Gujarat

અમદાવાદના ચાંદખેડાની કાળજું કંપાવનારી ઘટના, નવજાત બાળકને દસમા માળેથી ફેંકી દઇ હત્યા

અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં કાળજુ કંપાવી નાખે તેવી ઘટના બનવા પામી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટના દસમાં માળેથી નવજાત બાળકને ફેંકી હત્યા (Murder) કરી નાખતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવની જાણ થતાં પોલીસે (Police) એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ એક મહિલાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યા થઈ હોવાનો ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોલીસને આજે સવારે મેસેજ મળ્યો હતો. જેના પગલે ચાંદખેડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી.એસ. વણઝારાની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે એફએસએલની મદદ લઈ, તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આ ઘટનામાં પોલીસે એક શંકાસ્પદ મહિલાની તપાસ હાથ ધરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્કાય વોક એપાર્ટમેન્ટના દસમા માળે કે પછી ધાબા ઉપરથી આ નવજાત બાળકને નીચે ફેંકી હત્યા કરવામાં આવી હોવી જોઈએ. આ નિર્દોષ બાળકની હત્યા માટે ઘર કંકાસ કે પછી અનૈતિક સંબંધ જવાબદાર હોવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. નવજાત બાળકની હત્યા પાછળ જન્મ આપનાર બાળક માતા જ હોય તેવી શક્યતાઓ હાલમાં પોલીસ જોઈ રહી છે.

આ નવજાત બાળકની હત્યા કોને કરી, કોની સંડોવણી છે ? તે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ તથા આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે. ફ્લેટના સીસીટીવી ફૂટેજમાં પોલીસ ચકાસણી કરી રહી છે કે, આ એપાર્ટમેન્ટમાં કોઈ મહિલા ગર્ભવતી હતી કે કેમ? કે પછી બહારથી કોઈએ આવીને આ એપાર્ટમેન્ટ પરથી નવજાત બાળકને ફેંકી હત્યા કરી છે, તે દિશામાં પણ તપાસ શરૂ કરાય છે.

Most Popular

To Top