Madhya Gujarat

ડાકોરમાં મંદિરના ઓટલા પર વૃદ્ધાનું મોત નિપજ્યું

નડિયાદ: ડાકોરમાં ગોમતીઘાટ ઉપર આવેલ એક મંદિરના ઓટલા ઉપર રાત્રીના સમયે સૂઈ ગયેલ એક અજાણી વૃધ્ધ મહિલાનું ઉંઘમાં જ મોત નિપજ્યું હતું. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં સોમવારના રોજ ગુરૂપૂર્ણિમા હોવાથી હજારો શ્રધ્ધાળુઓ આગલા દિવસે એટલે કે રવિવારથી જ ડાકોરમાં ધામા નાંખ્યાં હતાં. ગુરૂપૂર્ણિમાના દિવસે વહેલી સવારે મંદિર ખુલતાંની સાથે જ મંગળા આરતીના દર્શન કરવાની તાલાવેલી સાથે ભક્તો મંદિર નજીક અડીંગો જમાવી આખી રાત બેસી ગયાં હતાં.

આવા જ ભાવ સાથે 65 થી 70 વર્ષના આશરાના એક મહિલા પણ ડાકોરમાં આવ્યાં હતાં અને તેઓ રાત્રીના સમયે મંદિરની નજીકમાં આવેલ ગોમતીઘાટ પરના એક મંદિરના ઓટલે બેઠાં હતાં. દરમિયાન ઉંઘ આવતાં તેઓ ઓટલા ઉપર જ સુઈ ગયાં હતાં. જે બાદ આ વૃધ્ધ મહિલા બીજા દિવસે સવારે ઉઠ્યાં જ ન હતાં. ઉંઘમાં જ વૃધ્ધાએ પ્રાણ ત્યાગી દીધો હતો. આ અંગેની જાણ થતાં ડાકોર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વૃધ્ધ મહિલાની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top