો તો દુલકરની બધી જ ફિલ્મો જોઇ નાખો. સનીએ ઉંમર મુજબની દમદાર ભૂમિકાથી પ્રભાવિત કર્યા છે. એ પોલીસની ભૂમિકામાં બરાબર જચે છે. શ્રેયા ધન્વંતરીએ પોતાના પત્રકારના પાત્રને સટીક રીતે નિભાવ્યું છે. પૂજા ભટ્ટ બીજા ભાગમાં આવે છે છતાં પોતાના અભિનયથી- ભૂમિકાથી નિરાશ કરતી નથી. અમિતાભની ખાસ ભૂમિકા યાદગાર બની રહેશે. તો શ્રેયાની મા તરીકે સરન્યા પોનવન્નનનું કામ અદભુત છે. આર. બાલ્કીએ દરેક પાત્રમાં કલાકારની વરણી બહુ યોગ્ય રીતે કરી છે.

‘ચૂપ’ માં જે બતાવાયું છે એ બોલિવૂડમાં ક્યારેય જોવા મળ્યું નથી. ફિલ્મો માટે રેટિંગ આપવાને કારણે કોઇને મારી નાખવાનો વિચાર ખતરનાક છે. સિનેમાના ઇતિહાસમાં પહેલી વખત ફિલ્મોની રેટિંગ આપતા સમીક્ષકોને કેન્દ્રમાં રાખીને કોઇ ફિલ્મ બની છે ત્યારે એને 5માંથી કેટલા સ્ટાર મળ્યા એ જાણવાની દર્શકોને ઉત્સુક્તા જરૂર હતી. એ વાત અલગ છે કે આજના દર્શકો એટલા પરિપકવ થઇ ગયા છે કે કોના ફિલ્મ રીવ્યૂ સાચા છે કે ખોટા એ સમજી જાય છે. સમીક્ષક કોમલ નાહટાનું તો કહેવું છે કે આ પ્રકારની વાર્તાને પચાવવાનું મુશ્કેલ છે.

કોઇ માણસ ગુસ્સામાં સમીક્ષકની હત્યા કરવા પર ઊતરી આવે એ વાત ગળે ઊતરે એવી નથી. સીરિયલ કિલર એવું વિચારે છે કે ફિલ્મ સમીક્ષાઓ વાંચીને દર્શકો પર અસર થાય છે પણ એવો કોઇ સમીક્ષક નથી જે ફિલ્મના ભવિષ્યને બદલી શકે. ફિલ્મની વાર્તાનો પાયો જ ખોટો છે. ફિલ્મમાં એક જગ્યાએ સીરિયલ કિલરને કારણે પોલીસ સમીક્ષકોને થોડા સમય માટે રીવ્યૂ ન કરવાનું કહે છે ત્યારે એ વાતનો વિરોધ થાય છે પણ પછી એવું આવે કે સમીક્ષકો પોલીસને કહે છે કે જ્યાં સુધી અમારી સલામતીની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી રીવ્યૂ લખીશું નહીં.

એ વાત અટપટી લાગે છે. સિનેમા દિવસની ઉજવણીને કારણે રૂ.75 માં ફિલ્મ જોવાની તક હતી એટલે 4 લાખ ટિકિટ વેચાઇ હતી અને શુક્રવારે રૂ.3 કરોડનું ઓપનિંગ મળી શક્યું હતું. એ પછી બોક્સઓફિસ પર શોર મચાવી શકી નહીં. બીજા દિવસે રૂ.2 કરોડ મળ્યા. એ પરથી એવો અર્થ પણ નીકળે છે કે જો ટિકિટોના ભાવ ઓછા રાખવામાં આવે તો દર્શકો થિયેટરોમાં વધુ જઇ શકે છે એટલે ‘ચૂપ’ ના જ નહીં ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ ના ભાવ 26 થી 29 સપ્ટેમ્બર સુધી રૂ.100 કરવામાં આવ્યા. લોકોને થિયેટરો તરફ ખેંચવા આવા ઉપાયો જરૂરી બન્યા છે. ફિલ્મમાં હિંસાના દ્રશ્યો વધારે હોવાથી ‘A’ સર્ટિફિકેટ મળ્યું હતું. હત્યાનાં કેટલાંક દ્રશ્યો તો પુખ્ત લોકો પણ જોઇ ના શકે એટલા ડરામણાં છે અને ક્લાસ દર્શકો માટેની ગણાઇ હોવાથી પારિવારિક દર્શકો મળ્યા નથી.

સમીક્ષકોએ આર. બાલ્કીના નવા વિષય પર ફિલ્મ બનાવવાના પ્રયાસને બિરદાવ્યો છે પણ એમણે કેટલીક બાબતોની અવગણના કરી હોવાનો અફસોસ વ્યક્ત કર્યો છે. મહાન ફિલ્મકાર ગુરુદત્તને શ્રધ્ધાંજલિ આપવા ફિલ્મ બનાવી હોવા છતાં એમની ‘કાગઝ કે ફૂલ’ છેલ્લી હતી અને મોત એની નિષ્ફળતાને કારણે થયું હોવાની ખોટી માહિતી રજૂ કરી છે. ‘કાગઝ કે ફૂલ’ સમીક્ષકોએ જ નહીં દર્શકોએ પણ નકારી કાઢી હતી. લેખકે સરખું સંશોધન કર્યું નથી. પૂજા ભટ્ટના પાત્રના માધ્યમથી કેટલાક સંવાદમાં હિંસાને ન્યાયી ગણાવી હોવાથી ટીકા થઇ છે.

બહુ જલદી કિલર ઓળખાઇ જતો હોવાથી સસ્પેન્સ બનતું અટકી જાય છે. જો કે, ઇન્ટરવલ પહેલાં જ રહસ્ય ખૂલી જાય છે છતાં દિલચશ્પી બની રહે છે. ફિલ્મનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ જ છે કે આર. બાલ્કીએ ઇન્ડસ્ટ્રીની પોલ ખોલવાનું ટાળીને સલામત રીતે વાત કહી છે અને ક્લાઇમેક્સને ઉતાવળમાં બરાબર ફિલ્માવ્યો નથી. એમ જરૂર થશે કે હજુ વધુ સારો બનાવી શકાયો હોત. ક્લાઇમેક્સમાં રહસ્ય ખોલવા જેવું કંઇ રહ્યું જ નથી. દર્શકને કિલરની ખબર પડી ગઇ હોય છે. એમણે પોલીસને ખબર પડે એની રાહ જોવાની હોય છે! એ લેખનની ખામી જ કહેવાય. આર. બાલ્કીએ અગાઉ પા, શમિતાભ, ઇંગ્લીશ વિંગ્લીશ, પેડમેન, મિશન મંગલ જેવી ‘જરા હટકે’ ફિલ્મો બનાવી હોવાથી ટ્રેલર પછી દર્શકોની ઉત્સુક્તા વધી ગઇ હતી. તે એક નિર્દેશક તરીકે જરા પણ નિરાશ કરતા નથી. હલ્કાફુલ્કા પ્રસંગો અને સંવાદ પણ છે. ફિલ્મમાં ગુરુદત્તની ફિલ્મનાં ગીતો યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યા છે. રેટ્રો સિનેમાના ચાહકો અને ખાસ કરીને ગુરુદત્તના પ્રશંસકોએ આ ફિલ્મ જોવા જેવી છે.

Most Popular

To Top