National

વધુ એક ચૂક: સ્પાઈસ જેટના મુસાફરો પ્લેનમાંથી ઉતરી રન-વે પર ચાલવા લાગ્યા, આ કારણ સામે આવ્યું

નવી દિલ્હી: (New Delhi) સ્પાઈસ જેટની (Spice Jet) ની પાછલા દિવસોમાં અનેક ખામીઓ સામે આવ્યા બાદ આજે વધુ એક બેજવાબદારી સામે આવી છે. સ્પાઈસ જેટની હૈદરાબાદ-દિલ્હી ફ્લાઈટમાંથી ઉતરેલા મુસાફરો એરપોર્ટના રન-વે પર ચાલવા મજબૂર બન્યા હતા. મુસાફરોને એરપોર્ટના રન-વેના રસ્તે ચાલીને જવું પડ્યું કારણ કે એરલાઈન્સ લગભગ 45 મિનિટ સુધી તેમને ટર્મિનલ સુધી લઈ જવા માટે કોઈ બસ આપી શકી ન હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ ઘટનાની તપાસ કરી રહી છે. બીજી તરફ સ્પાઈસ જેટના સંચાલકોએ જણાવ્યું હતું કે બસોના આગમનમાં થોડો વિલંબ થયો હતો. જોકે તેમના આગમન પછી જે લોકો એરપોર્ટના રન-વે પર ચાલી રહ્યા હતા તેઓને તથા અન્ય તમામ મુસાફરોને બસ દ્વારા ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. સ્પાઈસ જેટ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા સ્ટાફ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં પણ કેટલાક મુસાફરો ટર્મિનલ તરફ ચાલવા લાગ્યા હતાં બસો આવી ત્યારે તેઓ થોડાક મીટર જ ચાલ્યા હશે. બાદમાં તમામ મુસાફરોને બસ દ્વારા ટર્મિનલ બિલ્ડિંગ સુધી લઈ જવામાં આવ્યા હતા.

હાલમાં સ્પાઈસ જેટ ડીજીસીએના આદેશ અનુસાર તેની 50 ટકાથી વધુ ફ્લાઈટ્સનું સંચાલન કરી રહી નથી. ડીજીસીએએ જુલાઈમાં તેની ફ્લાઈટ્સ પર આઠ સપ્તાહનો પ્રતિબંધ લગાવ્યો હતો. તેનું કારણ એ હતું કે 19 જૂનથી 5 જુલાઈ દરમ્યાન તેના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના ઓછામાં ઓછા આઠ બનાવો બન્યા હતા. અને શનિવારે રાત્રે વધુ એક ઘટના સામે આવી હતી.

સ્પાઈસ જેટની હૈદરાબાદ-દિલ્હી ફ્લાઈટ શનિવારે રાત્રે લગભગ 11.24 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. તરત જ એક બસ આવી અને કેટલાક મુસાફરોને ટર્મિનલ 3 પર લઈ ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બાકીના મુસાફરોએ લગભગ 45 મિનિટ સુધી રાહ જોઈ અને જ્યારે તેમને કોઈ બસ આવતી દેખાઈ નહીં ત્યારે તેઓ ટર્મિનલ તરફ ચાલવા લાગ્યા હતા. આ ટર્મિનલ વિમાનના લેન્ડિંગ સ્થળથી લગભગ 1.5 કિમી દૂર હતું. મુસાફરો લગભગ 11 મિનિટ સુધી રનવેના રસ્તા પર ચાલ્યા હશે ત્યારે લગભગ 12.20 વાગ્યે એક બસ તેમને ટર્મિનલ પર લેવા માટે આવી.

મુસાફરોને રનવે પર ચાલવાની મંજૂરી નથી
દિલ્હી એરપોર્ટના રનવે વિસ્તારમાં મુસાફરોને રસ્તા પર ચાલવાની મંજૂરી નથી, કારણ કે તે સલામતી માટે જોખમ ઊભું કરી શકે છે. રનવે રોડ એ માત્ર વાહનો માટે ચિહ્નિત થયેલો રસ્તો છે. તેથી એરલાઇન્સ મુસાફરોને એરક્રાફ્ટથી ટર્મિનલ અથવા ટર્મિનલથી એરક્રાફ્ટમાં પરિવહન કરવા બસોનો ઉપયોગ કરે છે.

આ ઘટના વિશે સ્પાઈસજેટે એક નિવેદનમાં કહ્યું કે સ્પાઈસ જેટની હૈદરાબાદ-દિલ્હી ફ્લાઈટના મુસાફરોને 6 ઓગસ્ટના રોજ ટર્મિનલ તરફ ચાલવા માટે ફરજ પાડવામાં આવી હોવાની માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને નકારી કાઢવામાં આવે છે. એરલાઈને કહ્યું કે મુસાફરોને રનવે પરથી ટર્મિનલ બિલ્ડિંગ સુધી લઈ જવા માટે બસના આગમનમાં થોડો વિલંબ થયો હતો. અમારા સ્ટાફ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં કેટલાક મુસાફરો ટર્મિનલ તરફ ચાલવા લાગ્યા હતાં. તેઓ થોડાક મીટર દૂર ગયા હશે ત્યારે જ બસ આવી હતી.

Most Popular

To Top