Gujarat

સુજલામ સુફલામ જળસંચય અભિયાનના 104 દિવસના અંતે 23 હજારથી વધુ કામો પૂર્ણ થયા

ગાંધીનગર : રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું (Sujlam Suflam Water Harvesting Campaign) છઠ્ઠુ ચરણ આજે 31 મે ના રોજ પૂર્ણ થયું છે. ગાંધીનગરથી (Gandhinagar) શરૂ થયેલ આ અભિયાનમાં કુલ 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 104 દિવસના અંતે તા. 31 મી મે સુધીમાં 23,860 કાર્યો પૂર્ણ થયા છે.

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં સુજલામ સુફલામ જળ સંચ અભિયાનની લંબાણપૂર્વકની ચર્ચા થવા પામી હતી. કેબિનેટ પ્રવકત્તા ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 104 દિવસના આ મહાઅભિયાન કુલ 12,70,000 જેટલા માનવદિનની રોજગારી મળી છે. રાજ્ય સરકાર અને સેવાકીય સંસ્થાઓની સહભાગીદારિતા હેઠળની ચેકડેમ રીપેરીંગ 80:20ની યોજના હેઠળ કુલ 161 ચેકડેમના કામો પ્રગતિ હેઠળ છે જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે 31-5-2023 પછી નવા કોઇપણ ચેકડેમ રીપેરીંગના કામો શરૂ કરવામાં આવશે નહીં. રાજ્યના નર્મદા યોજના સિવાયના મહત્વના 206 જળાશયોમાં તા. 26-5-2023સુધીમાં આશરે 2 લાખ મિલીયન ઘનફુટ ઉપરાંત જથ્થો સંગ્રહિત થયો છે. જે પૈકી પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31 મી મે સુધીમાં 10,500 મિલીયન ઘનફુટ પાણીનો જથ્થો આરક્ષીત રાખ્યા બાદ જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માંગણી આધારીત પ્રિ-ખરીફ સિંચાઇ માટે આપવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, અગાઉના પાંચ તબક્કામાં રાજયભરમાં જળસંગ્રહ માટેના ૭૪,૫૧૦ કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૯ લાખ ઘનફુટ વધારો થયો હતો અને રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૬,૯૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ સફળતા મળી છે.

Most Popular

To Top