Gujarat Main

દેશમાં ગુજરાતમાં સૌપ્રથમ એર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવા કેન્દ્રમાં દરખાસ્ત

રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવાના ભાગરૂપે આકસ્મિક સંજોગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે ગુજરાત સરકારે વિવિધ માંગણીઓ કરી છે. તેને કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા તત્પરતા દર્શાવી છે.

મોદીએ કહ્યું હતું કે દેશમાં સૌપ્રથમવાર ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેમાં ૧૦૮ દ્વારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના રૂ.૫૦૦૦૦ લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.૫૫૦૦૦ તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.૬૦૦૦૦નું ભાડુ નિયત કરવામાં આવ્યુ છે.

સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ જવા બે ફ્લાઈટ શરૂ કરવા પરવાનગી મંગાઈ
રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતી હેલિપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે પણ કેન્દ્રમાં રજૂઆત કરાઈ છે. એ જ રીતે નાગરિકોને સી-પ્લેનની સુવિધા ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદ કરીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ, અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકારને સહાય માટે રજૂઆત કરાઈ છે. રાજ્યને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળી રહે એ માટે અપીલ કરાઈ છે.

આગામી સમયમાં પાઈલોટ પ્રજેક્ટ તરીકે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપને સત્વરે શરૂ કરાય તે માટે જમીન સોપણી માટે પણ કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે. એ જ રીતે કૃષિ ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફળોની નિકાસ સુવિધાઓ પુરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.

રાજકોટ એરપોર્ટ અને કેશોદ એરસ્ટ્રીપ અંગે રજૂઆત કરાઈ
રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે પણ નાગરિકોને સુવિધા પુરી પાડવા એવિએશન પાર્કના જોડાણ માટે ટેક્સિલિન્કની મંજૂરી માંગવામાં આવી છે. ઉપરાંત કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કિંગની સુવિધાના પ્રશ્નો સત્વરે હલ કરવા રજૂઆત કરાઈ હતી. સાથે સાથે રાજ્યમાં કાર્યરત ૯ એરપોર્ટ અને ૩ એરસ્ટ્રીપ પર ટ્રાફિક વધી રહ્યો છે તેને ધ્યાને લઈને નાગરિકોના સમયની બચત થાય તે માટે વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનોની સેવાઓ પુરી પાડવા માટે પણ કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે.

અમદાવાદ રન-વેની મરામત હવે 20મી જાન્યુ.થી શરૂ કરવા વિચારણા
અમદાવાદ રન-વેના મરામતની કામગીરી આગામી તા.૩જીથી શરૂ થવાની હતી તે સંદર્ભે પણ રાજ્યમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાને લઈ આ કામગીરી આગામી ૨૦મી જાન્યુઆરી બાદ શરૂ કરવા રજૂઆત કરાતા આ કામગીરી પણ ૨૦મી જાન્યુઆરી પછી થાય તે માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા પણ હકારાત્મક નિર્ણય લેવાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ

Most Popular

To Top