Gujarat

તંત્ર એલર્ટ: સૌરાષ્ટ્ર-કચ્છ, દ.ગુ.માં 13થી 17 જુલાઈ દરમ્યાન અતિભારે વરસાદની સંભાવના

અમદાવાદ: છેલ્લાં કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના (South Gujarat) મોટેભાગના જિલ્લામાં જળબંબાકાર જેવી પરિસ્થિતી ઉદ્ભવી છે. ત્યારે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રાજ્યમાં (Stat) આગામી તા. ૧૩ થી ૧૭ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) ૫ડવાની સંભાવના છે. આ નીચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે આ અંગેની જાણકારી રાહત કમિશનર અને મહેસૂલ સચિવ શ્રી પી. સ્વરૂપે આપી હતી.  રાહત કમિશનરશ્રીએ વરસાદ પ્રભાવિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સફાઇની કામગીરી, પાણી ભરાયેલ વિસ્તારમાં ડીવોટરીગ પં૫ની વ્યવસ્થા,  તુટેલા રોડ તાત્કાલીક રીપેર થાય તેમજ આરોગ્યલક્ષી કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી.

એસ.ઈ.ઓ.સી. ગાંધીનગર ખાતે આજે રાહત કમિશનર અને મહેસૂલ સચિવ શ્રી પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ, તેમજ ઊર્જા, માર્ગ-મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી,ઇસરો, કોસ્ટ ગાર્ડ,પંચાયત વિભાગ, ફિશરીઝ, કૃષિ-પશુપાલન, ફોરેસ્ટ, NDRF, SDRF, GMB, GSDMA અને ફાયર સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં રાહત કમિશનરે કહ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧૩થીતા. ૧૭જૂલાઇ-૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી રાહત  કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતુ કે રાજયમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલીમાં ૧, બનાસકાંઠા-૧, ભરૂચ-૧, ભાવનગર-૧, દેવભૂમિદ્વારકા-૧, ગીરસોમનાથ-૧, જામનગર-૧, જુનાગઢ-૧, કચ્છ-૧, નર્મદા-૧, નવસારી-૨, રાજકોટ-૧, સુરત-૧ અને તાપીમાં-૧ એમ NDRFની કુલ -૧૮ ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર-૧, નર્મદા-૧, આણંદ-૧, ભરૂચ-૨, છોટાઉદેપુર-૧, ડાંગ-૧, ગીરસોમનાથ-૨, જામનગર-૧, ખેડા-૨, મોરબી-૧, નર્મદા-૧, પાટણ-૧, પોરબંદર-૧, સુરેન્દ્રનગર-૨, તાપી-૧ આમ SDRFની કુલ ૧૮ ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાહત કમિશનરે કહ્યું હતું કે ચાલુ વર્ષે તા.૧૧ જૂલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત ૪૪,૩૬,૯૮૦ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ પણ વાવણી ચાલુ રાખવામાં આવી છે. રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે. જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯  એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – ૧૮  જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૧ જળાશય છે.

   

Most Popular

To Top