Dakshin Gujarat

વિરાવળ પૂર્ણા નદીના કિનારેથી અજાણ્યા પુરૂષની લાશ મળી

નવસારી : વિરાવળ પૂર્ણા નદીના (Purna River) કિનારેથી અજાણ્યા પુરૂષની (Unknown Male) લાશ મળી હોવાન બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના વિરાવળ ગામે પૂર્ણા નદીના કિનારેથી ગત 5મીએ સવારે એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી. જેથી વિરાવળ ગામે મોટા હળપતિ વાસમાં રહેતા મુકેશભાઈ રાઠોડે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઇ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે મુકેશભાઈની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.મૃતક શરીરે મધ્યમ બાંધાનો, ઉંચાઈ 5 ફૂટ છે, શરીરે મરૂન રંગનો બાય વગરનો ગરમ જેકેટ, કાળા રંગનો પેન્ટ, માથામાં ટાલ છે, જમણા હાથે કાંડાના ભાગે કેપિટલમાં અંગ્રેજીમાં અનિતા કે અને નીચેના ભાગે નથુરામ લખ્યું છે.

પેટમાં દુખાવાની બિમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો
નવસારી : કોલાસણા ગામની મહિલાએ પેટમાં દુખાવાની બિમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના કોલાસણા ગામે નવા હળપતિવાસમાં મધુબેન ઉકાભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહેતા હતા. મધુબેનને ઘણા સમયથી પેટમાં દુખાવાની બિમારી હતી. જેની સારવાર પણ ચાલી રહી હતી. પરંતુ તેમને સારૂ થતું ન હતું. જેથી મધુબેન પેટમાં દુખાવાની બિમારીથી કંટાળી ગયા હતા. ગત ૫મીએ મોડી રાત્રે મધુબેન તેમના ઘરના આગળના દરવાજાની અંદર ઘરના માળીમાં આવેલા લાકડા સાથે નાયલોનની દોરીનો એક છેડો બાંધી બીજા છેડો ગળામાં બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર અશોકભાઈએ મરોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે અશોકભાઈની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. ગોપાળભાઈને સોંપી છે.

Most Popular

To Top