Dakshin Gujarat

નવસારી નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રક ખાડીમાં ખાબકી, લોકોએ સફરજનની લૂંટ ચલાવી

નવસારી: (Navsari) નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ (Over Bridge) પાસે સફરજન ભરેલી ટ્રક ખાડીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. નેશનલ હાઇવે નં. 48 ગુજરાતથી મહારાષ્ટ્રને (Maharashtra) જોડતો હાઇવે છે. જે હાઇવે પરથી રોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. જેથી હાઇવે પર રોજ વિવિધ જગ્યાઓ ઉપર અકસ્માતો પણ થતા રહે છે. આજે પણ નેશનલ હાઇવે નં. 48 ઉપર અકસ્માત થયો હતો.

  • ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે સફરજન ભરેલી ટ્રક ખાડીમાં ખાબકતા અકસ્માત સર્જાયો
  • કેટલાક લોકો સફરજનની લૂંટ ચલાવી નાસી ગયા
  • નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક અને ક્લીનરને ટ્રકમાંથી બહાર કાઢ્યા

આજે નેશનલ હાઇવે નં. 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે અમદાવાદથી મુંબઈ જતા રોડ પર એક સફરજન ભરેલી ટ્રકને અકસ્માત નડતા ખાડીમાં પડી હતી. જે અકસ્માતને પગલે લોકટોળું ભેગું થઇ ગયું હતું. જ્યાં કેટલાક લોકો સફરજનની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જોકે આ ઘટના બાબતે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક અને ક્લીનરને ટ્રકમાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.

સુબીરમાં ખેડૂતનાં ડાંગર અને અડદનાં જથ્થાને અજાણ્યાએ આગ ચાંપી દીધી
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સુબીર ગામના ખેડૂત મગજેભાઈ ગજયાભાઈના ચોમાસાની ઋતુમાં પાકેલો ડાંગર અને અડદનાં પાકની કાપણી કરી ખેતરમાં ઢગલો કરી મુક્યો હતો. તેવામાં ગતરાત્રીનાં અરસામાં કોઇ અજાણ્યા ઈસમો દ્વારા સંગ્રહિત કરી મૂકવામાં આવેલા અડદ અને ડાંગરનાં ઢગલામાં આગ ચાંપી દેતા આ અનાજનાં ઢગલાઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. ખેડૂતે ચોમાસાની ઋતુ દરમ્યાન વાવણી કરેલો પંદર કિલો ભાત જેની આશરે વેચાણ કિંમત 30થી 35 હજાર જેટલી થાય છે. અને 60થી 70 કિલો અડદ જે રાત્રિ દરમિયાન બળીને ખાખ થઈ જતા માથે હાથ દેવાનો વારો આવ્યો છે. આ ખેડૂતનું અનાજ બળીને ખાખ થઈ જવાની જાણ થતા જ ખેડૂતનાં આંખમાંથી આંસુ નીકળી પડ્યા હતા. હાલમાં રડતા આંસુએ ખેડુતે આગ લગાવનારની શોધખોળ માટેનાં પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top