Comments

હાથમાં માત્ર ખંજર જ નથી, પણ હૃદયમાં ભારોભાર ઝેર ભર્યું છે

આપણે ત્યાં આપણે અભિવ્યકિત સ્વંતત્રતાની જયારે પણ વાત કરીએ છીએ ત્યારે તે સ્વંતત્રતા આપણે આપણા પૂરતી સીમિત રાખવા માંગીએ છીએ. આપણને અભિવ્યકિત સ્વંતત્રતા ગમે છે, પરંતુ જયારે આપણે પોતાનો મત વ્યકત કરીએ અથવા આપણને ગમતો મત  અન્ય કોઈ વ્યકત કરે ત્યાં સુધી આપણને વાંધો નથી, પરંતુ આપણે જે મત સાથે સંમત નથી, ત્યારે આપણને સ્વંતત્રતા કઠે છે, આજે જે સ્થિતિ છે તેવી પહેલાં પણ હતી, પરંતુ ત્યારે પોતાનો મત વ્યકત કરવાનો અથવા બીજાના મતનો વિરોધ કરવાનું પ્લેટફોર્મ બહુજનો પાસે ન્હોતું, ટેલિવિઝન, પોર્ટલ અને સોશ્યલ મીડિયાના આગમન પહેલાં માત્ર અખબારમાં કામ કરતા પત્રકારો અથવા કોલમીસ્ટોને પોતાનો મત વ્યકત કરવાનો અધિકાર હતો.

સામે પક્ષે વાચકો પાસે અખબાર દ્વારા વ્યકત થયેલા મતને સમર્થન આપવા અથવા વિરોધ વ્યકત કરવા માટે અખબારની કચેરીને પત્ર લખવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો અને આ પત્રને છાપવો કે પછી કચરા પેટીમાં યોગ્ય સ્થાન આપવું તે તંત્રી ઉપર નિર્ભર રહેતું હતું. વાચક પણ પત્ર લખી પોતાની જવાબદારી પૂરી કરી તેવું માની ભૂલી
જતો હતો.

પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. આજે સોશ્યલ મીડિયાના આગમનને કારણે માણસ કંઈ ભૂલતો નથી અને ભૂલવા માંગતો નથી. હવે સોશ્યલ મીડિયા ઉપર તરત રીએકશન આવે છે, હવે કોઈ પત્રકાર, લેખક અને સર્જક કંઈ પણ લખે તેની સાથે તરત વળતો જવાબ મળે છે, સોશ્યલ મીડિયાની સારી બાબત એવી છે કે અગાઉ પત્રકારો, લેખકો અને સર્જકો લખતા હતા ત્યારે તેમને અંદાજ આવતો જ ન્હોતો કે તેમને કેટલા લોકો વાંચે છે, કેટલા વાચકોને તેમનું સર્જન પસંદ પડયું અથવા પસંદ ના પડયું, પણ હવે ખુદ સર્જક પોતાનું સર્જન કયાં સુધી કેટલા સુધી પહોંચ્યું તે જાણી શકે છે, પત્રકાર, લેખક અને સર્જકને અભિનંદનના વરસાદને સ્પર્શી શકે છે અને નારાજગીનો તાપ દઝાડે પણ છે. જો કે આ સહજ પ્રક્રિયા છે, સર્જક વાચકોના પ્રેમમાં ભીંજાય અને વાચકના ગુસ્સાનો સામનો કરે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ કોઈ પણ એક મતને લઈ સોશ્યલ મીડિયામાં સામેલ લોકો બે ભાગમાં વહેંચાઈ જાય છે. વાત ત્યાં સુધી પહોંચી જાય છે જાણે અલગ મતના લોકો કોઈ એક જમીનના સાતબારના ઉતારા માટે લડતા હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે.

આપણે ત્યાં જયારે અભિવ્યકિત સ્વંતત્રતાની વાત કરીએ ત્યારે તે બન્ને પક્ષે હોવી જોઈએ અને જયારે વિરોધી મત વ્યકત થાય ત્યારે તેમાં કડવાશ ભળવી જોઈએ નહીં, પરંતુ તેવું થતું નથી, જેના કારણે વિરોધી મત વ્યકત કરનાર સામે આપણા મનમાં એટલો ગુસ્સો આવે છે કે પત્રકાર લેખક અને સર્જકે જે કંઈ લખ્યું છે અથવા તેમણે જે સર્જન કર્યું છે શકય છે કે તે વિડીયો રૂપે પણ હોય, ત્યારે તેની ઉપર ચારે તરફ લોકો તૂટી પડે છે, જેઓ સર્જક સાથે સંમત છે અને જેઓ સર્જક સાથે અસંમત છે તેઓ જાણે ભારત પાકિસ્તાનની સરહદે ઊભા હોય તેવી માનસિકતામાં આવી જાય છે, માત્ર પોતાનો મત વ્યકત કરવાને બદલે એકબીજાના પરિચિત હોય તેવી વ્યકતિઓ સાથેના  સંબંધનો અંત આવી જાય તે પ્રકારની ગંદકી બન્ને તરફથી ઠાલવવામાં આવે છે.  મત વ્યકત કરતી વખતે  ભાષાનું પ્રમાણભાન પણ હોવું જોઈએ પણ તે પણ જળવાતું નથી. કદાચ કોઈ ગટર ઉલેચો તેના કરતાં વધુ ગંદકી આપણા મગજમાં ભરી છે તેવું કહેવું પણ અતિશયોકિત નથી.

તાજેતરમાં એક કવયિત્રીએ  કોરાનાને કારણે જે સ્થિતિ દેશમાં નિર્માણ પામી તે સંદર્ભમાં તે અંગે એક કવિતા લખી, ગુજરાતીમાં લખેલી આ કવિતા પછી હિન્દી, અંગ્રેજી અને મરાઠી સહિત અનેક ભાષામાં ભાષાંતરિત પણ થઈ. કવયિત્રીએ  શું લખ્યું તે મુદ્દે આપણે અહિંયા ચર્ચા કરતા નથી, પરંતુ સોશ્યલ મીડિયાના આગમન પછી કોઈ કવિતા આટલી વ્યાપક પ્રમાણમાં પ્રચલિત થઈ હોય તેવી પ્રથમ  ઘટના છે, જેઓ કવિતા સાથે સંમત હતા તેમણે સોશ્યલ મીડિયામાં તેને ભરપૂર શેર કરી, પરંતુ જેમને આ સર્જન પસંદ પડયું નહીં તેમણે માત્ર ટીકા કરવાને બદલે છેલ્લી પાયરીના શબ્દનો પ્રયોગ કર્યો. પછી તે બન્ને તરફ પ્રમાણભાન ભુલાયું અને પછી જાહેરમાં  કોણ  પોતાના  વધુ કપડાં ઉતારી શકે તેની હોડ લાગી, કવિતાના ગુણદોષ બાજુ ઉપર રહી ગયા અને તરફી અને વિરોધીઓ વ્યકિતગત આરોપો કરવા લાગ્યા. આ કંઈ પહેલી ઘટના નથી.

આવું રોજનું બની ગયું છે. સોશ્યલ મીડિયા ઉપર જરા ધ્યાનથી નજર કરો તો અંદાજ આવશે કેટલાંક સાથીઓ પાસે ખૂબ પ્રમાણમાં સમય છે. તેઓ કોઈ સરકારી એજન્સીના સભ્ય હોય તે રીતે સોશ્યલ મીડિયા ઉપર સતત નજર રાખે અને જમીનની ઉપર અને આકાશની નીચેના કોઈ પણ વિષય ઉપર તેઓ પોતાનો મત આપવા આતુર હોય છે. આવી જ બીજી ઘટના અમદાવાદમાં પણ ઘટી, જેમાં કેટલાંક યુવાનોએ મીમ્સ બનાવવાની શરૂઆત કરી અને વાતનું વતેસર ત્યાં સુધી થયું કે એકબીજાને મારવાની, જોઈ લેવાની ધમકીઓની આપ-લે થઈ અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. આપણે એક વખત પોતાનો સવાલ પણ પૂછતાં નથી કે આપણે કયા યુગમાં જીવીએ છીએ,કોરાના પછી તો આપણને જિંદગીની કિંમત સમજાવી જોઈતી હતી પણ તેવું થયું નથી. હજી આપણે આપણી સાથે સંમત નથી. તેનો હિસાબ પુરો કરવાની ફિરાકમાં છીએ.

આપણે કહીએ છીએ કે સોશ્યલ મીડિયાને કારણે વિશ્વ નાનું થયું અને માણસ માણસની નજીક આવ્યો, પરંતુ  બીજી તરફનું ચિત્ર બહુ નિરાશાજનક અને ડરામણું છે, કારણ સોશ્યલ મીડિયામાં ખાસ કરી હમણાં જે ચાલી રહ્યું છે તે જોતાં લાગે છે કે હાથમાં માત્ર ખંજર લેવાનું બાકી છે,  મનમાં તો ભારોભર વિરોધી માટે ઝેર ભરેલું છે, માણસ માણસની નજીક આવવાને બદલે દૂર જવા લાગ્યો છે. જેમની સાથે સંમત નથી તેમની સાથે માણસ તરીકેનો વ્યવહાર તો અકબંધ હોવો જોઈએ પણ તેમાં ખટાશ આવે ત્યાં સુધી પણ વાંધો ન્હોતો.

માણસ માણસથી માઈલો દૂર જવા લાગ્યો છે. ખરેખર સોશ્યલ મીડિયાનો ઉપયોગ માણસ કરે છે કે પછી માણસનો ઉપયોગ સોશ્યલ મીડિયા કરવા લાગ્યું તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે. આપણે દરેકના મિત્ર અને ગમતા હોઈએ જે જરૂરી નથી, પણ કારણ આપણને પણ બધા ગમતા નથી અને આપણે બધાના મિત્ર નથી છતાં તેઓ આપણા દુશ્મન પણ નથી તેવી સાદી અને સરળ સમજ તો આપણે રાખવી પડશે.    

            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top