Vadodara

સફાઇ કર્મીઓની હડતાળથી તંત્રમાં દોડધામ

વડોદરા: પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા છેલ્લા કેટલાક દિવસોથી આંદોલનના માર્ગે ઉતરેલા પાલિકાના તમામ કર્મચારીઓ સોમવારે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી હતી.તત્કાલ તંત્રે તાકીદની બેઠક બોલાવી હતી.જેમાં લેખિતમાં બાહેધરીની ખાતરી આપતા હાલ પૂરતી કર્મચારીઓએ હડતાળ સ્થગિત કરતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ છેલ્લા 25 દિવસથી પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.તેમ છતાં કોઈ પ્રતિસાદ ન સાંપડતા કર્મચારી સંગઠનોએ મ્યુનિસિપલ કમિશનરને છ દિવસનું અલ્ટીમેટમ આપી અચોક્કસ મુદતની હડતાલનો નિર્ણય લીધા બાદ સોમવારે પાલિકાના અંદાજે 6 હજાર જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા હતા. અગાઉ અનેક વખત મ્યુ.કમિશનરને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય આવ્યો ન હતો.

નવરાત્રીના સમયે અચોક્કસ મુદતની હડતાળના પગલે અરાજકતા સર્જાય તે અગાઉ મ્યુ.કમિશનરે વડોદરા કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા બેઠક યોજી હતી.જેમાં સકારાત્મક પરિણામ મળતા કર્મચારીઓએ સાંજે અચોક્કસ મુદતની હડતાળ સ્થગિત કરી હતી.ઉલ્લેખનીય છે કે કર્મચારી બદલી, 720 દિવસ તેમજ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મીઓને કાયમી કરવા, ડ્રાઇવરનો હોદ્દો આપવો, મહેકમ મુજબની ખાલી જગ્યાઓ ઉપર કાયમી નિમણૂક આપવી, કર્મચારીઓ માટે રીવ્યુ કમિટી બનાવી, ઓવર ટાઈમનું મહેનતાણું ચુકવવું સહિતના 31 જેટલા મુદ્દાઓ અંગે કર્મચારી સંગઠનો લડત ચલાવી રહ્યા છે.

ટૂંક સમયમાં જ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે
વડોદરા શહેરના વિકાસ માટે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને સતત સાથે રાખીને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને અધિકારી કર્મચારી કામ કરી રહ્યા છે. તેઓ દ્વારા જે માહિતી આપી છે કે છેલ્લા દોઢ વર્ષમાં એમના ઘણા બધા પ્રશ્નો સકારાત્મક રીતે ઉકેલ કરવામાં આવ્યા છે.હવે એમની જે પણ પડતર માંગણીઓ છે. આજે તેમની સાથે અમારી મીટીંગ થઈ છે અને એ પડતર માંગણીઓ સંદર્ભે વડોદરા મહાનગર પાલિકા આગળ હકારાત્મક રીતે આગળ વધશે.આ સંદર્ભે પાલિકા કર્મચારી મહામંડળ સાથે સકારાત્મક રીતે મીટીંગ થઈ છે એટલે ટૂંક સમયમાં જ એમનો નિકાલ કરવામાં આવશે. -શાલીની અગ્રવાલ,મ્યુ.કમિ

બાહેધરી આપતા હડતાળ સમેટાઇ
ખાસ કરીને લેબરકોર્ટની અપીલ મુદ્દે કમિટી બનાવી 30 દિવસમાં અભિપ્રાય બાદ અપીલ પરત ખેંચવાની મ્યુ. કમિશનરે બાંહેધરી આપી છે. કેટલાક પ્રશ્નોનો તબક્કાવાર નિર્ણય આવશે અને અન્ય પ્રશ્નો મુદ્દે લેખિતમાં બાહેધરી આપતા હાલ હડતાળ સ્થગિત કરાઇ છે.સાંજે કર્મચારીઓ બાહેધરી અંગે વિચારવિમર્સ બાદ આગળનો નિર્ણય જણાવશે. – દિનેશ દેવમુરારી, કર્મચારી મંડળ પ્રમુખ

Most Popular

To Top