Comments

ગરીબી નિર્મૂલન રાજકીય સંવેદનાનો વિસ્તાર નથી

મહાત્મા ગાંધી જેમને સત્યમૂર્તિ કહેતા અને કાકાસાહેબ કાલેલકર જેઓને મહાન કૃતિના રચયિતા જાણતા તે લીયો ટોલસ્ટૉય (૧૮૨૮-૧૯૧૦) રશિયાના પાટનગર મોસ્કોમાં સ્થળાંતર કરીને આવતા ગામડાંનાં ગરીબોને જોઈને ચિંતિત છે. લેખક તરીકે પોતાની સંવેદના વર્તમાનપત્રોની કોલમમાં પ્રકાશિત કરતાં રહેવા સાથે તેઓ ગામડાંની ગરીબી દૂર કરવા સ્વપ્રયત્નો પણ માંડે છે. ટૉલ્સટોય નોંધે છે કે, ભૂખ અને રોગથી પીડાતા કામ-ધંધા અને આવાસમાં અભાવથી ભટકતાં યાજનો મોસ્કોમાં આશાના તાંતણે ખેંચાઈ તો આવે છે પરંતુ શહેરમાં આવવા છતાં નથી તો તેમના ફાટેલાં કપડાં સાઇબીરિયાના કાતિલ ઠંડા પવન રોકી શક્તા નથી કે નથી તો તેમનાં બગડેલા પેટ તેમને કંઇ વધુ રાહત આપી શક્તા. પરિણામે સ્ત્રીઓ પોતાને અને ઘરનાં સ્ત્રી બાળકોને વેશ્યાવૃત્તિમાં ધકેલે છે. પુરુષો દુ:ખ ભૂલવા સસ્તા દારૂ અને જુગારમાં રચ્યાપચ્યા રહે છે. તો પેટનો ખાડો પૂરવા બાળકો મજૂરીમાં તો કોઈ લૂંટફાટ કરી જીવન ગુજારે છે અને જે ગરીબો પોલીસ કે સરમુખત્યારોના હાથમાં લાગી જાય છે. તેઓને તો જાહેરમાં હાથ-પગ કે માથું ઉતારી લેવાની શિક્ષા ભોગવી જીવતાં જીવ નરક ભોગવે છે.

લેખક સ્વયં સમૃદ્ધ ઘરના રહીશ છે. સુંવાળા ગાલીચા, વિશાળ ગરમ ઓરડા, સ્વચ્છ મોભાદાર કપડાં અને વિવિધ રંગ-આકારની ટોપી ઓઢી શકે છે. બુદ્ધિજીવી પત્રકાર તરીકે તેઓનું શહેરી સમુદાયમાં સ્થાન છે. પરંતુ ગરીબીના સમુદ્રમાં પોતાનો વિલાસી ટાપુ લેખકને કોરી ખાય છે. આમ છતાં, ગામડાંમાં ટાંચાં સાધનોથી જીવન વિતાવતાં અને મહદ્ અંશે સુખી લોકોના અહેસાન ઉપર મજૂરી મેળવતા શ્રમિકોની સ્થિતિનો જાત અનુભવ કરવા સિમન પિટર નામના મજદૂર સાથે લાકડાં ફાડી મળતી રોજીમાંથી જીવન વિતાવવાનો પ્રયોગ કરે છે.

મજૂરોની કૉલોનીમાં રહેતા લિયો ટોલસ્ટૉય અનુભવે છે કે, ‘ગરીબી સ્વયં એક નિભાવ બની જાય છે. સાધનોના અભાવે શ્રમશક્તિ વ્યસન, વેશ્યાવૃત્તિ, બાળમજદુરી, ગુલામીની સ્થિતિમાં ધકેલાય છે. એટલું જ નહીં પણ કુપોષણ, રોગ, અકાળ વૃદ્ધાવસ્થાના વિષચક્રમાં તેઓ વધુ ને વધુ ઊંડા ઊતરતા જાય છે.’ લેખક પોતાની પરિશ્રમિકની કમાણી ગરીબોમાં વહેંચી દે છે. ‘ઉઘાડાને ઢાંકજે, ભૂખ્યાનું પેટ ભરજે’ તેવો આદેશ આપનાર બાયબલમાં શ્રદ્ધા ધરાવતા ધાર્મિક જૂથોની મદદથી ગરીબોને રૂબલ આપે છે. પરંતુ થાય છે એવું કે ગરીબ સમુદાય પોતાની વૃત્તિને છતી કરતાં દરવાજે આવેલના દાનવીરોને જ લૂંટી લે છે.

લોકશાહીના નામે રાજકીય પક્ષો ‘ગરીબી હટાઓ, ગરીબી મીટાઓ’ના નારા જોર-શોરથી પ્રચલિત કરવા સક્રિય રહે છે. તે વેળાએ એક વર્ષ સુધી ખિત્રોવની શ્રમિક વસાહતમાં રહેનાર ટોલસ્ટૉય આજની ૧૪૮ વર્ષ પહેલાં પોતાના જાત અનુભવથી કહે છે કે, ‘શ્રમિકો માટે ગરીબી એ સ્વભાવગત બીમારી બની જાય છે અને માત્ર કરુણાથી પરિસ્થિતિમાં બદલાવ લાવી શકાતો નથી. ઘેટાં-બકરાં બાંધી રાખી ચારો-પાણી નાખીએ તેમ માનવ સમુદાય વિકસિત રહી શકે નહીં. સમાન સામાજિક દરજ્જાથી જ માનવજાત ટકી શકે છે.’ આજની ૨૭૦૦ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે વૃદ્ધાવસ્થા, માંદગી અને મૃત્યુને જોતાં સમાજને બોધિજ્ઞાન તરફ દોર્યો તેમ રશિયન લેખક What then shall we do” નામના પુસ્તકના પાને સમાજવાદી સમાજરચનાને ઉપાય તરીકે ઉદ્દઘોષિત કરે છે.

મોહનદાસ ગાંધીએ જેમના વિચારોને આધાર બનાવી દક્ષિણ આફ્રિકામાં ફિનિકસ આશ્રમ સ્થાપી જાડું અનાજ- જાડાં વસ્ત્રો અને જાડી હથેળીનો રાહ અપનાવ્યો તે ટોલસ્ટૉય એક સાધનસજ્જ પૈસાપાત્ર લેખક તરીકે અનુભવે છે કે ‘મુઠ્ઠીભર સત્તાધિપતિઓને વિલાસ માટે પ્રાકૃતિક સ્રોતનો મહત્તમ હિસ્સો વપરાઈ જાય છે.’ મોસ્કોમાં પરવાનો લઈને વસતાં ૨૦,૦૦૦ ગરીબો શહેરી સમુદાય માટે તો વપરાશનું સાધન માત્ર છે. મોસ્કોના આવા એક ગાર્બેજ એરિયા તરીકે જાણીતો ખિત્રોવ બજારમાં વેશ્યાઓ, રોગીઓ, દારૂડિયા અને જુગારીઓ તથા બાળમજદૂરોથી ખદબદતો જોઈ લેખક વધારે વ્યથિત બને છે. બજારવાદનો વિકલ્પ ટોલસ્ટૉય પાસે નથી.

આમ છતાં, સામાજિક પાપ અને દુ:ખનાં કારણોને તપાસતાં અનુભવે છે કે ‘ગરીબીનું કારણ ગુલામી છે. ગુલામનું કારણ જમીન ઉપર રહીશોને કબ્જો છે. શહેરના સંપન્ન લોકો કાચો માલ તૈયાર કરનાર મજદૂરો ઉપર જોર-જુલમ આચરી તૈયાર માલ-સામાન ઊંચી કિંમતે વહેંચી અમાનવીય આનંદ મેળવ્યાનું ગૌરવ અનુભવે છે.’ સમાજજીવન સાથે ઓતપ્રોત રહીને જીવન સમજવાની પદ્ધતિ અખત્યાર કરનાર ટોલસ્ટોયને અમેરિકા અને યુરોપની ગરીબી માટે પણ નિરક્ષરતા, ટાંચાં સાધનો તથા શહેરી સમુદાયની શોષણ મનોવૃત્તિ સમાન રીતે જવાબદાર લાગે છે.

ટોલસ્ટૉય ઉપાય તરફ આગળ વધતાં લખે છે કે, ‘મજૂરીની પરવશતામાંથી બહાર કાઢવા ગ્રામ્ય યુવકોને શિક્ષણ, વિજ્ઞાન અને તકનિકના સહારે સ્વાવલંબન તરફ લઈ જવા પડશે.’ શૃંગાર, ભોગ અને સાધનોનાં દૂર્યવ્યને પ્રતિષ્ઠા ગણતાં નગરજનો પ્રત્યે ભારોભાર સૂગ સ્પષ્ટ કરી લીઓ શહેરો ઉપર ઉપભોગતા કરબોજ નાખીને ગામડાંઓ તરફ પાછા વળવા સમાજને હાકલ કરે છે. શ્રમ પ્રત્યેની સૂગ ખંખેરી લેખક પોતાને ૮-૮ કલાક પરસેવાની કમાણી માટે જોતરે છે અને અનુભવે લખે છે કે, ‘સ્વૈચ્છિક શ્રમથી સર્જનશીલતા વિસ્તરે છે. આનંદ અને સ્વાસ્થ્ય ખીલી ઊઠે છે. સરવાળે બૌધ્ધિક્તાને ન્યાયનું કવચ મળતાં જીવનમાં વધુ સત્ત્વશીલતા ઉમેરાય છે.’

મૂડીવાદ અને ઔદ્યોગિક ક્રાંતિની બોલબાલા વચ્ચે પણ ‘શ્રમ સાગરમાં ટીપું’ એવા મથાળે ૨૦મો લેખ લખીને લીયો પ્રત્યેક નાગરિકને આત્મદીપોત્સવના આચરણ માટે પ્રેરે છે અને કહે છે (૧) પોતાની જાત કે બીજા સાથે જુઠ્ઠો વ્યવહાર કરવો નહીં (૨) જાત મહેનતથી પોતાની જરૂરિયાતનું અન્ન પેદા કરવું. (૩) સ્વ-ગુજરાન માટે પ્રકૃતિનો આધાર લેવો. (૪) પ્રામાણિકતાથી જ કમાઇ મેળવવી (૫) પોતાનું કામ જાતે જ કરવું. (૬) અંતરઆત્માના અવાજને પ્રાધાન્ય આપવું.

અસહાય વ્યક્તિને ધન અને સત્તાના જોરે ખરીદી લઈ પોતાની માલિકીના ગુલામના માનસની મિજબાનીનું ગૌરવ અનુભવાતા મૂડીપતિઓને ડંકાની ચોટે ૧૬ પાનાના લેખમાં ટોલસ્ટૉયે જણાવ્યું કે, ‘ખોટી ટેવ ઘટાડશો તો જ ખર્ચ ઘટશે અને શરીરસૌષ્ઠવ વધશે. સામાજિક સમરસતા વધારીશું તો જ સમાજમાં તંગદિલી ઘટશે.’ શ્રમના ગૌરવને વ્યક્તિવિકાસ સાથે સ્થાપિત કરી સમાજવાદી સમાજરચનાને રાહ આપનાર લીયો ટોલસ્ટોય એ સત્તાના જોરે ગુલામી, ગુલામીના ટેકે બૃહદ્ ઉત્પાદન અને અતિ વપરાશથી વિલાસ તરફ જવાના શહેરી અભિગમને વિનાશકારી ગણાવ્યા છે.

પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થામાં જયાં સ્ત્રીઓ માત્ર પ્રજોત્પત્તિનું સાધન હતું. ધર્મ કે રાજ્ય વ્યવસ્થાપનમાં તેની ગણના જ નહોતી તેવા સમયે એક શતાબ્દી પહેલાં દૂરદ્રષ્ટા લીયો લખે છે. ‘સ્ત્રીઓ ઈશ્વરના કાયદા પ્રમાણે વર્તન કરે છે. આથી સ્ત્રીઓના હાથમાં ઉદ્ધારની આશા છે. સત્તા અને પ્રદર્શનથી પરે સ્ત્રીઓ પોતાના ચારિત્ર્યથી સમાજને નિયમન ( શિસ્ત)માં રાખી શકે છે, સીમિત સાધનોથી સંસારને ખુશહાલ રાખી શકે છે. લોકમતનું ઘડતર કરી શકે છે.’ જાતે ગરીબી વહોરી ગરીબીના ઉપાયની શોધમાં નીકળેલ લેખક પોતાના ગ્રંથ ‘ત્યારે કરીશું શું? ‘What then Shall we do? ના સમાપને લખે છે, ‘હે સ્ત્રીઓ અને માતાઓ, જગતનાં ઉદ્દઘાટનો ઉપાય બીજા કોઈ કરતાં તમારા હાથમાં વધુ છે.’

ઍરકન્ડિશનર ચેમ્બર, કૉફીની ચુસકી અને ઈન્ટરનેટના ડેટાને લઈ શબ્દોની રંગોળી સજાવતા સાહિત્યકારોની કૃતિ અત્યંત ટૂંકું આયુષ્ય ભોગવી પસ્તીમાં પડી જાય છે તે વેળાએ એક શતાબ્દી પહેલાં મૂડીવાદના ધસમસતા પ્રવાહ સામે ઊભા રહી લીયો ટોલસ્ટોયે ભોગવાદી સમાજવ્યવસ્થાને વખોડી, સ્ત્રીઓને સમાન દરજ્જો આપવા હિમાયત કરી સત્તાના કેન્દ્રિયકરણના વિનાશમાંથી બચવા સમાજવાદી સમાજરચનાનું બીજ રોપ્યું તે આજે એક શતાબ્દી પછી પણ મનનીય બને છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top