Comments

ભરતીની મોસમમાં રાજકીય અગ્નિપથ છોડવાનું મહાભિનિષ્ક્રમણ

દિગ્ગજ પાટીદાર નેતા નરેશભાઇ પટેલે મહિનાઓની ઇન્તેજારી પછી રાજકારણમાં હાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલા કાગવડ ખાતેના લેઉવા પાટીદારોના શ્રદ્ધાસ્થાનક ખોડલધામના પ્રણેતા નરેશભાઇએ જાહેર કરેલા આ નિર્ણય થકી ભાજપને જરૂર હાશકારો થયો હશે. કોંગ્રેસમાં કદાચ નિરાશા પણ ફેલાઇ હશે, પરંતુ નરેશભાઇએ મોડો મોડો પણ યોગ્ય નિર્ણય લીધો હોવાની એકંદર લાગણી રાજકીય ક્ષેત્રે જરૂર જોવા મળી રહી છે.

ગુજરાતનું રાજકારણ વધુ એકવાર જ્ઞાતિ – સમુદાયના રંગે રગદોળાતું બચી ગયું હોવાનું અનુમાન થઇ રહ્યું છે. નરેશભાઇને આમ જોઇએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીથી રાજકીય રંગે રંગાવાની ઇચ્છા થઇ આવી હતી. એ પછી વખતો વખત તેઓ પાટીદાર સમુદાયને (જ) કેન્દ્રમાં રાખીને પ્રતિભાવો વ્યક્ત કરતા રહ્યા હતા. દરમિયાન ગુજરાતના રાજકીય તખ્તે પાટીદાર અનામત આંદોલનનો દોર આવ્યો ને ચાલી પણ ગયો.

જતાં જતાં આનંદીબહેન પટેલની ગતિશીલ સરકારનો ભોગ લેતો ગયો. પરંતુ રાજ્યના સત્તાધારી ભાજપે પાટીદાર આંદોલન અને તેના નેતાઓને બરાબર ટેકલ કરી જાણ્યા. ગુજરાત જ્ઞાતિવાદી રાજકારણની આગમાં હોમાતું અટકી પણ ગયું, પરંતુ હકીકત એ છે કે રાજ્ય વિધાનસભાની કુલ 182માંથી 70 જેટલી બેઠકો માટે પાટીદાર મતદારો નિર્ણાયક છે. જેનો ફાયદો નરેશભાઇ લેવા માગતા હતા પણ એમની બાજી જાણીતા રાજકીય સ્ટ્રેટેજિસ્ટ પ્રશાન્ત કિશોર થકી બગડી ગયાનું સમજાય છે. પ્રશાન્ત કિશોર જો કોંગ્રેસમાં ગયા હોત તો નરેશભાઇ ક્યારનાય ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે ગામડા ખુંદતા હોત, પરંતુ જેવા કોંગ્રેસના નસીબ! ખોડલધામ સંસ્થાના યુવા પ્રતિનિધિઓએ નરેશભાઇને રાજકારણમાં જોડાવાની સલાહ આપી પણ પાકટ વડીલોએ કહે છે કે નરેશભાઇને વાર્યા.

નરેશભાઇ આમ જોઇએ તો વડીલોના વાર્યા કેટલા વળે એવા છે, એ ભાજપ અને કોંગ્રેસ બંનેય સારી રીતે જાણે છે, પરંતુ રાજકારણમાં જોડાવાના વિચારને જેટલી જલદી વહેતો કરી દેનારા નરેશભાઇને દાદ એટલા માટે દેવી પડે એમ છે કે એમણે પોતાના પાટીદાર સમુદાયના અન્ડર કરન્ટ્સ બરાબર પારખ્યા છે. બીજા કોઇ હોત તો ક્યારનુંયે આંધળુંકિયું કરી નાખ્યું હોત પરંતુ એમણે એવું વિચાર્યું કે ગુજરાતનો 2022નો પાટીદાર કોંગ્રેસને વોટ આપે ખરો.

ભલું થજો પ્રશાન્ત કિશોરનું કે કોંગ્રેસ કે બીજી કોઇ પાર્ટી માટેની રાજકીય સ્ટ્રેટેજીને માંડતાં પહેલા પોતાની સાચી સ્ટ્રેટેજીને પારખી શક્યા ને કોંગ્રેસમાં કુદી ન પડ્યા. નહીંતર રાહુલ ગાંધીની સાથે તેઓ પણ EDના વિરોધના ધરણામાં લાઇનમાં બેઠા હોત. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને 2022ની ચૂંટણી પૂર્વે રાજકારણમાં પ્રવેશનો ઇરાદો નહીં હોવાની જાહેરાત કરતા છેલ્લા કેટલાક સમયથી તેમને માટે ચાલતી રહેલી અટકળો અને અનિશ્ચિતતાઓનો અંત આવ્યો છે.

જો કે નરેશ પટેલ માટે ઘણા એવું કહે છે કે તેઓ પાણીમાં બેસી ગયા, પરંતુ સાચું પાણી માપી શક્યા એવું બહુ ઓછા કહે છે. કારણ કે કિંગ બનવા કરતાં કિંગમેકર બનવામાં વધુ સારાવાટ છે એવું તેઓ રાજકારણમાં જવાના આટઆટલા ચડાવઉતાર કર્યા પછી મોડે મોડે પણ સમજ્યા. જો કે એમણે હજુ દાવ ડિકલેર કરી દીધો નથી. એમણે એવી પણ જાહેરાત કરી છે કે હું હાલ ખોડલધામ ટ્રસ્ટના ઉપક્રમે એક રાજકીયની તાલીમની ઇન્સ્ટિટયુટ ચાલુ કરીશ.

તેમાં તમામ સમાજના યુવાનો રાજકીય તાલીમ મેળવી શકશે. સરદાર પટેલ ફાઉન્ડેશનના ઉપક્રમે પોલિટિકલ કમિટીની રચના કરવામાં આવશે. આમ તેઓએ રાજકીય પાઠશાળા શરૂ કરવાનો પણ તેમણે સંકેત આપ્યો છે. સાહિત્ય ક્ષેત્ર માટે એવું કહેવાય છે કે જેઓ સારા સજર્ક બની શકતા નથી તેઓ વિવેચક બની જાય છે. ડાન્સ પરફોર્મન્સમાં સફળ નહીં થનાર ડાન્સ ક્લાસીસ ચાલુ કરી દેતા હોય છે. જેમની વકીલાત બરાબર ચાલતી હોતી નથી, તેઓ ન્યાયાધીશ બનવા જતા હોય છે, એવું એડવોકેટની આલમમાં કહેવાય છે. હવે રાજકારણમાં પણ એવું કહેવાશે કે જેઓ રાજકારણમાં એકદમ કુદી પડી શકતા નથી, તેઓ યુવાનો રાજકીય તાલીમ આપતા હોય છે.

ખેર, એટલું સારું થયું કે નરેશભાઇ કોઇ હોદ્દા પર હોત ને કોઇ મહત્વનો નિર્ણય લેવાનું આવ્યું હોત તો રાજકારણમાં જોડાવું કે નહીં એટલી રાઇડર (હાયર મેથ્સના અઘરા કોયડાને રાઇડર કહે છે) ઉકેલવામાં આટલા મહિના કાઢ્યા તો બીજા મહત્વના નિર્ણય કેવી રીતે લઇ શક્યા હોત? અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ભાજપમાં જોડાવાના હોવાની વાતો એક તબક્કે વહેતી થઇ હતી. બાદમાં તેઓને મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તે રીતે કોંગ્રેસમાં જવાના હોવાની વાતોએ જોર પકડ્યું હતું.

જાણીતા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાન્ત કિશોરની સાથે કોંગ્રેસમાં જવાના હોવાનું ચર્ચાતું પણ હતું, પરંતુ પ્રશાન્ત કિશોરનો કોંગ્રેસપ્રવેશ અટકી પડતા નરેશભાઇના રાજકારણ પ્રવેશ માટેની અટકળો અટકી પડી હતી. છેવટે તેમણે ઘીના ઠામમાં ઘી પડે એમ રાજકારણમાં પ્રવેશવાનું જ હાલ માંડી વાળ્યું છે. સાથે એવી ચોખવટ પણ કરી છે કે ભવિષ્ય માટે નિર્ણય સમય અને સંજોગો પર આધારિત હશે. આમ કહીને નરેશભાઇએ હજુ પણ પોતાના રાજકીય દ્વાર ખુલ્લા રાખ્યા છે.

સાથે તેમણે એ પણ ઉમેર્યું હતું કે રાજકારણમાં જોડાવા કે ન જોડાવા અંગે મારા પર કોઇ દબાણ નથી. નરેશભાઇ પટેલની આ જાહેરાત બાદ હવે આગામી ચૂંટણીમાં પાટીદાર રાજકારણ અંગે નવો સસ્પેન્સ સર્જાયો છે. બીજી તરફ તેમણે એવું જણાવ્યું કે તેઓ આગામી ધારાસભા ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષોમાં સારા પાટીદાર તથા અન્ય સમાજના પણ સારા વ્યક્તિઓને ટિકીટ મળે તે માટે કાર્ય કરશે.

નરેશભાઇના હાલ અટકેલા રાજકારણ પ્રવેશથી ખાસ તો ભાજપે એટલા માટે બહુ ખુશ થવા જેવું નથી કે આમઆદમી પાર્ટીવાળા ખૂબ યોજનાબદ્ધ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની દિશામાં આગળ ધપી રહ્યા છે. પ્રજાજનોમાં જે જે જગ્યાએ ભાજપ સામે અસંતોષ હશે, ત્યાં ત્યાં AAP ગોઠવાઇ જવા પ્રયત્નશીલ છે. એ જોતા ભાજપ સામે આમઆદમી પાર્ટી મોટો નહીં તો ખાસ્સો પડકાર તો જરૂર ઊભો કરશે. નરેશભાઇએ ગયા ગુરુવારે ખોડલધામ – કાગવડમાં પત્રકાર પરિષદ યોજીને સાથે સૂચક રીતે એવું પણ કહ્યું કે હું ઇચ્છું છું કે વિરોધ પક્ષ મજબૂત બને, પરંતુ ચૂંટણીમાં મારી અન્ય કોઇ ભૂમિકા નહીં હોય. એટલે લાગે છે કે થોડું ઘણું બેકસીટ ડ્રાઇવિંગ તો ચાલતું જ રહેશે. એટલે કહી શકો કે નરેશ પટેલ માટે ભરતીની મોસમમાં રાજકીય અગ્નિપથ છોડવાનું મહાભિનિષ્ક્રમણ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top